અનુયાયીઓ

મંગળવાર, 30 ડિસેમ્બર, 2014

ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!


રવિવારની રાત્રીએ 2 પ્રસુતા ગાયનેક તબીબ વગર ભારે હેરાન પરેશાન થઇ !
ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી 
હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!
જેતલસર-બોરડી સમઢીયાળાના યુવાનોએ બંને પ્રસુતાઓને મહામહેનતે અન્યત્ર ખસેડી !
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર)  તા.30
જેતપુરની સરકારી હોસ્પિટલમાં  પૂરતા તબીબી સ્ટાફને અભાવે અનેક દર્દીઓ પારાવાર હેરાન પરેશાન થઇ નાછુટકે મોઘીદાટ દાકતરી સારવાર લેવા મજબૂર થતા હોવાનો એક કિસ્સો ગત રવિવારની રાત્રીએ બહાર આવતા સેવાભાવી અને જાણકાર વર્તુળોમાં હોસ્પિટલસુત્રો પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગયા રવિવારે રાત્રીના 10 વાગ્યે જેતપુરની સરકારી હોસ્પીટલમાં 2 પ્રસુતાઓ પ્રસવની વેદના સાથે દાખલ થઇ હતી. પણ આ અદ્યતન અને એક સમયે તબીબી સારવામાં એ ગ્રેડ મેળવી ચુકેલી સરકારી હોસ્પિટલમાં ગત રવિવારના રોજ ધોરાજી રોડ પર  રહેતા  
ગરીબ પરીવારના કાળુભાઈ પરમારના પત્ની લીલાબેનને અને બોરડી સમઢીયાલા ગામે કુમન બુટાણી નામના ગૌસેવકની વાડીએ ખેત મજુરી કરતી પરપ્રાંતિય મહિલા બાઈલીબેન રવીનભાઈ ચૌહાણ  એમ બંને  પ્રસવ વેદના બંધ કરવા હોસ્પીટલમાં કોઈ ગાયનેક તબીબ નાં હોય આ બંને પ્રસુતાઓ 
કલાકો સુધી કણસતી રહી હતી.
દરમિયાન સરકારી હોસ્પીટલનો આ મામલો જેતલસરના જાગૃત ખેડૂત યુવાન  અરવિંદ રૂપાપરાએ  રાત્રિનાજ હોસ્પીટલના મેડીકલ ઓફિસર નિકિતાબેન પડિયાને રજુઆતો કરતા મહિલા તબીબે પોતાની કક્ષાએથી જરૂરી જડપી સારવાર અપાવી સરકારી હોસ્પીટલમાં ગાયનેકની જગ્યા પર કોઈ તબીબ ના હોય અન્ય હોસ્પીટલમાં બંને મહિલાઓને રીફર કરાવી હતી. 
જેમાં લીલાબેન નામની મહિલાને જુનાગઢ સરકારી દવાખાને ખસેડાઈ હતી. અને બાઈલીબેનને અહીના ખાનગી મેટરનિટી હોમમાં ખસેડાઈ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે 52 ગામડાઓના  જેતપુર તાલુકા મથકે ઉભી થયેલી અદ્યતન સરકારી હોસ્પીટલની અંદર જો આંટો મારવામાં આવે તો આ હોસ્પિટલ ખાલી જગ્યાઓના રોગથી પીડાતી હોય સ્થાનિક રાજકીય નેતાગીરી પણ હોસ્પીટલમાં જરૂરી સારવાર, સેવા ઉપલબ્ધ કરવામાં રીતસરની વામણી સાબિત થઇ રહી છે. 
માત્ર ફોટા પડાવી સેવાના દેખાડા કરતા સ્થાનિક રાજકારણીઓએ કદી કોઈ જગ્યાએ અસરકારક રજુઆતો કરવાનું મુનાશીબ માન્યું ના હોય, અહી રોજ સવાર પડે ને કેટ કેટલા ગરીબો આરોગ્યલક્ષી સરકારી સેવાઓથી વંચિત રહી જઈ મોઘીદાટ તબીબી સારવારમાં મજબુરવશ આર્થિક ભાર વેંઠી રહ્યા છે. 
બોક્સ: દર્દીની સમજવામાં ગફલતથી પૈસા ચુકવવા પડ્યા !!
જેતલસર: રવિવારની પ્રસુતાઓની આ ઘટના સમયે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ગાયનેક સારવાર મફત અપાશે તેવું એક ખાનગી પ્રસુતિગૃહનું બોર્ડ વાંચી ગયેલા બૈલીબેન સાથેના સેવાભાવીઓ કુમન બુટાણી વિગેરે અહીના કોર્ટ નજીકના એક ખાનગી પ્રસુતિગૃહમાં દાખલ થયા થયા હતા. પણ સારવાર દરમિયાન ઉપરોક્ત પરપ્રાંતીય મહિલાને રૂ.3500 થી 4000 ખર્ચ ચૂકવવો પડ્યો હતો. દર્દીના આવા આક્ષેપની તપાસમાં કોરાટ પ્રસુતિ ગૃહ સુત્રોએ જણાવેલ કે તેમના દવાખાનામાં ગાયનેક સારવાર અને તપાસ મફત જ કરાય છે પણ ઓપરેશન દરમિયાન સ્ટીચ, બ્લડ, અન્ય બહારથી મંગાવવી પડેલી દવાનો ચાર્જ વસુલવો પડતો હોય છે જે દર્દીને પણ પુંછીને જ કરાયો હોય છે.

બોક્સ: જેતપુરની હોસ્પીટલમાં કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે ?
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કઈ પોસ્ટ ઉપર કેટલી ખાલી જગ્યા છે ? તે વાતની જાણકારી  દરમિયાન સરકારી હોસ્પિટલ  જેતપુરના સુપ્રિન્ટેન્ડન્ટ સુખાન્દીએ જેતલસર - જેતપુરના યુવા પત્રકાર કશ્યપ  જોષીને જણાવેલ કે  અહિ ખાલી જગ્યા  ઉપર નીમણુંકો કરવા તેઓ દ્વારા દર મહીને આરોગ્ય કમિશ્નરને રજુઆતો કરાય છે પણ કઈ ઘટતું ના થયું હોય  તે પણ દેખીતું છે. આવો વસવસો વ્યક્ત કરતા સુખાનંદીએ જણાવેલ કે જેતપુર સરકારી હોસ્પીટલમાં ક્લાસ-1 વર્ગમાં સુપ્રી., રેસીડેન્ટ મેડીકલ ઓફિસર, પેથોલોજીસ્ટ, એનેશ્થેતીસ્ટ,રેડિયોલોજીસ્ટ, તથા ઓર્થોપેડિક સર્જન એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 માં 1 મેડીકલ ઓફિસર, વર્ગ-3 માં સીની.  જૂની- ક્લાર્ક, મેટ્રન,  હેડ અને સ્ટાફ નર્સ  એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-4 માં કુક અને આયા 1-1, વોર્ડ સર્વન્ટ - 4, મેલ-ફીમેલ સ્વીપર-3 જગ્યાઓ ખાલી છે. હોસ્પીટલના પીપીયું(પબ્લિક પેશન્ટ યુનિટ)માં લેબ ટેકનીશ્યન અને ઓટી નર્સ સહીત 8 જગ્યાઓ ખાલી છે. આ તમામ ખાલી ખુરશીઓ પર તાકીદે નિમણુંકો કરાય તો દર્દી આલમની હેરાનગતિ  થાય તેવું સુખાનંદીનું કહેવું થતું હતું.
બોક્સ: અદ્યતન ટ્રોમાં સેન્ટરમાં 35 જગ્યાઓ ખાલી !!
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કે વિશાળ ટ્રોમાં સેન્ટર કાર્યરત કરાયું છે. પણ આ સેન્ટરમાં પણ ઓર્થોપેડિક સર્જન-1, એનેસ્થેટિસ્ટ-1, તબીબી અધિકારી-3, રેડિયોગ્રાફર-1, સ્ટાફ નર્સ-15, લેબ.ટેક.-1, ઓટી ટેકનીશ્યન-2, વર્ગ-4 માં નાર્શિંગ એટેન્ડેન્ટ-5 તથા સફાઈ કર્મચારી-6 એમ કુલ 35 જગ્યાઓ ખાલી હોય, ટ્રોમાં સેન્ટરમાં જે રીતથી અને જે ઝડપથી આરોગ્યલક્ષી સારવાર થવી જોઈએ તે નાં થતી હોવાનું હોસ્પિટલસુત્રોમાંથી જાણવા મળે છે.
કશ્યપ જે.જોશી, જેતલસર(જેતપુર) 99742 62812


ટિપ્પણીઓ નથી: