અનુયાયીઓ

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

જેતલસરના સોની પરિવાનો માળો વિખાયો પુત્રની માંદગીના આઘાતમાં પિતાની વિદાય, ત્રીજા દિવસે પુત્રએ પણ ફાની દુનિયા છોડી

 

જેતલસરના સોની પરિવાનો માળો વિખાયો
પુત્રની માંદગીના આઘાતમાં પિતાની વિદાય,
ત્રીજા દિવસે પુત્રએ પણ ફાની દુનિયા છોડી



...............
ત્રણ દિવસમાં પિતા-પુત્રના અવસાનથી જેતલસર-પોરબંદર સોની સમાજમાં શોક
..........

(કુલદીપ જોશી દ્વારા)

મૂળ જેતલસર અને હાલ પોરબંદર ખાતે રહેતા સોની પરિવારના પિતા-પુત્રના ત્રણ દિવસના સમયગાળામાં જ અવસાન થતા  આ સોની પરિવારનો માળો વિખાઈ  ગયાનો સમસ્ત સોની સમાજમાં શોક છવાયો છે.
જેતલસરમાં વર્ષો સુધી પોતાની કર્મ અને વ્યવસાય ભૂમિ બનાવનાર સોની જમનાદાસ મોહનભાઇ ચરાડવા છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર સ્થાયી થયા હતા. જયારે તેમના ભાઈ શાંતિલાલ રાજકોટ સ્થાયી થયા છે. જમનભાઈના 5 સંતાનોમાં મહેન્દ્રભાઈ(પોરબંદર), રેખાબેન(જૂનાગઢ), જ્યોતિબેન(ધોરાજી), લત્તાબેન(રાણાવાવ) અને મયુરભાઈ(પોરબંદર)નો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા મહેન્દ્રભાઇને કોરોનની અસર થઇ જતા તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી.
83 વર્ષની જૈફ વયે પહોંચેલા જમનભાઈને પુત્ર મહેન્દ્ર(ઉ.54)ની બીમારીનો ભારે આઘાત લાગ્યો હતો. હોસ્પિટલમાં દાખલ પુત્ર સાથે તેઓ અવારનવાર મોબાઈલથી વિડીયોકોલથી વાત કરતા હતા.
પુત્રની માંદગીનો આઘાત જાણે પિતા જીરવી શક્યા ના હોય તેમ જમનભાઈ(ઉ.83)નું ગત તા.26.1ના રોજ અવસાન થયું હતું. પિતાની અવસાનનો અણસાર પુત્ર મહેન્દ્રભાઈને આવવા દેવાયો નહોતો, છતાં ઘરના મોભીના અવસાનની વાત છતી ના રહે તેમ, મહેન્દ્રભાઇને પિતાના અવસાનની ખબર પડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે 29ની સવારે તેમને પણ પિતાના પગલે શ્રીજીના ચરણો તરફ પ્રયાણ કરતા વાણિયા સોની જ્ઞાતિજનો પર વજ્રઘાત થયો છે.
પિતાના આકસ્મિક અવસાનથી બે પુત્રીઓ મધુબેન અને પિયૂબેન તેમજ પુત્ર રાજ પરથી પિતાની છત્રછાયા ઉઠી જતા ચરાડવા પરિવારમાં શોકમાં ગરક બન્યો છે. પરિવારમાં કોણ ? કોને ? છાનું રાખે ? તેવી કરુણાંતિકા આ પરિવારમાં સર્જાઈ છે.
ફોટો અને સમાચાર :  
-------------------

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2021

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક શરૂ કરી હરરાજી ખુલ્લી મુકવામાં આવી.

 જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક શરૂ કરી હરરાજી ખુલ્લી મુકવામાં આવી.

       ગૃહણીઓના રસોડાના મસાલાઓની સીઝનો શરૂ થવાની તૈયારીઓ હોય સૌરાષ્ટ્રના મરચાઓની આવકો ધરાવતા બીજા નંબરના માર્કેટ યાર્ડ જેતપુર ખાતે નવા મરચાઓની આવકો શરૂ કરવામાં આવી છે. 

દરવર્ષે જેતપુર તાલુકા તથા આજુ બાજુનાં ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, વિગેરે તાલુકાઓનાં ધરતીપુત્રો મરચાઓનું પુષ્કળ વાવેતર કરે છે. ચાલુ વર્ષે સપ્રમાણ વર્ષ હોય ઉત્પાદન ખુબ સારુ એવું થયેલ છે. આમ છતા આ વર્ષે મરચાઓની સીઝન વહેલી શરૂ થયેલ હોય તેમજ કવોલીટી પણ સારી જોવા મળે છે. 



મરચા પકવતા કિશાનોને પોતાની જણસીઓના કવોલીટી મુજબનાં મહત્તમ ભાવો અપાવવાં હમેંશા માર્કેટ યાર્ડ જેતપુર અવ્વલ નંબરે હોય છે. સાથે સાથે ખેડૂતોને સુકા મરચાઓનો જેતપુર માર્કેટ યાર્ડમાં જરાપણ બગાડ થયા વિના તેમજ ચોખ્ખાઇ અને ચોકસાઇ મુજબ ખુલ્લી હરરાજીથી સચોટ વજન અને રોકડા નાણાં મળતા રહે એ બાબતે સજાગતાથી માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, સદસ્યશ્રીઓ, કર્મચારીઓ, ખેડૂતો, વેપારીઓ તેમજ હમાલ-તોલાટ મજુરભાઇઓની ઉપસ્થિતીમાં જાન્યુઆરી માસથી જ જેતપુર યાર્ડમાં ચાલુ વર્ષે મરચાઓની આવકો શરૂ કરી હરરજીનો શુભારંભ કરેલ. 

સાથે સાથે ખેડૂતો, વેપારીમીત્રો, મજુરો તેમજ માર્કેટ યાર્ડનાં સર્વાંગી વિકાસના ચેનલ મુજબ કાર્યશીલ રહી ખેડૂતોને પોતાની અન્ય ખેત જણસીઓના મહત્તમ ભાવો મળી રહે, તેમજ વેપારી અને મજુરોને ઉચ્ચતમ રોજગારી મળી રહે તે રીતે માહીતગાર કરી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

શનિવાર, 16 જાન્યુઆરી, 2021

ઉતરપ્રદેશના ગૌવ્રતી મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજી સાથે ઉતરપ્રદેશના ગોરખપુર ખાતે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા



સમગ્ર રાષ્ટ્રમાં નિઃસહાય ગાયો , ગૌવંશ માટે તાલુકા કક્ષાએ જનભાગીદારીથી ગૌધામનું નિર્માણ થાય તે દિશામાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રયત્નશીલ – ડો. કથીરિયા



રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને  પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ ઉતરપ્રદેશના ગૌવ્રતી મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજી સાથે ઉતરપ્રદેશના ગોરખપુરમાં સતાવાર મુલાકાત કરી હતી. આ મીટીંગમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા હાલમાં ચલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી 'ગોમય ગણેશ અભિયાન'  તથા 'ગૌમય દિપાવલી'ની પ્રચંડ સફળતા તેમજ અન્ય આનુષાંગીક ગતિવિધીઓ તથા આ અભિયાન થકી ગૌસેવા–ગૌઆધારીત ઉદ્યોગોના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી દેશના વિવિધ વિભાગોની સંસ્થાઓ સાથેના જોડાણ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી.

 'ગોમય ગણેશ અભિયાન' ની પ્રચંડ, ગરીમામય સફળતાથી પ્રેરાઈને આગામી દિવસોમાં દેશીકુળના ગાયોના ગોબરમાંથી નિર્મિત ગોમય મૂર્તિઓ (દેવી–દેવતાઓ જેમ કે લક્ષ્મી , શારદા, દુર્ગા, શ્રી કૃષ્ણ, શ્રીરામ, મહાવીર, બુધ્ધ વિગેરે), કિચેન, ટેબલપીસ, કેલેન્ડર, ઘડીયાળ, ફ્રેમ, ચંપલ, લાભ–શુભ, પ્લેટસ, જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહીત કરી તેમજ માર્ગદર્શન આપી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ વિકાસ, ખેડૂતોની આવક બમણી કરવાનું અભિયાન, મહિલા–યુવાનોને રોજગાર, આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષાના આહવાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ સહભાગી બનશે. આ નિરંતર રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી ગૌશાળા–પાંજરાપોળો અને ખેડૂતોને છાણ સહીતની પંચગવ્ય પ્રોડકટસનું પુરતું મુલ્ય પણ મળતુ થશે.

આખા ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં પશુ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. 

જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે તેમજ ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને વધુમાં આ ગૌધામમાં ભેગી કરાયેલી રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જયારે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ફરીથી ભેટ આપવામાં આવે. આ કેન્દ્રમાં સારી નસલના ધણખુંટ પણ પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. યોગીજી સાથે આ મીટીંગમાં ''રાષ્ટ્રીય ગૌવિજ્ઞાન'' ઓનલાઈન પરીક્ષા સમગ્ર ભારતવર્ષમાં વર્ષમાં અગામી તા. રપ ફેબુઆરી–ર૦ર૧ના યોજવામાં આવી છે 
તથા ભારતની દરેક યુનિવર્સિટીઓમાં 'કામધેનુ ચેર' નું નિર્માણ ભવિષ્યમાં કરવામાં આવશે. તે અંગે એકંદરે અત્યંત ઉત્સાહપૂર્ણ, હકારાત્મક વાતાવરણમાં  પૂર્ણ થયેલા આ વાર્તાલાપમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ગૌવ્રતી અધ્યક્ષ ડો. વલ્ભભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં સમગ્ર ભારતવર્ષમાં એક 'એપેક્ષ બોડી' તરીકે થઈ રહેલી રાષ્ટ્રીય કામધેનુ આયોગની પ્રવૃતિઓની અનુમોદના મુખ્યમંત્રીશ્રી યોગી આદીત્યનાથજીએ કરી હતી.

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

રાજકોટમાં બ્રહ્મસેના દ્વારા સંગઠન અભિયાન ઝુંબેશ શરૂ કરાશે


રાજકોટ તા 12
બ્રહ્મસેના સૌરાષ્ટ્ર ગુજરાત દ્વારા બાગની જાન્યુઆરીના રોજ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા વંદના કરીને સમગ્ર બ્રાહ્મણ પરિવારમાં સંગઠન મજબૂત બનાવવા માટે સભ્ય નોંધણી ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ક્રમશઃ તેના ના સભ્ય તરીકે યુવાન ભાઈ-બહેનો નિમણૂકો કરવામાં આવશે આ સંગઠનમાં અઢાર વર્ષની ઉંમરથી ઉપરના ભાઈ-બહેનો જોડાઈ શકશે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9909590102 પર સંપર્ક સાધવા બ્રહ્મ સેના ના જગદીશભાઈ રાવલ દ્વારા અનુરોધ કરાયો છે. અત્રે એ નોંધનીય છે કે બ્રહ્મસેનાની સેવાને 21 વર્ષ થઇ ગયા છે.



રાજકોટના યુવા સેના ટ્રસ્ટ દ્વારા સંક્રાંતિ પર્વ નિમિત્તે દાન માટે અપીલ


રાજકોટ તા.12
રાજકોટમાં અનેકવિધ નાની મોટી સેવા સાથે સંકળાયેલા યુવા સેના ટ્રસ્ટના સેવાભાવી આગેવાનો અને યુવાનો દ્વારા મકરસંક્રાંતિ પર્વને ધ્યાને લઇને નાના-મોટા દાતાઓને દાનની અપીલ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા કહે છે કે યુવા સેના દ્વારા જરૂરિયાત મંદ ગરીબોને તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે. કડકડતી ઠંડીમાં સંસ્થા દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે. પશુ-પક્ષીઓ અને અબોલ પશુઓ માટે ઘાસચારો અને ચણની સેવા કરવામાં આવે છે. વધુ માહિતી માટે સેવાભાવિ  દાતાઓએ યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પદયુમન સિંહ ઝાલા મો. નં. 9913310100 પર સંપર્ક સાધવા અનુરોધ છે.

‘પ્રવાસન વૃદ્ધિ – પર્યાવરણ સમૃદ્ધિ’ના સમન્વય સાથે નવી પ્રવાસન નીતિ ૨૦ર૧-રપ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી .....

 

‘પ્રવાસન વૃદ્ધિ – પર્યાવરણ સમૃદ્ધિ’ના સમન્વય સાથે

નવી પ્રવાસન નીતિ  ૨૦ર૧-રપ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

.....

