પાલિકાની વિકાસના કામો પ્રત્યે ઘોર ઉદાસિનતાના વિરોધમાં
જેતપુરમાં વોર્ડ-8 ના પ્રજાજનોએ પ્રતિક ઉપવાસ કરી
પાલિકાસુત્રોને આપ્યું આવેદન : અનશન આંદોલનની ચીમકી
જેતપુર તા.22
જેતપુર શહેરમાં વોર્ડ નંબર-8 માં પ્રજાકીય વિકાસના કામો પરત્વે સદંતર નિષ્ફળ ગયેલ પાલિકા સુત્રોની નીતિ-રીતી સામે ખુદ વોર્ડના મહિલા સદસ્યા ચેતનાબેન મનોજભાઈ પારઘીએ પ્રજાજનોને સાથે રાખી, પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ યોજી,પાલિકા સુત્રોને એક આવેદન પાઠવી અણઉકેલ પ્રશ્નો હલ નહિ કરાય તો અનશન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનમાં ફરિયાદ કરાઈ છે કે વોર્ડ-8 માં ખોડિયાર મંદિર સામેના અવેડા નજીકનો બંધ સબમર્સીબલ પંપને ચાલુ કરવા અનેક વખત લેખિત-મૌખિક ફરિયાદો કરી છે, છતાં સંબંધિતો આ બાબતે જાણી જોઇને ચલક ચલાણું રમતા હોય, પ્રજા કાળઝાળ ઉનાળામાં પાણી વગર ભટકે છે.
આ વોર્ડમાં આઝાદી પછી પણ રોડ-રસ્તાઓની હાલત સુધારાતી નાં હોય, કાચા-ધુલિયા રસ્તાઓથી પ્રજા ત્રાસી ગઈ છે. ખોડિયાર મંદિર વાળા વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈનો નંખાઈ છે, પણ મુખ્યલાઈનમાં જોઈન્ટ આપવામાં તંત્રને છ મહિના થયા કોઈ સારું ચોઘડિયું મળતું નથી ! સ્ટ્રીટ લાઈટો નવી નાંખવાની માંગણી તો સ્વીકારાતી રાતી નથી, પણ બંધ છે તે રીપેર કરાતી ના હોય, રાત્રીના મહિલાવર્ગને કાયમ ભય ઓઢી હરવું ફરવું પડે છે.
આવેદનમાં ચેતનાબેન પારધીએ એવી પણ માંગ દોહરાવી છે કે, પાલિકા દ્વારા સેનિટેશન, પવડી અને વોટરવર્કસ શાખાઓ અંતર્ગત ક્યાં ક્યાં કોન્ટ્રાકટો અને કેટલા સમય માટે અપાયા છે તે લેખિતમાં આપો.
બોક્સ: મહિલા સદસ્યાનો ખુલ્લો પડકાર,
લોકમંચ પર આવો, ગેરરીતી સાબિત કરી આપું !
જેતપુર : પાલિકાના મહિલા સદસ્યા સદસ્યા ચેતના પારઘીએ લેખિતમાં પાલિકાસુત્રો અને ચીફ ઓફિસરને ખુલ્લો પડકાર કરતા જણાવેલ છે કે લોકમંચ ઉપર આવો, પાલિકામાં ચાલતા અને ચલાવાતા ભાસ્ત્રાચારને સાબિત કરી આપું અને જો આમ ના થાય તો રાજીનામું આપી દઉં ! ત્યારે પાલિકાસુત્રો હવે આ વિસ્તારની પ્રજાની સમસ્યા હલ કરશે કે કેમ ? તે સમય જ બતાવશે..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો