અનુયાયીઓ

મંગળવાર, 20 જાન્યુઆરી, 2015

KASHYAP JOSHI JETALSAR URGENT METTERસંભારણું : 21-1-1915 બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા

::::::::::::સંભારણું : 21-1-1915 ::::::::::::::::
બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે 
    મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા
જેતપુરના ઇતિહાસવિદ જીતુભાઈનો વસવસો : જુના માસ્તરોનેય ખબર નથી કે ગાંધીજી 
          જેતપુરમાં ક્યાં ઉતર્યા હતા ?! તેઓએ શું ઈતિહાસ ભણાવ્યો હશે ??!
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.20
આજના દિવસે તા.21-1-1915 એટલેકે બરાબર એકસો વર્ષ પહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી(બાપુ) નો જાણે જેતપુર(કાઠી ) સાથે ઘરોબો હોવાની ગવાહી પુરતી તસ્વીરો બતાવતા જેતપુરના લેખક અને ઇતિહાસવિદ જીતુભાઈ ધાધલ ધાધલની આંખોમાં જયારે જળજળીયા દેખાયા ત્યારે તેમની વાત અટકી ગઈ કે ભાઈ..શહેરના જુના માસ્તરોને ખબર નથી કે પૂજ્ય બાપુ જેતપુરમાં ક્યાં રોકાયા હતા ? આ લોકોએ(માસ્તરોએ) શું ઉકાળ્યું હશે ઈતિહાસ ભણાવવામાં ?!, બસ હવે કઈ નથી બોલવું ! આટલું બોલી જીતુભાઈ ધાધલે ઇતિહાસના પાનાં ખોલ્યા તે કૈક આવા હતા..

ઈ.સ.1915 ની 21 મી જાન્યુઆરી ના દિવસે મહાત્મા ગાંધીજી, પુ. કસ્તુરબા, બેરિસ્ટર શુકલ સહિતના દેશપ્રેમીઓ સાથે જેતપુરના દીલાવરગઢના રેલવે સ્ટેશને ઉતર્યા હતા. ગોંડલ થઈને પૂજ્ય બાપુ જેતપુર પધાર્યા હોવાની જાણ પરથી તેમને બા અદબ સન્માન સાથે તેડવા માટે જેતપુરના રાજવી દરબાર સાહેબ શ્રી મુળુવાળા સુરગવાળા સાહેબ, ડોક્ટર દીનશા સાહેબ, એદલજી વારછાસાહેબ, શ્રી દેવચંદ ઓતમચંદ પારેખ, બચુભાઈ પ્રેસવાળાના કાકા વલ્લભભાઈ કાગદી સહિતના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ રેલવે સ્ટેશને દોડી ગયા હતા.

બાપુને દિલાવરગઢ(અત્યારનું નવાગઢ) રેલવે મથકે તેડવા ગયેલા ઉપરોક્ત તમામ યેનકેન સહયોગી બની આઝાદીની ચળવળના સેનાનીઓ હતા..પણ જેતપુરની કમનશીબી કે ઇતિહાસના પાનાઓમાં આ વિગતો ક્યાય ઉલ્લેખાયી ના હોવાનો જીતુભાઈ ધાધલને વસવસો છે.

બોક્સ: પૂજ્ય બાપુએ રાતવાસો ક્યાં કર્યો ??
મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાતેજ તેઓ જેતપુરમાં ક્યાં રાતવાસો કર્યો હતો ? તેનો જવાબ વાળતા જીતુભાઈ એ જણાવેલ કે શહેરના લાદી રોડ પર અત્યારે જે સિંધી સમાજના દેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનું મંદિર છે તે જગ્યા પહેલા ઓત્તમચંદ કામદારની મેડી તરીકે ઓળખાતુ..આ મકાન આમતો પૂજ્ય બાપુના સગા અને સ્નેહી દેવચંદભાઈના પિતા ઓત્તમચંદ્જીનું હતું. આ જગ્યાએ બાપુ અને કસ્તુરબાએ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે રાત ગાળી રાષ્ટ્રીય હિતની તેમજ આઝાદી લડતની વાતો કરેલી.. ત્યારબાદ સવારે બાપુ ધોરાજી તરફ રવાના રવાના થયા હતા.

બોક્સ: પૂજ્ય બાપુની જેતપુરમાં બીજી મુલાકાત 
જીતુભાઈએ અથાગ મહેનત બાદ પૂજ્ય બાપુના જેતપુરમાં બીજીવાર થયેલા પગરવ, મુલાકાત બાબતે જણાવેલ કે ગોખલે સ્મારક નિધિ માટે ફરતા ફરતા જેતપુર બીજીવાર આવેલા બાપુ દરબારગઢ સ્થિત રાજવી મુળુબાપુના નિવાસસ્થાને, અંજુમનવાળી બિલ્ડીંગમાં તેમજ ભાદર મહેલ તરીકે ઓળખાતા શેઠ અબ્દુલ્લાના નિવાસસ્થાને પણ ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ફોટો કેપ્શન: 
બાપુ, યુ આર મોસ્ટ વેલકમ્ડ ટુ દિલાવરગઢ..
બરાબર આજની તારીખે સો વર્ષ પહેલા દિલાવરગઢ(નવાગઢ) રેલવે સ્ટેશને ઉતર્યા ત્યારે એક સંભારણારૂપ લેવાયેલી પ્રસ્તુત તસ્વીરમાં ખુરશીમાં બેઠેલાઓમાં (ડાબેથી)  બેરિસ્ટર શુકલ, રાજવી મુળુબાપુ, મહાત્મા ગાંધીજી, કસ્તુરબા, અને દેવચંદ ઓતમચંદ પારેખ દેખાય છે. આ શિવાય જેતપુરમાં સેવાઓની હારમાળા સર્જી સેવાના ભેખધારી તરીકે પંકાયેલા ડોક્ટર દિનશા સાહેબ(ઉભેલાઓમાં પારસી ટોપી પહેરેલ) પણ અન્યો દેશપ્રેમીઓ સાથે હાજર હતા. આ ઈતિહાસિક તસ્વીર મેળવવામાં અને જાળવવામાં જીતુભાઈ ધાધલને કહેવાય છે કે પગે પાણી  આવી ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
અહી રોકાયા હતા જેતપુરમાં ગાંધીજી...
જેતપુરમાં દેવચંદ ઓતમચંદ પારેખનું મકાન કે જ્યાં ગાંધીજીએ રાતવાસો કર્યો હતો. આજે આ જગ્યાએ મંદિર બની ગયું હોય, ગાંધીજીની મુલાકાત સ્થળ વિષે આજની તારીખે શહેરીજનો અજાણ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

 

ટિપ્પણીઓ નથી: