અનુયાયીઓ

સોમવાર, 25 મે, 2015

જેતપુરમાં કોઈ શાળા સંચાલકો ગરીબોને ભણાવવા તૈયાર નથી, બોલો !!

જેતપુરમાં કોઈ શાળા સંચાલકો ગરીબોને ભણાવવા  તૈયાર નથી, બોલો !!
આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં જેતપુરના શાળા સંચાલકોના રીતસરના ઠાગાઠૈયા ! વાલીઓ ભારે મુજવણમાં !?
જેતપુર તા.25
જેતપુર શહેરના મોટાભાગના શાળા સંચાલકો પોત પોતાની શાળામા ધોરણ 1 ના વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીના ધોરણ બાબતે સ્થાનિક વાલીઓ અને શાશનાધીકારીને જાણે ઉંધા ચશ્માં પહેરાવી ગરીબ બાળકોને પ્રવેશ(આરટીઈ અંતર્ગત) આપવામાં રીતસરના ઠાગાઠૈયા કરતા હોવાના આક્ષેપ સાથે જેતપુર નવાગઢ શહેર વાલી મંડળે લાગતા વળગતા શૈક્ષણિક સત્તાધીશોને લેખિત રજુઆતો કરી છે.
 આ બાબતે મળતી વિગતો મુજબ, રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિગેરેને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જેતપુર શહેરમાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ મેળવવા 268 જેટલા બાળકોએ ધો.1 માં પ્રવેશ ફોર્મ ભર્યા છે. બીજીબાજુ દરેક ખાનગી શાળામાં સરકારના આ નિયમ મુજબ 25 ટકા બાળકોને પ્રવેશ ફરજીયાત આપવો તેવો સરકારના આદેશ છે. 
પણ અહીના શાળા સંચાલકો પોત પોતાની શાળામાં ભણતા ધોરણ 1 ની સંખ્યામાં વ્યાપક ગોટાળા કરી, સ્થાનિક શાશનાધિકારીને અને વાલીઓને ઉંધા ચશ્માં પહેરાવાની કોશિશ કરતા હોય, ઉક્ત 268 છાત્રોમાંથી પણ અનેક બાળકો પ્રવેશથી વંચિત રહી જાય તેવો તાલ સર્જાયો છે.
બોક્સ: છાત્રોની સંખ્યા બાબતે શાળા સંચાલકોએ આવું કર્યું !!?? 
જેતપુર: સરકારી નિયમ મુજબ ફરજીયાત 25 ટકા બાળકોને પોતાની નિશાળમાં પ્રવેશ આપવાના સરકારી પરિપત્રથી મુંજાયેલા જેતપુરના મોટાભાગના શાળા સંચાલકોએ પોત પોતાની શાળામાં ધો.1 ના છાત્રોની ઓછી સંખ્યા દેખાડવા માંડ્યા?! દા.ત. જો કોઈ શાળા સંચાલક પોતાની શાળામાં ધો.1 ના છાત્રોની સંખ્યા 100 બતાવે તો 25 ગરીબ બાળકોને પ્રવેશ આપવો પડે. તેના બદલે 26, 36, 42 એવી સંખ્યા બતાવતા સ્થાનિક વાલીમંડળને શંકા જતા આ બારાની ઉચ્ચ શિક્ષણ તંત્રને રજુઆતો કરી છે.
બોક્સ: જી.શિક્ષણાધિકારી આટલું તપાસે એટલે સત્ય બહાર આવે !?
જેતપુર: જેતપુર નવાગઢ વાલી મંડળના પ્રમુખ જીતુભાઈ લાડવા(એડવોકેટ), ઉપપ્રમુખ મહમદભાઈ વી. જણાવે છે કે ધો.1 ના બાળકોને સંખ્યા બાબતે વાલીઓ સહીત સૌને ઉંધી ટોપી પહેરાવી રહેલા જેતપુરના શાળા સંચાલકોની આંખો ઉઘાડવા છેલ્લા 3 વર્ષ (2013-14-15) ના હાજરી પત્રકો, છાત્રોની માસિક ફી, સત્ર ફી, પ્રવેશ ફી વી.ની તાત્કાલિક કાર્બન કોપી જીલ્લા શિક્ષણાધિકારી મંગાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવાની શક્યતાઓ નકારી શકાય નહિ !? (કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)
++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરના લેખકનું સન્માન 
જેતપુર તા.25
તાજેતરમાં વઢવાણમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન નિર્મિત મેગેઝીન દ્વારા જેતપુરના લેખક જીતુભાઈ ધાધલને શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્યિક પત્રકારત્વ એવોર્ડ(2014-15) એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
ફોટો : જીતુભાઈ ધાધાલનો એવોર્ડ સાથે  (કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)
++++++++++++++++++++++++++++++++++++++++++++++
રાજકોટ રૂરલ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડે પકડી લીધો 
પોરબંદર-જુનાગઢ-રાજકોટ જીલ્લામાંથી નાશતો ફરતો 
પ્રોહીબીશન બુટલેગર જેતપુરના બસસ્ટેન્ડમાંથી પકડાયો
જેતપુર તા.25
દેશી દારૂ પકડાવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલ અને લાંબા સમય થયા પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકા પોલીસના ગુનાઓમાં નાશતા ફરતા જુનાગઢના આરોપીને આજે જેતપુરમાંથી એલસીબી રાજકોટના ભુરાભાઈ માલીવાડે પકડી પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ જુનાગઢના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો મુળુ અરજણ રબારી પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં, જુનાગઢના ઈ ડીવીજન પોલીસ સ્ટેશનમાં અને રાજકોટના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અનેક વાર દેશી દારૂના વેંચાણમાં પકડવાના ગુના સબબ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પણ વખતો વખત સંબંધિત પોલીસને દારુ દરોડા દરમિયાન હાથતાળી આપી મુળુ  નાશવામાં સફળ રહેતો હોય, ત્રણ જીલ્લાની પોલીસ તેમને શોધતી હતી.
દરમિયાન આ પ્રોબીશન બુટલેગર જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આવ્યો હોવાની રાજકોટ રૂરલ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા, એલસીબીના પીઆઈ ઉનડકટની સુચનાથી સ્ટાફના નીલેશભાઈ, નરેન્દ્રસિંહ રાણા વિગેરેએ અહીના બસસ્ટેન્ડમાંથી મુળુને પકડી પાડી જેતપુર તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યાં કાયદેસરની વિધિ બાદ મુળુંને ટ્રાન્સફર વોરંટ દ્વારા જુનાગઢ અને કુતિયાણા પોલીસ તરફ રવાના કરાશે.(કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)

ટિપ્પણીઓ નથી: