સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર
- રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર
- આરએસએસના વડા ડો. મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સહિત દેશની પ્રાચીન ધર્મપીઠોના ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં ગહન મનોમંથન
ભગવાન શ્રી રામએ સૈકાઓથી સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ તરીકે પુજાતા રહ્યાં છે. અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે કાયદાકિય પ્રક્રિયાઓ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. પરંતુ તેમ છતાં રામ મંદિર નિર્માણનું કાર્ય આગળ વધી શક્યું નથી. તેથી આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ઐતિહાસિક મંદિર નિર્માણ માટે હિંદુ સમાજને જાગૃત કરવાની અનિવાર્યતા ઉપર અહી રાજકોટ ખાતે આયોજિત હિન્દુ આચાર્યસભામાં દેશભરના સાધુ સંતો અને અગ્રણીઓએ ભારમુકી ભારતીય સંસ્કૃતિના જતન માટે મંદિર નિર્માણની કાર્યવાહી માટે આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
રાજકોટમાં આર્ષ વિદ્યામંદિર ખાતે ગઈકાલથી સમગ્ર દેશનાં ૧૦૦ વર્ષથી પ્રાચીન એવી ધર્મપીઠોના આચાર્ય, મહંત અને ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં વિરાટ હિન્દુ સભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત ઉપરાંત આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ, વરીષ્ઠ નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણ સામે હિન્દુત્વના જાગરણના મુદ્દે મનોમંથન ચાલતુ રહ્યું હતું.
બે દિવસની વિરાટ ધર્મ સભાના નવનીતરૂપ જે ફલશ્રુતિરૂપ તારણો નીકળ્યા હતા તે અંગે યજમાન સુત્રોએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તે માટે દેશના જુદા જુદા વિભાગના ધર્મસ્થાનકોમાંથી આવેલા ધર્માધ્યક્ષોએ સંમતિ દર્શાવી હિન્દુ સમાજને આ કામમાં જાગૃત કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
બે દિવસ દરમિયાન જુદી જુદી બેઠકોમાં તજજ્ઞાોએ જે અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં તે મુદે જણાવાયું હતું કે, મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા રામ જન્મભુમિના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જે રીટ દાખલ કરવામાં આવી છે તે મુદ્દો આજે ઐતિહાસિક મંદિરના અવશેષો મળી આવ્યા બાદ અદાલતમાં ટકે તેમ નથી. તેમ છતાં સમગ્ર હિન્દુ સમાજે એક થઈને મંદિર નિર્માણના મુદ્દે જાગૃત થવાની જરૂર છે હિન્દુત્વના જાગરણ વિના ધર્મસ્થાનકોની રક્ષા ચિંતાજનક છે.
આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત સાથે અલગ અલગ તબક્કે બેઠકો મળી હતી. જેમાં રામ મંદિર નિર્માણના મુદ્દે સરકારની ભુમિકા વિશે પણ ચર્ચાઓ થઈ હતી.
રાજકોટનાં આંગણે આયોજિત બે દિવસની હિન્દુ આચાર્ય સભામાં ચેન્નાઈના નાગરાજ સ્વામી, રમણરેતીનાં ધર્મગુરૂ ગુરૂચરણાનંદ મહારાજ રામ માધવજી, વિવેકાનંદ કેન્દ્ર સાઉથના મૈયાજી, અવધેશ આનંદ મહારાજ સહિતના ધરમ ધૂરંધરો હાજર રહ્યા હતાં. અહીથી કેટલાક સંતો મહંતો મોડી સાંજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવા નીકળ્યા હતાં. બે દિવસની આ ઐતિહાસિક ધર્મસભામાં દેશનાં અગ્રીમ હરોળના સાધુ સંતો સહિતના મહાનુભાવો હાજર રહેતા મુંઝકા ગામમાં આવેલા નાના એવા આર્ષ વિદ્યામંદિરમાં હિન્દુત્વ જાગરણનો મંત્ર ગુંજતો રહ્યો હતો.
કાયદાકીય દ્રષ્ટિએ તમામ મુદઓ હિંદુ સમાજની તરફેણમાં હોવા છતાં
રામ મંદિર નિર્માણ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મુશ્કેલ ઃ ડો. સુબ્રમણ્યમસ્વામી
અદાલતે પણ સ્વીકાર્યું છે કે મિલ્કતના અધિકાર કરતા મુળભુત અધિકાર સર્વોપરી છેઃ નમાજ અન્યત્ર પણ પઢી શકાય
રામમંદિરના નિર્માણના મુદ્દે અદાલતી કાર્યવાહી બાદ આજે તમામ મુદ્દાઓ હિંદુ સમાજની તરફેણમાં છે તેમ છતાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા થવું મુશ્કેલ છે. તેમ આજરોજ ભાજપના અગ્રણી નેતા અને સાંસદ ડો. સુબ્રમણ્યમસ્વામીએ કહ્યું હતું.
રાજકોટ ખાતે આયોજિત વિશાળ હિન્દુ આર્ય સભામાં રામમંદિર નિર્માણના મુદ્દે આજરોજ ડો. સુબ્રમણ્યમ સ્વામી પ્રવચન આપવા આવી પહોંચ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા અહી બાબરની મસ્જીદ હોવાથી મિલ્કતનો કબ્જો નમાજ પઢવા માટે વકફ બોર્ડને સોંપવાની માંગણી કરી હતી. તેની સામે વિશાળ હિંદુ સમાજના હૃદયમાં બિરાજમાન ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા જ હોવાનું ઐતિહાસિક તથ્યો અને પુરાતત્વીય આધારો સાથે પ્રમાણિત થયું હોવાથી હવે સુપ્રિમ કોર્ટે પણ મસ્જીદ અન્યત્ર બનાવી રામમંદિર અયોધ્યામાં હોવું જોઈએ તે સ્વીકાર્યું છે. પરંતુ અદાલતી કાર્યવાહી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હ ોવાથી ૨૦૧૯ની ચુંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ થઈ શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.