અનુયાયીઓ

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

નવરાત્રિ મહોત્સવ નિહાળવા આવેલા ૧૭ દેશોના રાજદૂતો સાથે સંવાદ કરતા મુખ્ય મંત્રીશ્રી ગુજરાત મૂડીરોકાણનું કેન્દ્ર નહીં, ગ્લોબલ બિઝનેસ હબ બની ગયું છે


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના કારણે ગુજરાતને વિશ્વના વિકાસશીલ દેશોનું સમર્થન મળ્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નવરાત્રિ મહોત્સવની ઝલક માણવા આવેલા ૧૭ જેટલા દેશોના અગ્રણી રાજદૂતો સાથે આજે યોજાયેલા સ્નેહમિલનમાં જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે માત્ર ગુજરાતમાં મૂડીરોકાણના હેતુસર નહીં પરંતુ ગુજરાત અને અન્ય દેશો વચ્ચે ""પરસ્પર પ્રગતિની ભાગીદારી''નો સેતુ વિકસાવવા અને ગુજરાત વિશ્વના દેશો માટે તથા ભારતના વિવિધ રાજ્યો માટે ગ્લોબલ બિઝનેસ હબ તરીકેની ભૂમિકા નિભાવવા સક્ષમ બન્યું છે તેની શાખ પૂરી પાડે છે.
આફ્રિકા, દક્ષિણ પૂર્વ અને યુરોપિયન દેશોના આ ૧૭ જેટલા એમ્બેસેડર અને હાઇકમિશનરોએ ગુજરાતના વિકાસના મોડેલ અને ભારત તથા દુનિયાના અર્થતંત્રમાં ગુજરાતે જે ક્ષમતાનું સંવર્ધન કર્યું છે તેની પ્રસંશા કરીને ગુજરાત સાથે વિકાસનો વિનિયોગ કરવાની તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ આગામી ર૦૧૩માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિદેશી રાજદૂતો અને વ્યાપાર ઉઘોગના પ્રતિનિધિમંડળોને ભાગ લેવાનું આમંત્રણ આપતાં જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટેની ઉત્તમ પર્યાવરણ અને રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સ અને નીતિવિષયક અભિગમને વિશ્વના દેશોએ વ્યાપક સમર્થન આપ્યું છે જેનાથી ગુજરાતને ધણું મોટું બળ મળ્યું છે. તેમણે દિલ્હી ખાતે વિવિધ દેશોના રાજદૂતાવાસ કાર્યાલયો સાથેના સંપર્કને વધુ સુદ્રઢ બનાવવાની માહિતી આપી હતી.
ગુજરાતમાં પ્રવાસન અને માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે જે વિશ્વને આકર્ષિત કરે તેવા નવા આયામોની રૂપરેખા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
આ બેઠકમાં મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉઘોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા, દિલ્હીના નિવાસકમિશનર શ્રી ભરતલાલ, ઉઘોગ કમિશનર શ્રી બી. વી. સ્નેહ પણ ઉપસ્થિત હતા.
રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્‍તૃતીકરણ માટે રૂ. ૨૦૭ કરોડની ફાળવણી: શહેરી વિકાસ મંત્રીશ્રી, નીતિનભાઇ પટેલ
મહાનગરપાલિકાઓને રૂ.૧૦૦ કરોડ અને ૧૫૯ નગરપાલિકાઓને રૂ.૧૦૭.૨૫ કરોડની ફાળવણી
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં વસતા લાખો નાગરિકોને માન.મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ નવરાત્રીપર્વની અપ્રતિમ ભેટ આપીને તમામ શહેરી વિસ્‍તારોમાં ચોમાસા દરમ્‍યાન રસ્‍તોઓને થયેલ નુકશાનની મરામત, મુજબતીકરણ અને વિસ્‍તૃતીકરણના કામો માટે રાજય સરકારે રૂ. ૨૦૭.૦૦ કરોડની ગ્રાન્‍ટની ફાળવણી કરી છે. એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું છે.
મંત્રીશ્રી નીતિનભાઇએ ઉમેર્યુ હતું કે, શહેરી વિસ્‍તારમાં વસતાં નાગરિકોને સારામાં સારી માળખાકીય સવલતો પૂરી પાડવીએ રાજય સરકારની નેમ રહેલી છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સુદ્ઢ માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ થઇ રહયો છે, ત્‍યારે ચાલુ ચોમાસાના છેલ્‍લા માસમાં રાજયભરમાં વ્‍યાપક વરસાદ થવાના કારણે શહેરી વિસ્‍તારના માર્ગોને નુકશાન થયું છે. જેના કારણે પ્રજાજનોને પડતી મુશ્‍કેલીઓને નિવારવા માટે માર્ગોના મરામત, મજબુતીકરણ અને વિસ્‍તૃતીકરણના કામો હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં વિકાસના કામોમાં એકસુત્રતા જળવાઇ રહે અને નાગરીક સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી રાજયની મહાનગરપાલિકાઓમાં રૂ.૧૦૦.૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં અમદાવાદને રૂ.૨૫.૦૦ કરોડ, સુરતને રૂ.૨૦.૦૦ કરોડ, વડોદરાને રૂ.૧૫.૦૦ કરોડ, રાજકોટને રૂ.૧૫.૦૦ કરોડ, જામનગરને રૂ.૧૦.૦૦ કરોડ, ભાવનગરને રૂ.૧૦.૦૦ કરોડ અને જુનાગઢને રૂ.૫.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેજ રીતે રાજયની અ,બ,ક,ડ વર્ગની કુલ-૧૫૯ નગરપાલિકાઓને રૂ.૧૦૭.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અ-વર્ગની ૧૮ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૨.૦૦ કરોડ લેખે કુલ-રૂ.૩૬.૦૦ કરોડ, બ-વર્ગની ૩૩ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૧.૦૦ કરોડ લેખે કુલ-રૂ.૩૩.૦૦ કરોડ, ક-વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૫૦.૦૦ લાખ લેખે કુલ-રૂ.૨૨.૫૦ કરોડ, ડ-વર્ગની ૬૩ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૨૫.૦૦ લાખ લેખે કુલ-રૂ.૧૫.૭૫ કરોડની ફાળવણી રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ ફકત રસ્‍તાના કામો માટે જ નગરપાલિકા અને મહાનગરપાલિકાએ કરવાનો રહેશે, અને આ કામો શકય તેટલી વહેલીતકે ચાલુ કરવાના રહેશે તેવી સુચના પણ આપવામાં આવી છે. તેમ મંત્રીશ્રી નીતિનભાઇએ અંતમાં જણાવ્‍યું હતું.
નવરાત્રિ-૨૦૧૧
અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન ખાતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતાં જ ઉત્સવપ્રેમી પ્રજાનો ભારે પ્રતિસાદ
સંતનગરી થીમ પેવેલીયન આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના પ્રવાસન વૈવિધ્યની ઝાંખી કરાવતું નયનરમ્ય પ્રદર્શન
કિડઝાનિયા અને એડવેન્ચર સ્પોર્ટસે બાળકોને આકર્ષ્યા
હસ્તકલાકારીગીરીના સ્ટોલ્સ અને ફૂડ કોર્ટમાં લોકોનો ભારે ધસારો
ગાંધીનગરઃ ગુરૂવારઃ ગુજરાતની અનોખી શક્તિપૂજા અને રાસ-ગરબા પરંપરાને રજૂ કરતા નવરાત્રી - ૨૦૧૧નો અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન ખાતે પ્રારંભ થતાં જ ઉત્સવપ્રેમી પ્રજાનો ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલાં સંતનગરી અને ગુજરાતના પ્રવાસન વૈભવને રજૂ કરતા કલાત્મક તસવીરી પ્રદર્શનને આજે હજારો લોકોએ માણ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે મોડી સાંજે યુનિવર્સિટી મેદાન ખાતે વિવિધ સંતશીરોમણીઓના તસવીરી પ્રદર્શન અને મૂર્તિઓના અનોખા સંતનગરી થીમપેવેલીયનને ખુલ્લું મૂક્યું હતું. સાથે સાથે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને લગતી ૧૭૦થી વધુ રમણીય તસવીરો રજૂ કરતાં પ્રદર્શનનું પણ ઉદધાટન કર્યુ હતું.
આજે મહોત્સવના બીજા દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ રહી હતી અને સંત નગરીમાં લોકોની આસ્થાના કેન્દ્ર સમા અનેક સંતો વિશે વિશેષ માહિતી દ્વારા જાણકારી મેળવતા હતા. આ પ્રદર્શનમાં સંતોની તસવીરો ઉપરાંત ૧૬ જેટલી મૂર્તિઓ અને વીસ જેટલી પુસ્તિકાઓનું નિદર્શન તેમજ સંતોના ભજન કિર્તન પણ સાંભળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ થીમ પેવેલીયને લોકોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ છે.
આ નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ હસ્તકલાકારીગીરીના ૧૨૦ જેટલાં સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાતની વિવિધ વાનગીઓ પીરસતા ફૂડકોર્ટમાં પણ ગુજરાતની ચટાકેદાર વાનગીઓનો આસ્વાદ માણવા ભારે ધસારો થઇ રહ્યો છે.
આ મહોત્સવનું સૌથી અનેરૂં આકર્ષણ કિડઝાનીયા ગેલરી બની રહી છે. જેમાં વિવિધ ટચ સ્ક્રીન દ્વારા સંચાલિત મેજીક વર્લ્ડ, ભૂલભુલૈયા, સાપસીડી, બોક્સ ગેઇમ વગેરેમાં બાળકો અને કિશોરો ઉત્સાહભેર ભાગ લઇ અનોખું મનોરંજન મેળવી રહ્યા છે. અહીં એડવેન્ચર સ્પોર્ટસ દ્વારા બાળકો કૂતુહલવશ સાહસ સાથે રમતનો આનંદ મેળવી રહ્યા છે.
દુનિયાના આ સૌથી લાંબા નૃત્ય મહોત્સવની ઝાંખી રજૂ કરતા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જિલ્લાના કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે શરૂ થયેલો આ નવરાત્રિ મહોત્સવ ૫મી ઓકટોબર, ૨૦૧૧ સુધી દરરોજ રાત્રે ૭ થી ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા માટે ગુજરાતની ગરિમા અને લોકસંસ્કૃતિને ગરબા રાસના માધ્યમથી વિશ્વનું નજરાણું બનશે.
આઘ શકિતના દીપ પ્રાગટયથી શરૂ થયેલા આ વર્ષના નવરાત્રિ-૨૦૧૧ના મહોત્સવની વિષય થીમ પ્રસીદ પરમેશ્વરીની અદ્‍ભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબા રમી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે જેમાં રાજ્ય સરકારનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.

ટિપ્પણીઓ નથી: