અનુયાયીઓ

સોમવાર, 29 જુલાઈ, 2019

દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધનની સર્વત્ર શોક..


દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા  વિઠ્ઠલભાઈ રાદડીયાના નિધનથી સર્વત્ર શોક..
(કશ્યપ જોશી)
@@@@@@@@@@@@@
કાલે વહેલી સવારે પાર્થિવ દેહ અમદાવાદથી જામકંડોરણા લવાશે; સવારે 7 થી 12 ક્ધયા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રખાશે: બપોરે 1 વાગ્યે નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા :રાજકારણ, સહકારી, સામાજીક, ખેડુત નેતા તરીકે તમામ ક્ષેત્રોનાં ‘અદકેરા યોદ્ધા’ :પોણા બે વર્ષથી બિમારીની સારવાર હેઠળ રહેલા વિઠ્ઠલભાઈએ સવારે અંતિમ શ્ર્વાસ લીધા: ‘સૌરાષ્ટ્રના સિંહ’, ‘છોટે સરદાર’, તરીકે લોકપ્રિય :રાજકારણથી માંડીને સમગ્ર જાહેર જીવનમાં શોકનું મોજુ; વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી વગેરેની શોકાંજલી
@@@@@@@@@@@@@@@@

સૌરાષ્ટ્રનાં સિંહ તરીકે જાણીતા તથા રાજકીય સહકારી, સામાજીક, ધાર્મિક સહીતના તમામ ક્ષેત્રોમાં આગવી નામનાં ધરાવવા સાથે લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે દુ:ખદ અવસાન થયુ હતું. તેઓ 61 વર્ષના હતા.

80 ના દાયકામાં રાજકીય સફર શરૂ કરનારા અને સફળ થવા માટે ઘણા સંઘર્ષો કર્યા બાદ લોકસેવાને જ જીવનનો મંત્ર બનાવી દેનારા વિઠ્ઠલભાઈ રાદડીયાનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયુ હતું. અમદાવાદ ખાતે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જાહેર ક્ષેત્રમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

વિઠ્ઠલભાઈ રાદડીયાએ અંતિમ શ્ર્વાસ ખેંચ્યા તે વખતે પુત્ર અને રાજયના પ્રધાન જયેશભાઈ રાદડીયા, અરવિંદ તાળા, રાદડીયા પરિવારના સભ્યો સહીતના આગેવાનો હાજર હતા દરેકની આંખો ભીની થઈ હતી.

વિઠ્ઠલભાઈ રાદડીયાનું અંદાજીત બે વર્ષ પૂર્વે આરોગ્ય લથડયુ હતું. આ વખતે તેમને અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબો વખત હોસ્પીટલમાં રહ્યા બાદ અમદાવાદમાં જ નિવાસસ્થાન પર તબીબી ટીમ દ્વારા નિયમીત સારવાર કરવામાં આવી રહી હતી. તેઓની તબીયત સ્થિર થવા સાથે ધીમો સુધારો હતો પરંતુ આજે તબીયત વધુ નબળી પડી ગયા બાદ સવારે 10 વાગ્યાનાં અરસામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ વખતે જયેશ રાદડીયા તથા પરિવારનાં સભ્યો સાથે હાજર અરવિંદ તાળાએ કહ્યું હતું કે સવારે તબીયત લથડતા તાબડતોબ પરિવારનાં સભ્યો સાથે પહોંચ્યા હતા.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને આજે રાત્રે અમદાવાદથી જામકંડોરણા લઈ આવવામાં આવશે. પાર્થિવ દેહ કાલે વહેલી સવારે જામકંડોરણા લાવવામાં આવશે. સવારે સાતથી બાર વાગ્યા સુધી તે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે અને આવતીકાલે બપોરે એક વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

સહકારી અને ખેડૂત નેતા તરીકે જાણીતા અને ખરા અર્થમાં લોકનેતા બનેલા વિઠ્ઠલભાઈ રાદડીયા ચાર દાયકા જેટલી રાજકીય સફરમાં કોંગ્રેસ, રાજપામાં પણ રહી ચુકયા હતા અને છેલ્લે ભાજપમાં સામેલ થયા હતા.

1987 માં જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યા બાદ રાજકીય ક્ષેત્રે એક પછી એક ઉંચાઈ હાંસલ કરતા રહ્યા હતા. 1990 થી 2009 સુધી ધારાસભ્યોપદે રહેલા વિઠ્ઠલભાઈ રાદડીયા 1996 થી 1999 દરમ્યાન રાજય મંત્રીમંડળમાં કેબીનેટ પ્રધાનપદે રહી ચુકયા હતા. ખાણ ખનીજ તથા સહકારી વિભાગનો હવાલો હતો.

રાજયના રાજકારણમાંથી તેઓએ રાજકીય રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો સામાન્ય ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠકથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. સંસદમાં પણ બે ટર્મ રહ્યા હતા.

આ સિવાય રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં વર્ષો સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત માર્કેટ યાર્ડ સહીતની સહકારી સંસ્થાઓમાં પ્રમુખ રહ્યા હતા સહકારી સંસ્થાઓમાં પ્રમુખ ગમે તે હોય તેમાં દબદબો વિઠ્ઠલભાઈ રાદડીયાનો જ રહેતો હતો અને તેમનાં સમર્થક જ પ્રમુખપદે રહેતા હતા.

સામાજીક ક્ષેત્રે પણ મોટુ યોગદાન જાણીતું છે. હરીદ્વાર, મથુરા, નાથદ્વારા જેવા ધર્મસ્થાનોમાં પાટીદાર સમાજ ભવન ઉભા કરવા, ક્ધયા છાત્રાલયો સ્થાપવા, ગૌશાળા સહીતના કાર્યો એકલા હાથે ઉપાડયા હતા અને તેમાં સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

ચારેક વર્ષ પુર્વે કેન્સરની બિમારી લાગુ પડયા બાદ અમેરીકામાં ઓપરેશન કરાવીને આ રોગને મ્હાત આપી હતી અને સાજા-નરવા થઈને ફરી જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા હતા. જોકે 2017 ના અંતિમ મહિનાઓમાં તબીયત લથડી હતી અને લાંબી સારવાર છતાં ફરી તેમાંથી બેઠા થઈ શકયા નહોતા અને આજે નિધન થયુ હતું.

તેઓના અવસાનનાં સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી માંડીને પ્રધાનો-ધારાસભ્યો આગેવાનોએ ઉંડા શોક દર્શાવીને શોકાંજલી આપી હતી.

ટિપ્પણીઓ નથી: