અનુયાયીઓ

શુક્રવાર, 10 મે, 2013

ફતેવાડી કેનાલની સુધારણાનું કામ પૂરજોશમાં સિંચાઇના પાણીના ખપ પૂરતા ઉપયોગ સાથે ખેડૂતો પાક ફેરબદલીની માનસિકતા કેળવે - શ્રી ચુડાસમા

ડાંગરના બદલે કપાસના વાવેતરથી ઓછા પાણીએ વધુ ઉત્‍પાદન દ્વારા ખેતીની આવક બમણી થયાના અનેક ઉદાહરણો

ચાંગોદર ખાતે ફતેવાડી નહેર સુધારણાની કામગીરીની સિંચાઇ મંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં કરાયેલી સમિક્ષા

સિંચાઇ યોજના અંતર્ગત હયાત કેનાલોની સુધારણા અને નવીનીકરણ દ્વારા પાણીની વહન ક્ષમતા વધારવાનું અભિયાન સિંચાઇ વિભાગ દ્વારા ચાલી રહ્યું છે. તે અંતર્ગત અમદાવાદ જિલ્લાની ફતેવાડી યોજનાની નહેરોના નવીનીકરણ અને સુધારણાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરીની સમિક્ષા સાથે ખેડૂતોને પણ તેની જાણકારી મળી રહે તે હેતુથી ગઇકાલે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને સિંચાઇ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરિયા તથા સ્‍થાનિક ધારાસભ્‍યશ્રીઓની ઉપસ્‍થિતિમાં બાવળા પાસેના ચાંગોદર ખાતે ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી. અમદાવાદ જિલ્લા સિંચાઇ ખાતાએ રૂા.126 કરોડના ખર્ચે ફતેવાડી યોજના હેઠળની વિવિધ નહેર-પેટા નહેરો સાથે કુલ 360 કિ.મી. લંબાઇની નહેરોની સુધારણા અને નવીનીકરણના કામ હાથ પર લીધા છે. જેમાંનું 25 ટકા કામ પૂર્ણ પણ થઇ ગયું છે.

કેનાલના નવીનીકરણ અને તેની સુધારણાના કારણે સિંચાઇના પાણીનો જથ્‍થો વધશે, તેનો ઉલ્લેખ કરી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ નર્મદાના પાણીના વિવેકપૂર્ણ કરકસરયુકત ઉપયોગની માનસિકતા કેળવવા ખેડૂતોને અપિલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ફતેવાડી કેનાલના લાભાર્થી વિસ્‍તારોમાં મોટા ભાગે ડાંગર અને ઘઊંનો જ પાક લેવાય છે. જેમાં ખેડૂતો જરૂર કરતાં પણ વધુ પાણીનો ઉપયોગ કરી ડાંગર પકવે છે, પરંતુ કૃષિ વિજ્ઞાનના સંશોધનો અને તેના તારણો પ્રમાણે હવે તદ્દન ઓછા પાણીએ ડાંગરને પાણી આપવાથી પણ ડાંગરનું વધુ ઉત્‍પાદન લઇ શકાય છે, અને અનેક ખેડૂતોએ તેના સફળ પ્રયોગ પણ કર્યા છે. ક્‍યાંક માત્ર ડાંગરના બદલે કપાસ જેવા પાકના વાવેતર સાથે પાક ફેરબદલીના પ્રયોગો પણ આ વિસ્‍તારમાં થયા છે, પાક ફેરબદલીથી પણ ખેડૂતોની ખેતીની આવક વધ્‍યાના અનેક ઉદાહરણો છે. ડાંગરના બદલે કપાસનું વાવેતર કરવાથી ડાંગર કરતા દોઢ ગણી વધુ આવક પણ પ્રયોગશીલ ખેડૂતોએ મેળવી છે અને તેમાં પાણીની બચત પણ સારી એવી થવાથી વધુ ખેડૂતોને પાણીનો લાભ મળે છે, તેમ શ્રી ચુડાસમાએ જણાવ્‍યું હતું.

જળસંપત્તિ અને કૃષિ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરિયાએ સિંચાઇની સુવિધા વધારવા રાજ્‍ય સરકારે કરેલા આયોજનની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે રાજ્‍યના નાના, મોટા જળાશયો ગામતળાવો ઊંડા કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગામ તળાવા અને જળાશયો ઊંડા કરીને એક લાખ ઘનમિટર માટી બહાર કાઢવામાં આવી છે. એ જ રીતે સુધારણાની કામગીરી પણ ચાલુ છે ત્‍યારે ઉપલબ્‍ધ જળરાશિનો ખેડૂતોએ સદુપયોગ કરવાની જરૂર છે. કૃષિ વિજ્ઞાનનો ઉપયોગ કરી ઓછા પાણીએ,

વધુ આવક રળી આપતા કયા પાકો લઇ શકાય તેની માહિતી મેળવીને ખેડૂતોએ અન્‍ય પાકોના વાવેતર તરફ વળવું જોઇએ. શ્રી બોખિરિયાએ જળ વ્‍યવસ્‍થાપનની જરૂરિયાત સાથે મલ્‍ચિંગ પધ્‍ધતિથી ખેતીની જરૂરિયાત પર પણ ભાર મૂકયો હતો.

કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીઓએ કુપોષિત બાળકોને પૌષ્‍ટિક આહાર ફળોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય ઇજનેર શ્રી એમ.કે.જાદવ, અધિક્ષક ઇજનેર શ્રી પી.સી.વ્‍યાસ તથા કાર્યપાલક ઇજનેર શ્રી જી.એન.શાહ, ફતેવાડી કેનાલ સુધારણાની કામગીરીની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્‍યો સર્વશ્રી બાબુ જમદાનાસ પટેલ, શ્રી કમશીભાઇ તળપદા (કોળી પટેલ) પૂર્વ ધારાસભ્‍ય અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કમાભાઇ રાઠોડ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી કાંતિભાઇ લકુમ, જિલ્લા ભાજપના અગ્રણી શ્રી કુશળસિંહ પઢેરિયા, બાળવા એપીએમસીના ચેરમેન શ્રી કાનભા ગોહિલ, ધોળકા એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી પ્રવિણભાઇ ડાભી તથા ખેડૂતો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી દ્વારા 17મી રાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધાનું આયોજન

''ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન'' વિષય પરની ફોટોગ્રાફી સ્‍પર્ધા માટેની ફોટોકૃતિઓ તા.17થી 29 જૂન સુધી સ્‍વીકારવામાં આવશે

ગુજરાત રાજ્‍ય લલિતકલા અકાદમી દ્વારા ''ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન'' વિષય પર 17મી રાષ્‍ટ્રિય કક્ષાની ફોટોગ્રાફી સ્‍પર્ધા યોજાનાર છે. આ સ્‍પર્ધામાં કલર તેમજ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ એમ બે વિભાગમાં સ્‍પર્ધા યોજવામાં આવશે. પ્રત્‍યેક વિભાગમાં પ્રથમ ઇનામ રૂા.10,000/-, દ્વિતિય ઇનામ રૂા.7000/-, તૃતિય ઇનામ રૂા.5000/- તથા રૂા.1000/-ના પાંચ આશ્વાસન ઇનામ આપવામાં આવશે. દેશના ફોટોગ્રાફી કલા ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહન મળે તથા તેમનો ઉત્‍સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી પ્રત્‍યે વિષયલક્ષી રૂચી કેળવાય તેવા આશયથી આ 17મી રાષ્‍ટ્રિય ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ભારત દેશના કલાકારો / કલાના ચાહકો / કલા સંસ્‍થાના વિદ્યાર્થીઓ પાસેથી ફોટોકૃતિઓ સ્‍પર્ધા માટે મંગાવવામાં આવે છે. આગામી તા.17-6-2013થી તા.29-6-2013 સુધી જ ફોટો કૃતિઓ સચિવશ્રી, ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-380006 ખાતે સ્‍વીકારવામાં આવશે. સ્‍પર્ધા અંગેની વિગતો આ જ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજૂ કરવાની કરવાની ફોટોકૃતિઓ સાથે તે સરનામે તા.29-6-2013 પહેલા મોકલવાની રહેશે. આ સ્‍પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in ઉપર ગુજરાત રાજ્‍ય લલિતકલા અકાદમી માંથી ડાઉનલોડ કરી મેળવી શકાશે તેમ સચિવશ્રી, ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરાનો પ્રવાસ કાર્યક્રમ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આજે તારીખ ૧૦/૫/૨૦૧૩ શુક્રવારના રોજ સવારે ૧૦- ૦૦ કલાકે કુબાધરોલ ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત વડાલીના ૧૬ ગામોમાં તૈયાર કરવામાં આવેલ તળાવોની મુલાકાત સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા તથા વડાલી તાલુકાના આગેવાનો લેશે. જેમાં ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. એમ  એક અખબારી યાદીમાં જણાવાયું છે.    

 

હરસોલ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા ઉપસ્થિત રહેશે. 

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ મુકામે તા. ૧૩/૦૫/૨૦૧૩ સોમવારના રોજ ૧૪- ૦૦ કલાકે યોજાનાર બાવીસા પરગણા રોહિત સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્નોત્સવમાં સવારે ૧૦ થી ૧૧ કલાક દરમિયાન હસ્ત મેળાપ, બપોરે ૨-૦૦ કલાકે ભોજન સભારંભ તથા સાંજે ૫- ૩૦ કલાકે કન્યા વિદાયનો કાર્યક્રમ યોજાશે. સમૂહ લગ્નોત્સવમાં નરોડાના પૂજય ગોવિંદરરામ બાપૂ, કૈયલના જયમાડી, મોટુકાનાઆચાર્ય સંત શ્રીનવનીતદાસ, શીણાવાડના સંત શ્રી પુરૂષેત્તમ બાપુ, ઓરણના સંત શ્રી દલપતરામ જેહા બાપ ગુરૂગાદી અને ઇસનપુરના શ્રી અમૃતદાસ આશિર્વચન પાઠવવા વિશેષ ઉપસ્થિત રહેશે.

 

ભિલોડામાં ડુંગરી ગરાસીયા સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે.

સાબરકાંઠા જિલ્લાના ભિલોડાના બી.ડી.ડામોર ફાર્મ હાઉસ મુકામે તા. ૧૨/૦૫/૨૦૧૩ રવિવારના રોજ ડુંગરી ગરાસીયા આદિવાસી સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં ૩૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.

આ નવદંપતિઓને આશિર્વચન પાઠવવા ભિલોડાના ધારાસભ્ય શ્રીડૉ. અનિલભાઇ જોષીયારા, ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઇ કોટવાલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમીલાબેન બારા, ભિલોડા, વિજયનગર તથા મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે, એમ ડુંગરી ગરાસીયા વિકાસ ટ્રસ્ટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

જિલ્‍લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાશે

સાબરકાંઠા જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની  બેઠક કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને તા. ૧૮/૫/૨૦૧૩ ના રોજ ૧૧- ૦૦ કલાકે કલેકટર કચેરી,સભાખંડ, હિંમતનગર ખાતે યોજાશે. સમિતિના સભ્‍યોએ બેઠકમાં સમયસર હાજર રહેવા જિલ્‍લા કલેકટર કચેરીની એક યાદીમાં જણાવાયું છે. 

 

તા. ૦૯/૦૫/૨૦૧૩ ગાંઘીનગર જિલ્લામાં પાંચ વર્ષમાં ફળ પાકોના ઉત્પાદનમાં ૬૫૪૦ મેટ્રિક ટનનો વઘારો થયો ગાંઘીનગર જિલ્‍લામાં ફળોના રાજા કેરીનું ઉત્પાદન પાંચ વર્ષમાં ૬૫૦૦ મેટ્રિક ટન વઘ્યું   

ગાંઘીનગર જિલ્‍લામાં છેલ્લા પાંચ વર્ષમાં ફળોના પાકોના ઉત્પાદનમાં ૬૫૪૦ મેટ્રિક ટનનો વઘારો થયો છે. જેમાં ગાંઘીનગર તાલુકામાં ૨૦૪૩, દહેગામમાં ૧૫૭૭, કલોલ તાલુકામાં ૮૫૯ અને માણસા તાલુકામાં ૨૦૬૧ મેટ્રિક ટન ફળ પાકોના ઉત્પાદનમાં  વઘારો થયો છે.  ગાંઘીનગર જિલ્‍લામાં ફળોના રાજા કેરીનું વાવેતર વર્ષ- ૨૦૦૮-૦૯માં ૯૬૭ હેકટરમાં થતું હતું. જયારે વર્ષ- ૨૦૧૨-૧૩માં આ વાવેતર ૧૦૩૭ હેકટર થયું છે. વર્ષ- ૨૦૦૮-૦૯માં કેરીનું ઉત્પાદન ૨૪૧૮ મેટ્રિક ટન હતું. વર્ષ- ૨૦૧૨-૧૩માં કેરીનું ઉત્પાદન ૮૯૧૮ મેટ્રિક ટન થયું છે. સમગ્ર જિલ્‍લામાં કેરીના ઉત્પાદનમાં ગાંઘીનગર તાલુકો મોખરાનું સ્‍થાન ઘરાવે છે. ગાંઘીનગર જિલ્‍લામાં આગામી તા.૧૪મી મે,૨૦૧૩થી કૃષિ મહોત્સવનો આરંભ થઇ રહ્યો છે. આ કૃષિ મહોત્સવમાં ખેડૂતો ફળ પાકોનું વાવેતર કરતાં થાય તે માટેની યોગ્ય માર્ગદર્શન આપવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં વર્ષ-૨૦૦૫થી કૃષિ મહોત્સવનો આરંભ થયો હતો. તે પછી જિલ્‍લાના ખેડૂતોમાં ફળો પાકોનું વાવેતર વઘ્યું છે. ગાંઘીનગર જિલ્‍લામાં વર્ષ- ૨૦૦૮-૨૦૦૯ ચીકુનું વાવેતર-૮૬૮ હેકટર વિસ્‍તારમાં અને ઉત્પાદન ૧૦,૮૦૭ મેટ્રિકટન હતું. વર્ષ-૨૦૧૨-૧૩માં ચીકુનું વાવેતર ૯૨૨ હેકટર વિસ્‍તાર થયું છે, તેનું ઉત્પાદન ૧૧,૫૨૫ મેટ્રિક ટન છે. તે ઉપરાંત લીબું ઉત્પાદન વર્ષ ૨૦૦૮-૦૯માં ૨૩,૦૮૧ મેટ્રિક ટન હતું. વર્ષ-૨૦૧૨-૧૩માં લીબુંનું ઉત્પાદન વઘીને ૨૪,૬૧૨ મેટ્રિક ટન થઇ ગયું છે. તેવી જ રીતે વર્ષ-૨૦૦૮-૨૦૦૯ કરતાં વર્ષ-૨૦૧૨-૨૦૧૩માં બોરના ઉત્પાદનમાં ૧૧૩ મેટ્રિક ટન, જામફળના ઉત્પાદનમાં ૭૭૪ મેટ્રિક ટન, દાડમના ઉત્પાદનમાં ૧૬૫ મેટ્રિક ટન, પપૈયાના ઉત્પાદનમાં ૬૧૩૪ મેટ્રિક ટનનો વઘારો થયો છે. તેમજ વર્ષ- ૨૦૧૨-૧૩માં જાંબુનું ૧૩૫૪.૨ મેટ્રિક ટન, રાયણનું ૩૮૪૦ મેટ્રિક ટન અને ફાલસાનું ૪૧૦૩ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે.

 

જિલ્લાના નવ તાલુકાના ૧૮૭ ગામડાઓમાં કૃષિ મહોત્સવ ઉજવાશે

તારીખ ૧૪ મે ૨૦૧૩ થી ૩૧-૦૫-૨૦૧૩ સુધી મહેસાણા જિલ્લામાં કૃષિ મહોત્સવ ઉજવનાર છે.ખેડુતોને રાહત દરે કૃષિ ઉત્પાદનો અપાશે.ખેતીની આધુનિક પ્રધ્ધતિઓની ખેડુતોને જાણકારી આપવામાં આવશે.દુધ ઉત્પાદન હરીફાઇમાં મહેસાણા જિલ્લો પ્રથમ  રહ્યો છે.

૧૪ મે ૨૦૧૩ થી યોજાનાર કૃષિ મહોત્સવમાં ખેડુતો માટે વધું લોકભાગ્ય બનાવવાનો અનુંરોધ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠકકરે કર્યો હતો.

કૃષિ મહોત્સવ ૨૦૧૩ની જિલ્લા અમલીકરણ સમિતીની બેઠકને અધ્યક્ષશ્રી સ્થાનેથી સંબોધતા જિલ્લાવિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠક્કરે વધુમાં જણાવ્યું હતુંકે જિલ્લાના ૧૮૭ જેટલા ગામડાઓમાં આ મહોત્સવ સવારે૦૮-૩૦ થી બપોરે ૧૩-૦૦ વાગ્યા સુધી યોજાશે.અને તેમાં બાગાયત પશુપાલન,જળસંચય,વોટર રીચાર્જીંગ સુયોગ્ય પિયત પ્રધધતિ વગેરે બાબતે માર્ગદર્શનથી આપવામાં આવશે.

કૃષિ મહોસત્વ અને ખેતી  વિસ્તરણ અને ખેડુતોને નજીક લાવાવનો કાર્ક્રમ છે રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાંલોકભાગીદારીથી ગ્રામકક્ષાએ કૃષિ પ્રધ્ધતિઓ,જળસંચય,વિજળીસંચય કાર્યક્રમો છેવાડાના ગામડા સુધી પહોંચે અને સ્થળ ઉપરજ ખેડુતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે પ્રાકે તેની ઉજવણીનો કાર્યક્રમ છે.તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંહતું.

આ કૃષિ મહોત્સવમાં ખેડુતોની સાથોસાથ યુવાનો  અને મહિલાઓ વધુને વધું ભાગ લે તે માટેઉપસ્થિત અધિકારીઓને શ્રી ઠક્કરેઅનુંરોધ કર્યો હતો.

વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન યોજાયેલી દુધ ઉત્પાદન હરીફાઇમાં મહેસાણા જિલ્લો પ્રથમ સ્થાને રહેલ છે. અને તેમાં ૧૩૧ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી એનાયત કરાશે.

આ મહોત્સવમાંવિવિધ  ખેતી સંસ્થાઓ અને ખેત ઉપકરણ ઉત્પાદકો દ્વારા ખેડુતોને ડિલર્સ ઉત્પાદકો દ્વારા  તેમની ખરીદી ઉપર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે

આ બેઠકમાં નિવાસી  કલેકટરશ્રી એમ.એન.ગઢવી,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચાવડા તથા નાયબ માહિતી નિયામકશ્રી પરેશ શાહ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિુત રહ્યા હતા.

 

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૨૨૭ લાભાર્થીઓને ૧.૬૫ કરોડની સહાય અપાઇ

મહેસાણા શહેરના કમળાબા હોલ ખાતે મહેસાણા અને પાટણ જિલ્લાના ૨૨૭ લાભાર્થીઓને ૦૧ કરોડ ૬૫ લાખ ૩૨ હજારની વિવિધ યોજનાઓના  સાધન સહાય તેમજ ૧૫૦૩ લાભાર્થીઓને સિધા ધિરાણની સબસીડી યોજનાઓનું ચેક વિતરણ નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરાના હસ્તે કરાયું હતું. આ સાધન સહાયમાં ૦૨ લેપટોપ,૩૭ નાના પાયાના વ્યવસાય,૭૦ માઇક્રોફાઇનાન્સ યોજના,૮૫ મહિલા સમૃધ્ધી યોજના,૦૬ ફોર વ્હીલર ,૨૭ પેસન્જર રીક્ષા સહિત વિવિધ યોજનાઓના ચેકનું વિતરણ સ્ટેજ પરથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તથા ગુજરાત અનુસુચિતજાતિ વિકાસ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ તેમના સ્વગાત પ્રવચનમાં સૌ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કરી લાભાર્થીઓને આવકાર્યા હતા અને નિગમની વિસ્તૃત માહિતી આપી હતી.

મહેસાણ અને પાટણ જિલ્લાના લોન-વાહનના ૨૨૭ લાભાર્થીઓને ૧ કરોડ ૬૫ લાખ ૩૨ હજાર તથા ૧૫૦૩ લાભાર્થીઓને ૧,૪૦,૮૫,૦૦૦ બેન્કેબલ તથા સીધા ધિરાણનીસબસીડી સહિત કુલ ૧૭૩૦ લાભાર્થીઓને ૩ કરોડ ૦૬ લાખ ૧૭ હજારના લોન વાહનના આદેશો ઉપસ્થિત મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવાની જાહેરાત કરતાં લાભાર્થીઓ વધુને વધું લાભ લઇ નિર્ભર બને અને સામાજિક તેમજઆર્થિક વિકાસ સાધવામાં અગ્રેસર રહે તેવી ભાવના વ્યકત કરી હતી.       

આ પ્રસંગે અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડાએ જણાવ્યુંહતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સત્તા સંભાળી ત્યારથી સમાજના તમામ વર્ગો ખાસ કરીને નબળાવર્ગના કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહેલ છે.દલીતો,સમાજના છેવાડાના માનવીઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાની બજેટની જોગવાઇઓ થઇ રહેલ અને તેના પરીણામે ૪૨૨ જેટલા દિકરા દીકરીઓ પરદેશમાં અભ્યાસ કરી રહેલ તેમજ પાયલોટની સઘન તાલીમ પણ મેળવી રહ્યા છે જેના પગલે દલીત યુવાન યુવતી અત્યારે વિમાન ઉડાડે છે. અને એરહોસ્ટેટમાંદલીત યુવતીઓ પોતાની કારકિર્દીબનાવેછે.

 

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન

નરેન્દ્રભાઇ મોદીની સરકારના નાણામંત્રીશ્રી નિતીનભાઇ ભાઇ પટેલ તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરા દલીત સમાજના વિકાસની વિવિધ યોજનાઓ માટે ખુબજ લાગણીથી પ્રયત્ન કરે છે. ૩૧ માર્ચ ૨૦૧૩ પહેલાં ૭૦ કરોડ બ્લોક ગેરંટી તેઓના તરફથી નિગમને મલવાથી .અનુસુચિત જાતિઓને વિવિધ પ્રકારની કરોડો રૂપિયાની  લોન સહાય આપી શકાય છે..અને તેથી રાજ્ય સરકારના આવા પ્રયાસોમાં પોતાના કલ્યાણમાં લોન સહાયનો સદઉપયોગ કરી પગભર બને તે માટે પણ ચેરમેનશ્રીએ વિગતવાર માર્ગદર્શનઆપ્યું હતું,.

આ પ્રંસગે  સંસદશ્રી જયશ્રીબેન પટેલ,ઠાકોર વિકાસ નિગમના ચેરમેનશ્રી પુજાજી ઠાકોર પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

આ કાર્યક્રમની આભાર વિધિ ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી. આર.એમ. જાદવે કરી હતી.આ પ્રસંગે  પુર્વમંત્રીશ્રી ખોડાભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જે.એલ.પટેલ,નગરપાલિકા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન પટેલ,ઇન્ચાર્જ કલેકટરશ્રી એચ.એન.ઠક્કર સહિત કોર્પોરેશનના  મેનેજરશ્રી વી.એસ.પટેલ અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ થા મહેસાણા અને પાટણ જિલ્લાના લાભાર્થીઓ મોટી સંખ્યામાંહાજર રહ્યા હતા.

 

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ સુધી સુક્ષ્મ પિયત પધ્ધતિ યોજના હેઠળ                        ૪૦૩૦.૭૯ હેકટર જમીન આવરી લેવામાં આવી - ખેડૂતોને રૂ. ૯૮૩.૨૨ લાખની સહાય આપવામાં આવી                                           

પાટણ જિલ્લામાં કુલ ૧,૧૯,૪૩૯.૭૮ હેકટર પિયત વિસ્તાર છે. રાજય સરકાર દ્વારા ખેતીમાં ઓછા પાણીએ વધુ ઉત્પાદન થાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તે માટે સુક્ષ્મ પિયત પધ્ધતિ યોજના અમલમાં મુકી છે. રાજય સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન અને સ્પ્રીંકલર માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૦૫-૦૬માં ૨૫૭.૬૧ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૮૧.૧૪ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૫.૭૪ હેકટર જમીન આવરી લઇ રૂ. ૩૬,૨૩૩/- એમ કુલ ૨૬૩.૩૫ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૮૧.૫૦ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૬-૦૭માં ૧૯૫.૧૮ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૭૮.૩૬ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૩૬.૯૮ હેકટર જમીન આવરી લઇ રૂ. ૨.૫૨ લાખ એમ કુલ ૨૩૨.૧૬ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૮૦.૮૯ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૭-૦૮માં ૨૮૦.૭૦ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૨૦.૬૦ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૨૭૭.૪૫ હેકટર જમીન આવરી લઇ રૂ. ૧૪.૬૨ લાખ એમ કુલ ૫૫૮.૧૫ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૩૫.૨૨ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૮-૦૯માં ૨૨૩.૦૯ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૯૯.૯૪ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૨૫૮.૩૩ હેકટર જમીન આવરી લઇ રૂ. ૧૦.૪૮ લાખ એમ કુલ ૪૮૧.૪૨ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૧૦.૪૨ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૩૮.૩૩ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૧૨.૬૮ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૭૪૫.૮૬ હેકટર જમીન આવરી લઇ રૂ. ૩૭.૬૬ લાખ એમ કુલ ૯૮૪.૭૪ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૫૦.૩૪ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૦-૧૧માં ૩૩૮.૧૯ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૬૩.૫૨ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૪૨૮.૦૧ હેકટર જમીન આવરી લઇ રૂ. ૨૨.૫૯ લાખ એમ કુલ ૭૬૬.૨૦ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૮૬.૧૧ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૧-૧૨માં ૨૮૦.૦૧ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૧૩૦.૨૩ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૪૬૪.૭૬ હેકટર જમીન આવરી લઇ રૂ. ૨૭.૩૮ લાખ એમ કુલ ૭૪૪.૭૭ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૧૫૭.૬૧ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

આમ, પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ સુધી  ૧૮૧૩.૬૬ હેકટર જમીન ડ્રીપ ઇરીગેશન હેઠળ આવરી લઇ રૂ. ૭૮૬.૪૭ લાખ અને સ્પ્રીંકલર હેઠળ ૨૨૧૭.૧૩ હેકટર જમીન આવરી લઇ રૂ. ૧૯૬.૭૫ લાખ એમ કુલ ૪૦૩૦.૭૯ હેકટર જમીન આવરી લઇ કુલ રૂ. ૯૮૩.૨૨ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

 

ચૂંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટ આઉટ, ભીંતપત્રો વિ. પ્રદર્શિત કરવા અંગેનું જાહેરનામું."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. જેથી ચૂંટણીને લગતાં હોર્ડીગ્સ, ચોપાનીયા, ભીંતપત્રો,પોસ્ટર્સ, કટઆઉટ, જાહેરાત, બેનર્સ વિગેરે દ્વારા પૈસાની તાકાતના આડંબર યુકત પ્રદર્શન ના કરે તે હેતુથી ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ આચાર સંહિતા મુજબ નિયમન કરવુ જરૂરી છે. શ્રી સુધીર બી. પટેલ (જી.એ.એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ડી.એ.) થી (ડી.બી.) થી મળેલ સત્તાની રૂએ ઉકત ચૂંટણી અન્‍વયે ચૂંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટઆઉટ, ભીંતપત્રો વિ.ના પ્રદર્શન કરવા નીચે મુજબ નિયમો કરવા હુકમ કરવામાં આવે છે.

 (૧) કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્‍થા અથવા વ્‍યકિત ધ્‍વારા ચૂંટણી પંચની સૂચનાની વિગતે સહેલાઇથી દૂર કરી શકાય તેવા પ્રકારે કટ આઉટ, હોર્ડિગ્‍સ, બેનર્સ, કમાન તોરણ, ધ્‍વજ પતાકા વિ. કોઇપણ ખાનગી મિલ્‍કતો મકાનો ઉપર મિલ્‍કતના માલિકની સ્‍વેચ્છા પરવાનગીથી પ્રદર્શિત કરી શકશે અને આ પ્રકારની મંજુરીની લેખિતમાં સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને દિન-૩ માં જાણ કરવાની રહેશે. ૨. કોઇપણ રાજયકીય પક્ષ/ઉમેદવાર/સંસ્‍થા અથવા વ્‍યકિત ધ્‍વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્‍થળોએ હોર્ડિગ્‍સ પ્રદર્શિત કરી શકાશે પરંતુ તે માટે સ્‍થાનિક સત્તાધિકારીની મંજુરી પ્રમાણે ચુકવણી કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે. પરંતુ ચૂંટણીની જાહેરાત પછી આવી જગા કે હોર્ડિગ્‍સની સાઇઝ વિસ્‍તારી શકાશે નહી કે ઘટાડી શકાશે નહી. આ જાહેરનામુ તા. ૪/૫/૨૦૧૩ થી તા. ૭/૦૬/૨૦૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ચૂંટણી હેઠળના સમગ્ર મતદાર વિસ્‍તારો પૂરતુ અમલમાં રહેશે. કોઇપણ ઉમેદવાર સંસ્‍થા અથવા કોઇપણ વ્‍યકિત ધ્‍વારા ઉકત નિયમનો ભંગ કરી ચૂંટણીલક્ષી હોર્ડીગ્‍સ, ચોપાનીયા, ભીંતપત્રો, પોસ્‍ટર્સ, કટ આઉટ, જાહેરાત, પાટીયા અથવા બેનરો પ્રદર્શિત કરાશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.  

 

ચૂંટણી દરમ્‍યાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ માટે પૂર્વ મંજુરી લેવા અંગેનું જાહેરનામું

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. ચૂંટણી દરમ્‍યાન ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર માટે લાઉડસ્‍પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઉડ સ્‍પીકરનો ઉપયોગ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિ નિયમો મુજબ થાય તે જરૂરી છે. જેથી ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્‍પીકરના ઉપયોગ માટે નિયમન કરવું  જરૂરી જણાય છે. શ્રી સુધીર બી. પટેલ (જી. એ. એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના મતદાર વિસ્‍તારોમાં તા. ૪/૫/૨૦૧૩ થી તા. ૭/૦૬/૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) ઉકત ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્‍પીકરનો ઉપયોગ માટે નીચે મુજબના નિયમો ફરમાવવામાં આવે છે.

(૧) ચૂંટણી પ્રચારના કોઇપણ હેતુ માટે કોઇપણ પ્રકારના વાહનો પર ગોઠવેલા કે જાહેર સભાના હેતુ માટે સ્‍થાયી સ્‍થિતીમાં ગોઠવેલ લાઉડ સ્‍પીકરનો ઉપયોગ સક્ષમ સત્તાધિકારની પૂર્વ મંજુરી મેળવીને નીચે દર્શાવેલ સમય મુજબ કરી શકાશે, લાઉડ સ્‍પીકરનો ઉપયોગ (ક) ગ્રામ્‍ય વિસ્‍તારમાં સવારના ૬-૦૦ વાગ્‍યાથી રાતના ૧૦-૦૦ સુધી,

(૨) તમામ રાજકીય પક્ષો, ઉમેદવાર અને અન્‍ય વ્‍યકિતઓએ લાઉડ સ્‍પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીને જે વાહનમાં લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવાનો હોય તે વાહનોની નોંધણી/ઓળખ નંબરો જણાવવાના રહેશે અને સબંધિત સત્તાધિકારીએ આપેલા પરવાનગી પત્ર પર આવા નોંધણી/ઓળખ નંબરો દર્શાવવાના રહેશે.,

(૩) ફરતા વાહનો પર અથવા તો નિયત સ્‍થળે ગોઠવવામાં આવેલા કોઇ લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવાર અને અન્‍ય વ્‍યકિતઓએ તેનો ઉપયોગ કરતા પહેલા ચૂંટણી અધિકારીને અને સ્‍થાનિક પોલિસ અધિકારીને લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવા બાબતમાં તેમને મળેલ પરવાનગીની સંપૂર્ણ વિગતો લેખિતમાં જણાવવી ફરતા લાઉડ સ્‍પીકરની બાબતમાં તેમણે વાહનોના ઓળખ નંબર પણ ચૂંટણી અધિકારીને અને સ્‍થાનિક પોલીસ અધિકારીને જણાવવાના રહેશે,

(૪) મતદાન સમાપ્‍ત કરવા માટે નિયત સમયમાં આવેલા સમયના એટલે કે મતદાનનો દિવસના  ૧૭-૦૦ કલાકથી ગણીને ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમ્‍યાન વાહન પર ગોઠવવામાં આવેલ કે અન્‍ય કોઇપણ પ્રકારના લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહી.

 

મતગણતરી કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં  આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. સદર પેટા સંદર્ભે તા.૫/૦૬/૨૦૧૩ના રોજ મતગણતરી યોજાનાર છે. આ મતગણતરીની કામગીરી દરમ્યાન કોઇ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઇ રહે તે માટે ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના તમામ મતગણતરી કેન્દ્ર અને તેની ૧૦૦ મીટરની ત્રિજયામાં સેલ્યુલર ફોન, મોબાઇલ ફોન,કોડલેસ ફોન, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના વપરાશ સંબંધી સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જરૂરી અને આવશ્યક જણાય છે.

શ્રી સુધીર બી. પટેલ (જી. એ. એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટાચૂંટણી માટે  તા. ૫/૦૬/૨૦૧૩ના રોજ ૯ વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચૂંટણી સારૂ નિયત થયેલ મતગણતરી કેન્દ્ર અને તેની  ૧૦૦ મીટરની ત્રિજયામાં મોબાઇલ ફોન,કોડલેસ ફોન,પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

 

મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં  આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચુંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૦૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. આ પેટા સંદર્ભે તા.૨/૦૬/૨૦૧૩ના રોજ મતદાન યોજાનાર છે.જેથી મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ,મુક્ત અને નિષ્‍પક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાંશાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન,પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.

શ્રી સુધીર બી. પટેલ (જી. એ. એસ) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ પેટાચૂંટણી સંદર્ભે તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ  તા. ૦૨/૦૬/૨૦૧૩ના રોજ મતદાનના સમય ૮ થી ૧૭ કલાક(મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી) મોબાઇલ ફોન,કોડલેસ ફોન,પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ.જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે

 

 

 

ટિપ્પણીઓ નથી: