રાજકોટ-જેતપુરની ઉદ્યમશિલ જનતાની સુવિધા માટે રૂ.૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરતા મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે અનેક પ્રકારના નિર્ણયો કર્યા છે. બિનખેતીના પ્રિમિયમમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો છે. ખેતીથી ખેતીના વેચાણના પ્રિમિયમમાં પણ રાહતો આપવામાં આવી છે. ખેડૂતની જમીન કોઇ જમીન માફિયા હડપ ન કરી જાય એ માટે મહેસૂલ વિભાગ દ્વારા ઈ-જમીનનો પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કર્યું છે. રાજ્યના ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવ્યા છે.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્લાસ્ટર કરવામાં આવશે. આંતરિક રસ્તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંગ, ટ્રી પ્લાન્ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડ બી., જિલ્લા પંચાયત અને સ્ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.
1 ટિપ્પણી:
ભૂમાફિયાઓ સામે કાર્યવાહી થાય તે સારી વાત છે પણ ગરીબોને રાહત ભાવે જમીન મળે તેવે વ્યવસ્થા પણ થવી જોઈએ. જો જરૂરવાલા લોકોને કાયદેસર જમીન મળી રહે તો ગેરકાયદે જમીન દબાણ ઓછું થઇ જાય.
-રામ ઠક્કર
ટિપ્પણી પોસ્ટ કરો