એશિયાટીક લાયન-ડાયનાસૌર પાર્ક-સીમાદર્શન-ગિરનાર રોપ-વે-સ્ટેચ્યુ ઓફ યુનિટી-સી-પ્લેન-ઉપરકોટ નવિનીકરણ-રાણી કી વાવ – સોમનાથ-અંબાજી-દ્વારિકા શિવરાજપૂર બ્લ્યુ ફલેગ બીચ જેવા પ્રવાસન વૈવિધ્યથી ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ બન્યુ છે:- મુખ્યમંત્રીશ્રી

......

‘અતિથી દેવો ભવ’નો સનાતન સંસ્કૃતિ ભાવ સાકાર કરી ટુરિસ્ટ સેન્ટ્રિક અભિગમથી ગુજરાતને વર્લ્ડ ટુરિઝમ મેપ પર અગ્રણી બનાવવાની નેમ 






 

.....

૧ જાન્યુઆરી-ર૦ર૧થી ૩૧ માર્ચ ર૦રપ સુધી નવી પ્રવાસન નીતિ  ર૦ર૧-ર૦રપ અમલી રહેશે

......

‘ગુજરાત નહિં દેખા તો કુછ નહિ દેખા સૂત્ર નવી પ્રવાસન પોલીસી ચરિતાર્થ કરશે

......

-: રાજ્યના પ્રવાસન વૈવિધ્યના સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસથી આર્થિક-સામાજિક વિકાસ-સ્થાનિક રોજગાર અવસરને મળશે નવી ગતિ :-

......

-: નવી પ્રવાસન નીતિ  ર૦ર૧-રપના મુખ્ય ઉદ્દેશો-હેતુઓ :-

Ø  ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત રાજ્યની કલા-સંસ્કૃતિ સાથે હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓનું દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ પ્રમોશન કરાશે

Ø  ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવા હોટેલ-કન્વેન્શન સેન્ટર્સ-વેસાઇડ એમિનીટીઝ સહિતની સુવિધા વિકસાવાશે

Ø  સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે ટુરિસ્ટ ગાઇડસ નિયુકત કરવા સરકાર સહયોગ આપશે

Ø  હોટેલ/રિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ. ૪૦૦૦ની માસિક નાણાં સહાય ૬ મહિના સુધી અપાશે

Ø  કેરેવાન ટુરિઝમ – મેડિકલ ટુરિઝમ – વેલનેસ ટુરિઝમ-હેરિટેજ ટુરિઝમ-ક્રુત્ઝ-રિવર ટુરિઝમને વેગ અપાશે

Ø  વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને વેગ

Ø  પ્રદુષણ રહિત-પર્યાવરણપ્રિય પ્રવાસન સ્થળ નિર્માણ કરવા રાજ્ય સરકાર વિવિધ કેપીટલ સબસિડી આપશે

Ø  15% કેપિટલ સબસીડી મહત્તમ રૂ.2 લાખસુધી આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન

Ø  ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ  સબસિડી અપાશે

Ø  વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ

Ø  20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરાશે

Ø  એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી મહત્તમ રૂ.15 લાખસુધી પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન અપાશે

……..

      મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ‘ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ’ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ગુજરાત નવી પ્રવાસન નીતિ  ર૦ર૧-રપની જાહેરાત કરી છે.

        મુખ્યમંત્રીશ્રીએ આ નવી પ્રવાસન નીતિ -૨૦૨૧-રપમાં રાજ્યમાં પ્રવાસન વૃદ્ધિ સાથે પર્યાવરણ સમૃદ્ધિનો નવતર અભિગમ અપનાવ્યો છે.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલી આ નવી પ્રવાસન નીતિ  તા.૧ જાન્યુઆરી-ર૦ર૧ થી તા.૩૧ માર્ચ-ર૦રપ સુધી અમલમાં રહેશે.

        મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા તેમજ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં ગુજરાત પ્રવાસન નીતિ -ર૦ર૧-રપની મહત્વપૂર્ણ જાહેરાત ગાંધીનગરમાં કરી હતી.

        આ નવી પ્રવાસન નીતિ માં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પ્રવાસન નીતિ નું લોંચીંગ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિ માં ‘‘વોકલ ફોર લોકલ’’ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે.

        તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારતના પશ્ચિમ કાંઠે આવેલું ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો પૂરી પાડે છે. ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઈટ્સ છે.

આ ઉપરાંત, સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકલા, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ અને તહેવારો રાજ્યને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. આ સાથે ગુજરાતમાં કેટલાંક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યાં છે.

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર ગિર ફોરેસ્ટ અને યુનેસ્કો (UNESCO) પ્રમાણિત ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ભારતની સર્વપ્રથમ સી-પ્લેન સર્વિસ, ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ શિવરાજપુર બીચસીમાદર્શન તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા યાત્રાધામો અને ભરપૂર પ્રવાસન આકર્ષણો ગુજરાતની આગવી શાન છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના હેરિટેજ સ્થાનો, રાજા-રજવાડાના મહેલો, ઝરૂખા વગેરેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તાજેતરમાં હેરિટેજ ટુરિઝમ પોલિસી પણ આપણે જાહેર કરી છે.

આવી વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષોમાં (2009-2018) પ્રવાસીઓની સંખ્યા 15%CAGRના દરે વધી છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, નવી ટુરિઝમ પોલિસી 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે. ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ પોલિસીમાં વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં, કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટુરિઝમ, રિલિજિયસ/સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝ્ડ એક્સપિરિયન્સ ટુરિઝમ (ગ્રામ્ય વિસ્તારનું પ્રવાસન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અતિથિ દેવો ભવઃના સૂત્રને ધ્યાનમાં રાખીને ગુજરાતની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓને એક સુરક્ષિત, આરામદાયક અને અદભૂત પ્રવાસનનો અનુભવ આપીને ટુરિસ્ટ સેન્ટ્રિક અભિગમ દ્વારા ગુજરાતને એક સુરક્ષિત પ્રવાસન સ્થળ બનાવવાનો આ પોલિસીનો હેતુ છે.

આ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર એક ડેડિકેટેડ ગુજરાત ટુરિઝમ ડેસ્ક બનાવવામાં આવશે અને પ્રવાસીઓને ગુજરાત ટુરિઝમ કાર્ડ્સ અથવા ઇ-વાઉચર્સ આપવામાં આવશે, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-25 દ્વારા કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલના ધ્યેયને પણ પ્રોત્સાહન આપીને ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી એક્સપ્લોર થયેલી પ્રોડક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. વિદેશી પ્રવાસીઓ દ્વારા સ્થાનિક હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસી અંતર્ગત પ્રવાસન વિભાગ ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે MoUકરશે.

આ ઉપરાંત, ડિજિટલ મીડિયા મારફતે આવી પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને પ્રમોશન માટે રાજ્ય સરકાર સ્ટેકહોલ્ડર્સને સહયોગ આપશે અને માર્કેટિંગ માટે ગુજરાત સ્ટેટ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ પોલિસી અન્વયે રાજ્યમાં ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ કરવામાં આવશે. રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓને આરામદાયક સગવડો અને સેવાઓ આપવા હોટલ, કન્વેન્શન સેન્ટર્સ, વેસાઇડ એમ્નિટિઝ તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે.

આ સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર હોટેલો, રિસોર્ટ્સ અને ટુર ઓપરેટરોને ટુરિસ્ટ ગાઇડ્સને નિયુક્ત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ/રિસોર્ટ્સને ટુરિસ્ટ ગાઇડ્સને નિયુક્ત કરવા માટે દર મહિને વ્યક્તિદીઠ મહત્તમ રૂ.4000ની નાણાકીય સહાયતા 6 મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ પોલિસી પ્રવાસન ક્ષેત્રે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પણ પ્રોત્સાહન આપશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

આ નવી ટુરિઝમ પોલિસી 2021-25નો મુખ્ય હેતુ સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતને પ્રદૂષણરહિત પ્રવાસન સ્થળ બનાવવાનો છે તેની વિસ્તૃત ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ પોલિસી હેઠળ વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે, ઇ-વેહિકલની ખરીદી પર 15%ની કેપિટલ સબસીડી, ઇ-વેહિકલ્સ માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સનું નિર્માણ કરવા માટે 25% કેપિટલ સબસીડી, ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50% રિઇમ્બર્સમેન્ટ, ટુર ઓપરેટર્સ માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50% રિઇમ્બર્સમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત, રાજ્યમાં કેરેવાન ટુરિઝમને પ્રોત્સાહન આપવા, ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ગ્રામ્ય મેળાઓ યોજવા માટે, હાઇ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સનો વિકાસ કરવા માટે, MICE ઇવેન્ટ્સ માટે ગુજરાતને પસંદગીનું સ્થળ બનાવવા માટે, એડવેન્ચર ટુરિઝમ માટે યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે તેમજ રાજ્યના વિવિધ નદી સરોવર ક્ષેત્રોમાં રિવર ક્રુઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેપિટલ સબસીડીઓ અને અન્ય નાણાકીય સહાયતાઓ જાહેર કરવામાં આવી છે.

હોટલો, રિસોર્ટ્સ, કન્વેન્શન સેન્ટર્સ, વેલનેસ રિસોર્ટ્સ, થીમ પાર્ક અને અમ્યુઝમેન્ટ પાર્ક્સ, ટુરિઝમ હોસ્પિટાલિટી અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ભૂંગા/કોટેજ/લોગ હટ તેમજ ટુર ઓપરેટરો માટે પણ વિવિધ નાણાકીય પ્રોત્સાહનો આ પોલિસીમાં જાહેર કરવામાં આવ્યાં છે.

 

મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલી નવી પ્રવાસન નીતિના મુખ્ય પ્રોત્સાહનો અને વિશેષતાઓ આ મુજબ છે:-

·      સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને પ્રદૂષણરહિત પ્રવાસન સ્થળ નિર્માણ કરવાન ઉદ્દેશ

Ø 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.2 લાખ) આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે

Ø ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે

Ø વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ, આ માટે સર્ટિફિકેટશન ફીના 50% રકમ રિઇમ્બર્સ કરવામાં આવશે

 

·      વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને

Ø વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે, ઈ-વાઉચર્સ અથવા ગુજરાત ટુરિઝમ કાર્ડ દ્વારા ગરવી ગુજરાતમાંથી ખરીદી કરવા પર મહત્તમ રૂ.20,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને આ ઉપરાંત CoT(કમિશ્નર ઓફ ટુરિઝમ) હેઠળ રજિસ્ટર થયેલી હોટલોમાં રોકાણ કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

 

·      વિશિષ્ટ પ્રવાસન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન

Ø 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.10 લાખ) દ્વારા કેરેવાન ટુરિઝમને પ્રમોટ કરીને પ્રવાસનના વિશિષ્ટ સેગમેન્ટમાં સાહસ માટે પ્રેરિત કરાશે.

Ø 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.25 લાખ) દ્વારા ગુજરાતના વિશાળ જળ સ્ત્રોતોનો લાભ મેળવવા માટે રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે.

 

·      સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકોનું સર્જન કરવું

Ø 6 મહિનાના સમયગાળા માટે દર મહિને ગાઇડદીઠ રૂ.4000 સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરીને ટુરિસ્ટ ગાઈડ્સ માટે રોજગારીની તકોનું નિર્માણ કરાશે

 

·      પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો લાભ લેવો

Ø પ્રત્યેક કાર્યક્રમ માટે વાર્ષિક રૂ.5 લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.

 

·      પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ (ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રવાસન કેન્દ્રો)

Ø 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે.

 

·      MICE ઇવેન્ટ્સ માટે પસંદગીનું સ્થળ બનવાનો ગુજરાતનો લક્ષ્યાંક છે

Ø રાજ્ય સરકાર દ્વારા 15% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને MICE સેક્ટરને ઉત્તેજન આપવું

Ø મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે અને રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય MICE ઇવેન્ટ્સનું આયોજન કરવું અને આ માટે અનુક્રમે રૂ.5 લાખ સુધીની અને રૂ.2 લાખ સુધીની નાણાકીય સહાયતાઓ પ્રદાન કરાશે.

 

·      વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન

Ø એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.15 લાખ) પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.પ્રવાસન ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો ધરાવે છે ત્યારે, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

નવી પ્રવાસન નીતિ 2021-25 સાથે રાજ્યમાં દેશભરના તેમજ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.

આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી અને આ નીતિ તેના નિર્ધારિત ઉદ્દેશો હાંસલ કરવામાં ખૂબ સફળ રહી છે. પ્રવાસન નીતિ 2015-20નો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એકોમોડેશન યુનિટ્સની સંખ્યા વધારવાનો હતો, જેના માટે આ પોલિસીના સમયગાળા દરમિયાન પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી,

તેમાંથી 286 કરતા વધુ યુનિટ્સ કમર્શિયલ રીતે કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. હવે રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવી ટુરિઝમ પોલિસી 2021-25આજે જાહેર કરી છે.