અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ


 

અમદાવાદ

રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં સંરક્ષણ સેવા ભરતી પૂર્વ તાલીમ વર્ગનો પ્રારંભ

રાજ્‍યના દરેક જિલ્લામાં યુનિવર્સિટી દ્વારા તાલીમ કાર્યક્રમોનું આયોજન : ઓ.પી.માથુર

રક્ષા શકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા શહેરની સી.એન.વિદ્યાલય ખાતે સંરક્ષણ સેવા ભરતી પૂર્વ તાલીમ વર્ગનો રક્ષા શકિત યુનિવર્સિટીના મહાનિયામક શ્રી ઓ.પી.માથુરે પ્રારંભ કરાવ્‍યો હતો. તા.8 એપ્રિલથી તા.4 મે સુધી ચાલનારા આ તાલીમવર્ગમાં અમદાવાદ જિલ્લાના 45 તાલીમાર્થીઓને સંરક્ષણ સેવાઓ ભરતી થવા માટે પ્રશિક્ષણ આપવામાં આવશે. અમદાવાદ સાથે રાજ્‍યના 17 જિલ્લાઓમાં 1000 ઉપરાંત તાલીમાર્થીઓને સંરક્ષણ દળોમાં જોડવા માટે તાલીમ આપવાનો આજથી પ્રારંભ થયો છે.

રક્ષા શકિત યુનિવર્સિટીના મહાનિયામક શ્રી ઓ.પી.માથુરે જણાવ્‍યું હતું કે, ગુજરાતના મહત્તમ યુવાનો સંરક્ષણ સેવાઓમાં જોડાય તે માટે રાજ્‍યના દરેક જિલ્લામાં યુનિવર્સિટી દ્વારા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તાલીમ દરમિયાન પસંદગી પામેલ યુવાનોને સંરક્ષણ દળો દ્વારા યોજાતી લેખિત કસોટી તેમજ શારિરીક કૌશલ્‍ય અંગેની નિષ્‍ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે તેમ શ્રી માથુરે ઉમેર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેરના સંયુકત પોલીસ કમિશનર શ્રી વિકાસ સહાય, યુનિવર્સિટીના રજિસ્‍ટ્રાર શ્રી ધીરજ પારેખ, સી.એન. વિદ્યાલયના નિયામક શ્રી પુરાણી, યુનિવર્સિટીના ડીસ્‍ટ્રકટ, કો-ઓર્ડિનેટર સર્વ શ્રી જે.સી.યાદવ, પી.એ.મહેતા સહિત તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

હજ-2013 માટે એકનોલેજમેન્‍ટ રસીદ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરાઇ

હજ-2013 માટે ગુજરાત રાજ્‍ય હજ સમિતિમાં જે અરજદારોએ અરજી કરેલ છે તેઓને કવર નંબરની એકનોલેજમેન્‍ટ રસીદ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. કવર નંબરવાળી રસીદમાં નામ, સરનામા, ટેલિફોન નંબર, કેટેગરી, અરજદારોની સંખ્‍યા વગેરેમાં કંઇ ભૂલથી નોંધ થઇ હોય તો અથવા હજુ સુધી કવર ન મળ્‍યા હોય તેવા અરજદારોએ ભૂલવાળી કવર નંબરની રસીદની ઝરોક્ષ નકલ સાથે ગુજરાત રાજ્‍ય હજ સમિતિ, બ્‍લોક નં-8, 8મો માળ, સચિવાલય, ગાંધીનગરને તા.25-4-2013 સુધીમાં અરજી કરવા ગુજરાત રાજ્‍ય હજ સમિતિના સચિવ શ્રી ટી.એ.સૈયદે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

જેટકો મહેસાણાના હેલ્‍પર સામે અપ્રમાણસર મિલકતો વસાવવા અંગે ગુનો નોંધાયો

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લિ., મહેસાણાના હેલ્‍પર રાજેન્‍દ્રકુમાર રામજીભાઇ પાલડીયાએ પોતાના ફરજકાળ દરમિયાન અંદાજે રૂા.2 કરોડની અપ્રમાણસરની મિલકતો વસાવવા અંગે મહેસાણા પોલીસ સ્‍ટેશનના પો.ઇ. શ્રી એન.એમ.સિંધી અને સરકાર તરફ ફરીયાદી થઇ મહેસાણા એ.સી.બી.માં ગુન્‍હો નોંધાવ્‍યો હતો. જે અન્‍વયે આરોપીના રહેણાંક મકાન બુટા પાલડી, તા.જિ.મહેસાણા ખાતે જડતી લેતાં રૂા.1,11,470/-ની મત્તા મળી આવેલ છે.

પાલનપુરનાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના જુની.કલાર્કને લાંચ કેસમાં એક વર્ષની સખત કેદ તથા રૂા.1000/-નો દંડ

પાલનપુર તાલુકાના વાસણા (ધાણધા)ના રહેવાસી શ્રી ડાહયાભાઇ ધર્માભાઇ ચમારને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની કચેરી, ઢૂંડિયાવાડી, પાલનપુર દ્વારા ભેંસની લોન મંજૂર કરેલ. આ મંજરૂ કરેલ લોનના ચેક આપવા માટે ઢૂંઢિયાવાડી, પાલનપુરની કચેરીનાં જૂનિયર કલાર્ક વસંતભાઇ મસબાભાઇ સોલંકી રૂા.1500ની લાંચ લેતાં ઝડપાયા હતા. જે અન્‍વયે કેસ ચાલતાં ત્રીજી એડિશનલ સેસન્‍સ કોર્ટ, પાલનપુરની અદાલત દ્વારા સોલંકીને એક વર્ષની સખત કેદની સજા અને રૂા.1000/-નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કોર્ટે ફરમાવેલ છે તેમ લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોના મદદનીશ નિયામક શ્રી સુજાતા મજમુદારે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

રાજકોટ શહેરના વેસ્‍ટર્ન રેલ્‍વેના ટ્રાફીક વર્કશોપના આઇ.ઓ.ડબલ્‍યુ રૂા.30 હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ રાણીપ વિસ્‍તારના રહેવાસી શ્રી ધર્મેશભાઇ અરવિંદભાઇ સરવૈયા પાસેથી રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન પર મૂકેલા ડસ્‍ટબીનનું બિલ મંજુર કરવા ટ્રાફીક વર્કશોપ, વેસ્‍ટર્ન રેલ્‍વે રાજકોટના આઇ.ઓ.ડબલ્‍યુ શ્રી નિલેષ નાનજીભાઇ ચાવડા રૂા.30 હજારની લાંચ લેતા ઝડપાયા છે. શ્રી નિલેષ નાનજીભાઇ ચાવડાની અટક કરી  વધુ તપાસ રાજકોટ એ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પટેકટર શ્રી જે.કે.પંડયા કરી રહ્યા હોવાનું લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોના મદદનીશ નિયામક શ્રી સુજાતા મજમુદારે એક યાદીમાં જણાવ્‍યું છે.

ભાવનગર

ગુજરાત રાજયના ઘોડા-ઘોડીનું રાષ્‍ટ્ર કક્ષાએ આગવું સ્‍થાન છે -ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી એસ.કે.નંદા

ભાવનગરના પોલીસ અશ્વદળે ઓવરઓલ સુંદર દેખાવ કર્યો

ગુજરાત રાજયના ઘોડા-ઘોડીનું રાષ્‍ટ્ર કક્ષાએ આગવું સ્‍થાન છે.

ઉપરોકત શબ્‍દો ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી એસ.કે.નંદાએ ભાવનગર ખાતે યોજાયેલ દ્વિતીય ગુજરાત પોલીસ અશ્વ સ્‍પર્ધા ડી.જી.કપ-૨૦૧૩ના સમાપન સમારોહ પ્રસંગે ઉચ્‍ચાર્યા હતા. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે રાજયમાં પોલીસ તથા એસ.આર.પી. બંને વિભાગના મળીને અંદાજે ૬૦૦ જેટલા ઘોડા-ઘોડી છે. તેમાથી કેટલાક ઘોડા-ઘોડીના કરતબો ભાવેણાવાસીઓને જોવા મળ્યા છે. તેમણે ભાવેણાવાસીઓને તથા અશ્વ શોમાં ભાગ લેનારા અશ્વો તથા અશ્વપાલકોની મુકતકંઠે પ્રશંસા કરી હતી. અને જણાવ્‍યું હતું કે હવે પછીના વર્ષોમાં આ પ્રકારના અશ્વોના કાર્યક્રમોની ગ્‍લોબલ લેવલે ચર્ચા થશે.

આ પ્રસંગે ઉપસ્થિત જુનાગઢ રેન્‍જના આઇ.જી.પી. શ્રી ઇ.રાધાકૃષ્‍ણને જણાવ્‍યું હતું કે આ પ્રકારનો કાર્યક્રમ પહેલી વખત ભાવનગરના આંગણે યોજાયો છે. ગુજરાતનું અશ્વદળ સમગ્ર દેશમાં પ્રખ્‍યાત છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે તા.૪ એપ્રીલથી ૭ એપ્રીલ ૨૦૧૩ સુધી યોજાયેલ દ્વિતીય ઓલ ગુજરાત માઉન્‍ટેડ પોલીસ અશ્વ સ્‍પર્ધા ડી.જી.કપ ૨૦૧૩ માં ભાવનગર જિલલાના પોલીસ અશ્વદળ યુનિટે ૩ ગોલ્‍ડમેડલ, ૧ સિલ્‍વર મેડલ અને ૩ બ્રોન્‍જ મડલ મેળવી ઓવરઓલ સ્‍પર્ધામાં ચેમ્‍પીયનશીપ મેળવેલ છે.

વિજેતા સ્‍પર્ધકોને ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી એસ.કે.નંદા તેમજ જુનાગઢ રેન્‍જના આઇ.જી.પી.શ્રી ઇ.રાધાકૃષ્‍ણન, ગાંધીનગર રેન્‍જના આઇ.જી.પી. શ્રી શમશેરસિંગ, જિલ્‍લા કલેકટરશ્રી વી.પી.પટેલ, જિલ્‍લા પોલીસ વડા શ્રી મનીન્‍દર પવાર, તથા ઉપસ્થિત અન્‍ય મહાનુભાવોના હસ્‍તે ટ્રોફી, ચંદ્રક સર્ટીફીકેટ અપાયા હતા. સિવીલીયન અશ્વપાલક વિજેતા ટીમોને રોકડ પુરસ્‍કારો અપાયા હતા. 

૧૩ પ્રકારની અશ્વશો સ્‍પર્ધામાં રાજયના ખેડા, હિંમતનગર, ગાંધીનગર, સાબરકાંઠા, પાલનપુર, અમદાવાદ શહેર, ભાવનગર, વડોદરા ગ્રામ્‍ય, કચ્‍છ-ભુજ, રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ શહેર, જુનાગઢ, સુરેન્‍દ્રનગર, ગોધરા, પાટણ, સુરત જિલ્‍લાએ ભાગ લઇ ટ્રોફી, ચંદ્રકો, પ્રમાણપત્રો મેળવ્‍યા હતા.

આ સ્‍પર્ધામાં નિર્ણાયકો તરીકે મૈસુર માઉન્‍ટેડ પોલીસના કમાન્‍ડન્‍ટશ્રી એમ.શેટ્ટી, નેશનલ પોલીસ એકેડેમી હૈદ્રાબાદના ડો.કે.સી.એસ.રેડ્ડી તથા રીટાયર્ડ પોલીસ વિભાગના આઇ.પી.એસ. અધિકારીશ્રી આર.ડી.ઝાલાએ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડી.વાય.એસ.પી.શ્રી બી.જી.લીંબાસીયા, શ્રી ખરાડી, સુશ્રીપન્ના મામૈયા, ડી.વાય.એસ.પી.શ્રી સોલંકી સહિતના પોલીસ વિભાગના કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ભાવેણાવાસીઓ બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા.

સ્‍વાગત પ્રવચન જિલ્‍લા પોલીસ વડાશ્રી મનીન્‍દર પવારે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવિણભાઇએ કર્યુ હતું.

તળાજા ખાતે તાલુકા કક્ષાનો  ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ એપ્રીલના રોજ યોજાશે

મામલતદારશ્રી તળાજાની અખબારીયાદીમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ભાવનગરના અધ્‍યક્ષસ્‍થાને મામલતદાર કચેરી તળાજા ખાતે તા.૨૪-૪-૧૩ રોજ બપોરના ૧૧ વાગ્‍યે તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમ માટે અરજી તા.૧૦-૪-૨૦૧૩ સુધીમાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્‍યાન મામલતદાર કચેરી, તળાજા ખાતે બે નકલમાં સ્‍વીકારવામાં આવશે. અરજી કરનાર અરજદારે મોબાઇલ નં., ટેલીફોન નં. અરજીમાં લખવાના રહેશે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, કોર્ટમેટર તથા નિતિવિષયક બાબતો સિવાયની અરજીઓ સ્‍વીકારવામાં આવશે. ગ્રામ કક્ષાની અરજીઓ જે તે તલાટી-કમ-મંત્રીશ્રીઓને રજુ કરવાની હોય છે.

 રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા પાલનપુર તાલુકાના જગાણા મુકામે સંરક્ષણ દળના તાલીમ વર્ગનો પ્રારંભ થયો.'

 રક્ષા શકિત યુનિવર્સિટી આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ છે.- પૂર્વ સાંસદ શ્રી હરિભાઇ ચૌધરી

રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા પાલનપુર તાલુકાના જગાણા મુકામે શ્રીમતી સુંદરબેન ખેમચંદભાઇ મહેતા હાઇસ્‍કુલમાં સંરક્ષણ દળના ૩૦ દિવસના તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે. ઉલ્‍લેખનીય છે કે રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા આયોજીત થતા આવા તાલીમ વર્ગથી ગુજરાતના યુવાનોને સંરક્ષણ દળોમાં ભરતી થવાથી સોનેરી તક ઉપલબ્‍ધ બને છે.

તાલીમ વર્ગનું ઉદઘાટન જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી એમ. એસ. પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે તેમણે જણાવ્‍યુ હતુ કે એક મહિનાના આ રેસીડેન્‍સીયલ કોર્સથી યુવાનોને સંરક્ષણ દળમાં ભરતી થવા માટે સોનેરી તક મળી છે તેમણે કહ્યુ કે સારી કારકિર્દી મેળવવા ઉંચુ ધ્‍યેય, મજબુત આત્‍મવિશ્વાસ અને મહેનત કરીએ તો સફળતા જરૂર મળે છે. શ્રી પટેલે વિવિધ પ્રેરણાદાયી ઉદાહરણો આપીને યુવાનોને આગળ વધવા પ્રોત્‍સાહન પુરૂ પાડ્યુ હતુ. શ્રી પટેલે કહ્યું કે ઇન્‍ટરનેટના આ યુગમાં ભણતા વિધાર્થીઓ સરળતાથી વિસ્‍તૃત માર્ગદર્શન મેળવીને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં સારી સફળતા મેળવે છે. તેમણે એમ પણ કહ્યું કે તાલીમ વર્ગ દરમ્‍યાન યુવાનોને માર્ગદર્શન આપવા ૧ કલાકનો સમય ફાળવવા તેઓ પ્રયત્‍ન કરશે.    પૂર્વ સાંસદ અને જગાણા કેળવણી મંડળના પ્રમુખશ્રી હરિભાઇ ચૌધરીએ જણાવ્‍યુ હતુ કે રક્ષા શકિત યુનિવર્સિટી આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ છે .તેમણે કહ્યું કે મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના કુશળ માર્ગદર્શનને લીધે ગુજરાતમાં રક્ષા શકિત યુનિવર્સિટી સ્‍થાપવામાં આવે છે. શ્રી ચૌધરીએ કહ્યું કે આ તાલીમ વર્ગથી યુવાનોને સંરક્ષણ દળમાં ભરતી થવા ઉજ્જવળ તક મળી છે.

આ તાલીમ વર્ગમાં ૪૨ યુવાનોની પસંદગી કરવામાં આવી છે. તેઓને જગાણા મુકામે ૩૦ દિવસ સુધી સુઆયોજીત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમાર્થીઓને રહેવા જમવાની વિનામૂલ્‍યે સગવડ ઉપરાંત દેનિક રૂ. ૧૦૦૦-૦૦ સ્‍ટાઇપેન્‍ડ આપવામાં આવે છે.             કાર્યક્રમમાં પાલનપુર સીટી પી. આઇ. શ્રી આર. કે. પટેલ, ટ્રસ્‍ટીશ્રી નાથુભાઇ ચૌધરી, સરપંચશ્રી વસંતભાઇ, મંત્રીશ્રી બેચરભાઇ, સહમંત્રીશ્રી નાથુભાઇ, શાળાના આચાર્યશ્રી કરસનભાઇ, રક્ષા શકિત યુનિવર્સિટીના કો. ઓર્ડીનેટર શ્રી રાજેશભાઇ પટેલ, નાયબ જીલ્‍લા શિક્ષણાધિકારીશ્રી ચોધરી, અગ્રણીઓ તથા તાલીમાર્થી યુવાનો ઉપસ્‍થીત રહ્યા હતા.

અવસાન પામેલ ખેડુત ખાતેદારોની વારસાઇ નોંધ ઝડપથી કરવા કલેકટરશ્રીની ખાસ સુચના.''

વારસાઇ નોંધો શોધવા મહેસુલી અધિકારીઓની ટીમો બનાવાઇ.''

નોધ ન થઇ હોય તેવા ખેડુતો અધિકારીઓને વિગતો આપી ઝુંબેશનો લાભ લઇ નોંધ કરાવે.

બનાસકાંઠા જીલ્‍લામાં જે ખેડૂત ખાતેદારોનું અવસાન થયેલ છે અને મહેસુલી રેકર્ડમાં વારસાઇ નોંધ થયેલ નથી તેવા ખેડુતોની વારસાઇ ઝુંબેશરૂપે કરવા બનાસકાંઠા જિલ્‍લા કલેકટર, શ્રી એમ. થેન્‍નારસન (આઇ. એ. એસ.) દ્વારા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓને સુચના આપવામાં આવી છે. તેમજ વારસાઇ નોંધો શોધવા માટે મહેસુલી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની ટીમો પણ બનાવવામાં આવી છે. તેથી જે કોઇ ખેડૂત ખાતેદારનું અવસાન થયેલ હોય અને મહેસુલી રેકર્ડમાં વારસાઇ નોંધ ન થયેલ હોય તો સંબંધિત અધિકારીશ્રીને વારસાઇ નોંધ બાબતે જરૂરી વિગતો પુરી પાડી વારસાઇ નોંધની ઝુંબેશની કામગીરીમાં મદદરૂપ થવા અને આ ઝુંબેશનો લાભ લેવા કલેકટરશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્‍લામાં આ ઝુંબેશના ભાગ રૂપે તા. ૨૫/૩/૨૦૧૩ થી તા. ૬/૪/૨૦૧૩ ના સમય દરમ્‍યાન કૂલ ૮૮૯ બાકી વારસાઇ નોંધો શોધવામાં આવી છે.

 

 

ટિપ્પણીઓ નથી: