અનુયાયીઓ

ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2015

KASHYAP J.JOSHI JETALSAR JETPUR

 

 

કોઇમ્બતુર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં

જોડતા જેતપુરના અગ્રણી શિક્ષણશાસ્ત્રી હિરેન વ્યાસ

જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)

તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલ ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઇન એશિયા પેસિફિક ઇસ્યુસ એન્ડ ચેલેન્જીસ-૨૦૧૫ સમગ્ર વિશ્વના ડેલીગેટ્સ જોડાયા હતા. ગ્લોબલાઈજેસન ઇનોવેશન અંગેની આ કોન્ફરન્સમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા, જાપાન, કેનેડા, ફ્રાંસ, મલેશિયા અને ભારતના એમ છ દેશોના ખ્યાતનામ મહાનુભાવોએ કીનોટ સ્પીકર્સ તરીકે વ્યાખ્યાનો આપ્યા હતા. આ તકે ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી હિરેનભાઈ વ્યાસ(જેતપુર)એ  શિક્ષણના વૈશ્વિક પ્રવાહો પર વ્યાખ્યાન રજુ કરી જેતપુરનું નામ રોશન કર્યું હતું. જયારે મારવાડી કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના દિન ડો.ચિન્મય રેડીએ ફાઈનાન્સ અંગે સ્પીચ આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

 

જેતપુર નજીકના છાપરવાડી નદી-ડેમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા

સાડી ધોલાઈઘાટો બંધ કરવા મેવાસાના ખેડૂતોનું મામલતદારને પા.પ્રદુષણ તંત્રને આવેદન

જેતપુર તા.૨૫   (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુર તાલુકાના મેવાસા ગામના ખેડૂતોએ આજે જેતપુર દોડી આવી છાપરવાડી ડેમ અને નદીમાં પ્રદુષણ ફેલાવતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો તોડી પાડવાની માંગ કરી મામલતદાર અને પાણી પ્રદુષણ તંત્રને આવેદનો આપ્યા હતા.

 

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મેવાસા ગામના નીલકંઠ બરવાળીયા સહિતના ખેડૂતો આજે જેતપુર દોડી આવી મામલતદાર ભોરણીયા અને પાણી પ્રદુષણ કચેરી સુત્રોને આપેલા આવેદનમાં જણાવેલ કે છાપરવાડી ડેમ અને છાપર વાડી નદીની આજુબાજુ ગેરકાયદેસર ધમધમતા સાડધોલાઈ ઘાટોનાપ્રદુષિત પાણી ડેમ અને નદીના પાણીને પણ પ્રદુષિત કરતા હોય તાત્કાલિક બંધ કરવા જરૂરી છે. અરજદાર નીલકંઠ બરવાળીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે આજથી એક થી દોઢ માસ પહેલા પણ આ બારાની રજુઆતો કરી હતી. પણ આ વાતનો કોઈ નિવેડો નાં આવ્યો હોય, છાપરવાડી ડેમ અને નદીના પાણી ભયંકર પ્રદુષિત થઇ રહ્યા છે.

અરજદારે એવું પણ જણાવેલ કે અગાઉ તમના દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને પણ આ બારામાં રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રીના કાર્યાલયેથી ઉપસચિવે આ પ્રશ્ને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને મોકલી ફરીયાદવાળી જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલતા સાડીધોલાઈ ઘાટો, સોફરો બંધ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

જ્યારે વન અને પર્યાવરણ તંત્રએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ પ્રશ્ન હલ કરવા આધેશો કર્યા છે, પણ સરકારના આવા હુકમોને સંબંધિતો ઘોળીને પી ગયા હોય તેમ આજની તારીખે ગેરકાયદેસર સાડીધોલાઈ ઘાટ સંચાલકો પ્રદુષિત પાણી છાપરવાડી ડેમ અને નદીમાં છોડી કુદરતના જળ જીવોને નાશ કરવા પ્રયાશો કરી રહ્યા છે.

 

 

બોક્સ: પાણી પ્રદુષણ તંત્રનો ઘાટ બંધ કરવા હુકમ...

જેતપુર : જેતપુર સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોએ જણાવેલ કે અરજદારની રજૂઆત અન્વયે જીપીસીબી ગાંધીનગર દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ગેરકાયદેસર ચાલતા અને ચલાવાતા સાડીધોલાઈ ઘાટ માલિક મનજી ડાયા સરવૈયાએ પોતાનો ધોલાઈઘાટ દિવસ ૧૫ માં બંધ કરવા હુકમ કરાયો છે. એટલુજ નહિ જીપીસીબીએ આ જગ્યાએ વીજ પુરવઠો અને પાણી પુરવઠો પણ કાપી(ઠપ્પ)કરી દેવાનો સંબંધિતોને હુકમ કર્યો છે.  જો આમ કરવામાં ઘાટ સંચાલક નિષ્ફળ નીવડશે તો પાણી અધિનિયમ ૧૯૭૪ ની કલમ ૪૧(૨) મુજબ ઘાટ સંચાલક અને તેમને સ્પર્શતા જવાબદા અધિકારીઓ કોર્ટમાં ફરિયાદ કરવાને પાત્ર ઠરશે તેવો જીપીસીબીના વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર આર.વી.પટેલે હુકમ કર્યો છે.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર

 

 

 

જેતપુરના વાલીમંડળનું મામલતદાર-પોલીસ અને ડીઈઓને આવેદન

સ્કુલ સંચાલકો બાળકોની સલામતી નહિ જુએ તો

દેવ જેવા બાળકોના અપહરણ થતા રહેશે !!?

જેતપુર તા.૨૪  (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુરમાંથી એક પાંચ વર્ષના વિદ્યાર્થી દેવ પટેલના અપહરણની ઘટનાને ધ્યાને લઈને જેતપુરની તમામ શાળા સંચાલકો પોત પોતાના વિદ્યાર્થી બાળકોની વિશેષ સલામતી માટે અસરકારક પગલાઓ શરુ કરાવે તેવી જેતપુરના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને જીલ્લા શિક્ષણધીકારીને આવેદન પાઠવી રજુઆતો કરી છે.

 

જેતપુર વાલીમંડળના જીતુભાઈ લાડવા, મહમદભાઈ સાંધ, શૈલેશ સાવલિયા, જાતિન દેગડા, વિનોદ જોશી અને મહેશ ભેડા સહિતના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને રાજકોટ જીલ્લા શિક્ષણધીકારીને આવેદનો આપી જણાવ્યું છે કે જેતપુરમાં તમામ શાળા સંચાલકો તેમના બાળકોને સંબધિત વાહનમાં છેક ઘર સુધી મુકવા જવાની વાહન ચાલકોને સુચના આપે, વિદ્યાર્થી બાળકોના રક્ષણ માટે દરેક શાળાના મેદાનમાં પણ સીસી કેમેરા ગોઠવે, તમામ શાળાઓમાં સિક્યુરીટી ગાર્ડ ફરજીયાત રાખવામાં આવે, શાળામાં ચાલતા વાહનોના નંબર્સ, ચાલકના તમામ નામ, સરનામાં જેવા આધારો લેવા, આરટીઓમાન્ય સ્કુલવેન કે રીક્ષાઓ રાખવી, વાલીઓએ પણ આવા વાહન ચાલકોના નામ, મોબાઈલ નંબરો રાખવા, તેમજ પોત પોતાની શાળાઓમાં ચાલતા વાહન ચાલકો બાળકોને ઘેટા બકરાની માફક ના બેસાડે વિગેરે સુચારુ નિયમો, આદેશો, પ્રથાઓ ચાલુ કરે તે જરૂરી છે. અન્યથા જેતપુરમાં જેમ તાજેતરમાજ દેવ પટેલ નામના શિશુનું અપહરણ થયું તેમ અન્ય બાળકોની પણ સલામતી જોખમાતી રહેશે તેવું જેતપુરના વાલમંડળ નું કહેવું છે.

કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨  

 

 

 

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2015

અવસાન નોંધ

અવસાન નોંધ : 
જેતલસર : છગનભાઈ સીદીભાઇ ઠુંમર(રી.રેલવે કર્મચારી) તે કૈલાશભાઈ(સીટીઆઈ-રેલ્વે રાજકોટ), વિપુલભાઈ(લોકો પાઈલોટ -અમદાવાદ)ના પિતા તા.22 ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.24 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, બાલકેશ્વર મંદિર પાસે, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.
                                                         કશ્યપ જે. જોશી જેતલસર 9974262812


સોમવાર, 21 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાંથી વિલાયતી શરાબની 6 બોટલ પકડતી પોલીસ

જેતપુરમાંથી વિલાયતી શરાબની 6 બોટલ પકડતી પોલીસ 
જેતલસર તા.21
જેતપુર શહેર પોલીસના પોલીસમેન મનીષભાઈ વરુએ આજે સાંજે ફૂલવાડી એ/6 માં રહેતા રાજુ ઇન્દુલાલ નામના યુવાનના ઘરમાં દારુ દરોડો પાડી રૂપિયા 1800 ની કિમતની વિલાયતી શરાબની 6 બોટલ જપ્ત કરી હતી. જયારે રાજુ નાશી છૂટ્યો હોય તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુરમાં માત્ર 2 મીમી 
ભાદર ડેમની સપાટી 32 ફૂટે પહોંચી 

જેતલસર તા.21
આજે આખો દિવસ ઝરફરાટ પડેલા વરસાદથી માત્ર 2 મીમી પાણી પડ્યું હતું.
જ્યારે ભાદર ડેમની સપાટી અત્યારે ફીટ 32 ફૂટે પહોંચી છે. ડેમ વિસ્તારમાં રાત્રીના અનરાધાર વરસાદ પડી જાય તો ભાદર ડેમ છલકાવાની શક્યતાઓ નકારી ના શકાય તેવું જેતપુર સ્થિત ભાદર ઈરીગેશન સુત્રો જણાવે છે.'
                                                                                                                                                        કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !

જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર ગટરના ગંધાતા પાણી 
જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર 
છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !
પાલિકાના દંડક અશોક મંગલાણી કહે છે કે જેતપુરમાં શહેર ભાજપ પ્રમુખ પણ જૈન છે ! 
પણ તેઓ કોઈ દિવસ આ સમસ્યા હલ નાં કરાવી શક્યા !? જૈન મુનીઓમાં પણ રોષ !
જેતલસર તા.20
જેતપુરના એમ જી રોડ પરની ગટરો સાફ કરવામાં તંત્રની ભારોભાર આળસથી ગંધાતા ગટરના પાણી આ રોડ પરના એક જૈન મંદિરમાં ઘુસતા હોય, દિન પ્રતિદિન દુભાતી જતી જૈન ધર્મીઓની લાગણીને રાજીપામાં ફેરવવા જેતપુર પાલિકાના દંડક અશોક મંગલાણીએ માંગ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર જતા જમણી બાજુએ જૈન સમાજનું દિગંબર જૈન મંદિર આવેલું છે. આ મંદિરના દરવાજાને અડકીને જ નીકળતી ગટર નિયમિત સાફ થતી ના હોય, ગંધાતા પાણી જૈન મંદિરમાં ઘુસી જતા હોય, દર્શનાર્થે આવતા જતા જૈન ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે જૈન સમાજના અમુક આગેવાનોએ છેલ્લા એક વરસ થયા સ્થાનિક પાલિકા તંત્ર, રાજકોટ જીલ્લા કલેકટર વિગેરેને રજુઆતો કરી આ કાયમી સમસ્યા હલ કરવા અવારનવાર માંગો કરી છે પણ, આ અંગે જેઓની જવાબદારી થાય છે તેવા જેતપુર પાલિકા સુત્રો આ બાબતે કઈ ઘટતું કરાવતા ના હોય હવે આ પ્રશ્ન જેતપુર પાલિકાના દંડક-સદસ્ય અને સિંધી સમાજના આગેવાન અશોકભાઈ મંગલાણીએ હાથમાં લઇ પોતાની મહેનત કામે લગાડી છે, ત્યારે તંત્ર શું કરશે ? તે તરફ જૈન સમાજના લોકોની મીટ મંડાઈ છે.

બોક્સ: દિગંબર મુનીઓ ગંદકી જોઇને ચાલ્યા જાય છે !
જેતલસર : જેતપુરમાં રહેતા અને જૈન સમાજના અમુક આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, દિગંબર જૈન મુનીઓ વરસ દરમિયાન સમયાંતરે આ જૈન મંદિરની મુલાકાતે વિહાર કરતા કરતા આવી પહોંચતા હોય છે. પણ ખરાબ અને ગટરના ગંધાતા પાણી જૈન મંદિરના પ્રવેશ દ્વારમાંજ ભરાયેલા જોઇને, દિગંબર મુનીઓ જૈન મંદિરમાં પ્રવેશવાને બદલે પાછા ચાલ્યા જાય છે. અને તે એટલા માટે કે તેઓને હિંસા ગમતી નથી. પાણીમાં અસંખ્ય જીવાણુઓ હોય છે, જેને ઠેકીને કે કચરીને મંદિરમાં પ્રવેશવાનું મુનીઓ મુનાશીબ માનતા નથી.
બોક્સ: શહેર ભાજપ પ્રમુખ જૈન ! તેઓને આ સમસ્યા નથી દેખાતી ?
જેતલસર: જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક દુખની વાત વ્યક્ત કરતા જણાવેલ કે ભાઈ જેતપુર શહેર ભાજપના પ્રમુખ કિશોરભાઈ શાહ જૈન સમાજના જ અગ્રણી છે. તેઓને પોતાના ધર્મના મંદિરની આવી દુર્દશા કેમ દેખાતી નથી ? કે હલ કરવા કેમ જાગતા નથી ? તે એક ચર્ચાસ્પદ વિષય કહેવાય !!

ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

ગંદકી વોંકળાની !


ગંદકી વોંકળાની !
જેતપુરના કોટડીયાવાડીમાં જતા પ્રોફેસર સાવલીયાના રહેણાંક મકાન પાસે આવેલ વોંકળીમાં તંત્ર ક્યારેય સાફ સફાઈ હાથ ધરતું નથી. આ વોંકળીમાં ગંદકીયુક્ત કચરો એટલો જમા થયો છે કે આજબાજુના લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. પાલિકા તંત્ર તાત્કાલિક તસ્વીરમાં દ્રશ્યમાન વોંકળીના કચરાને દુર કરે તે જરૂરી છે.                                                                                       ફોટો લાઈન : કશ્યપ જે. જોશી જેતલસર 

ગણેશ વંદના :

ગણેશ વંદના :
જેતપુરના જૂની દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા કાનભાઈ મિસ્ત્રી પોતાના ઘરે છેલ્લા 5 વર્ષથી પોતાના મકાનમાં 
ભાવભેર ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવે છે. અહી ભાવિકોની દર્શનાર્થે ભીડ જામે છે. 
                    ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર (જેતપુર)

જેતલસરના ગાયત્રીનગરમાં ભાવભેર ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ


​જેતલસરના ગાયત્રી નગરમાં તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાને શિવ પુત્ર ગજાનંદની ભવ્ય મૂર્તિનું  સ્થાપન  ભાવભેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહી રોજ રાત્રે યુવાનો અને મહિલાઓ દ્વારા ધૂન, કીર્તન અને દાંડિયા રાસની રમઝટ બોલાવાઈ રહી છે. 
                                                                                                                                          ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર 9974262812  

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક

જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક 
જેતલસર  તા.18
જુનાગઢના કિરીટ તુલસીદાસ લોહાણા અને સંજય જેન્તીલાલ બ્રાહ્મણ એમ બંને આજે જુનાગઢથી જેતપુર તરફ જીજે 11બીએ 4340 નંબરના બાઈક પર આવતા હતા ત્યારે જેતલસર નજીકના સાંકળી ગામના પાટિયા પાસે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના ભુરાભાઈ માલીવાડ અને નારણભાઈ આહિરે તેઓને રોકી તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 8200/- ની વિલાયતી શરાબની 12 બોટલ્સ મળી આવી હતી.
પોલીસે બંને શખ્શોની શરાબ અને રૂ.30000/- ના બાઈક સાથે અટક  કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની ! ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ 1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !

જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની !
ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ
1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી 
પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !
જેતપુર તા.18
જેતપુર  તાલુકાના જેતલસર ગામે આજે બપોરે છોકરાવના પ્રેમલગ્ન મુદ્દે દીકરીના પિતા અને ભાઈએ મળી વાણંદ યુવાનના બે કાકાઓને પથ્થર અને છરી વતી હુમલો કરી ઘાયલ કરી બઘડાટી બોલાવ્યાની ઘટના પોલીસ દફતરે પહોચતા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદો લઈને તહોમતદારોની ધરપકડની વિધિ હાથ ધરી છે.

સમગ્ર જેતલસર ગામમાં ચકચાર જગાડનાર ઘટના બાબતે મળતી વિગતો મુજબ વાણંદ તનસુખભાઈ વલ્લભભાઈ જોટંગીયાના ભત્રીજા આશિષે અહીના ગાયત્રી નગરમાં રહેતા ખાંટ  ગિરધર ગોબર સરવૈયાની પુત્રીને ભગાડીને આજથી છએક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય, આ બંને ખાંટ અને વાણંદ પરિવાર આટલા સમય થયા એકબીજાને ભરી પીવા ઘૂરકિયા કરતા હતા.

એક તબક્કે દીકરીના પિતાએ યુવાન અને તેના પરિવારને એવી ધમકીઓ આપી હતી કે મારી દીકરી સાથે તમારો દીકરો જેતલસરમાં દેખાયો એટલે જોયા જેવી થશે.

દરીમીયાન આજે ઋષિ પંચમીના દિવસે વાણંદ પરિવારનો આશિષ પોતાના કાકાના ઘરે આવ્યો હોય તેમજ અન્ય મહેમાનો પણ હોય, પોતાની દીકરી આવી હોવાનું જાની ગયેલા ગિરધર સરવૈયાએ અને તેમના પુત્ર જયેશે પ્રથમ ફરિયાદી તનસુખ વલ્લભ જોટંગીયાને માથામાં પથ્થર મારી તેમજ તેમના એટલેકે તનસુખભાઈના ભાઈ નટુભાઈને પેટમાં છરીના ઘા મારી આતંકી વાતાવરણ ઉભું કરતા ગાયત્રીનગરમાં ચકચાર મચી ગયી હતી.
બીજીબાજુ તનસુખભાઈ અને નટુભાઈને લોહી નીગળતી હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા પ્રથમ જેતપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડ્યા છે.
બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પીએસાઈ આર.એન.કરમટીયા, સ્ટાફના મજનુંભાઈ વી. લઈને જેતલસર પહોચી જઈ હુમલાખોર ગિરધર સરવૈયા અને તેમના પુત્ર જયેશને પકડી પાડી તેમની સામે આઈપીસી 326(તીક્ષણ સાધન વડે કોઈના પ્રાણ લેવાની કોશિશ-મહાવ્યથા ઉભી કરવી)મુજબનો ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પક્ષે દીકરીના પિતા ગિરધર સરવૈયાએ પણ પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની દીકરીને આંખના ભાગે મારથી ઈજા કર્યાની આશિષ જોટંગીયા અને તેમના ઘરે આવેલા મહેમાનો સામે ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ આશિષની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: 307 અને 326 બંનેમાં ગુનાની જોગવાઈ 10 વર્ષની !
જેતપુર: દીકરીના પિતા અને ભાઈએ વાણંદ પરિવારના યુવાનના બે કાકાઓ પર કરેલા હિચકારા હુમલાની ઘટનામાં આઈપીસી 307 ની કલમ ઉમેરાઈ કે કેમ ? તેવા સવાલના જવાબમાં જેતપુર તાલુકા પીએસાઈ કરમટીયાએ જણાવેલ કે 326 અને 307 એમ બંને કલમોમાં સજાની જોગવાઈ 10 વર્ષની છે. કલમ 307 માં ઈરાદો હોય છે જયારે 326 માં આરોપીની સામેની વ્યક્તિમાં જીવલેણ મહાવ્યથા ઉભી કરવાની પ્રેરવી હોય છે. એટલે આ ઘટનામાં આઈપીસી 307 ની કલમનો ઉમેરો કરવો જરૂરી નથી.

બોક્સ: દીકરીના પિતાના મળતીયાઓએ મકાનના બારી-દરવાજા તોડ્યા !?
જેતપુર: આ લખાય છે ત્યારે બઘડાટીવાળા ગાયત્રી નગર વિસ્તારમાંથી એવી વિગતો જાણવા મળી હતી કે, પ્રેમ લગ્ન કરનાર દીકરીના પિતાના કોઈ ભાડુતી માણસો એક બોલેરો કારમાં કુહાડી, તલવાર જેવા હથીયારો સાથે ઘસી આવી વાણંદ પરીવાના મકાનના બારી દરવાજામાં કુહાડી-તલવારોના ઘા જિંકી નુકશાન કરી ફિલ્મી દ્રશ્યો જેવી બઘડાટી બોલાવી નાશી છૂટતા આ વાત તરફ પણ ફોજદાર કરમટીયાએ તપાસ કેન્દ્રિત કરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

જેતલસરના ગાયત્રીનગરમાં 
ગણેસોત્સ્વનું આયોજન 
જેતલસર તા.17
જેતલસરના ગાયત્રીનગરમાં ગાયત્રીનગર યુવામંડળ દ્વારા તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાનની બાજુમાં છેલ્લા 6 વર્ષ થયા ઉજવાતા ગણેસોત્સવનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. ગજનની ભવ્ય પ્રતિમાને જેતપુર થી જેતલસર લવાઈ ત્યારે બસ સ્ટેન્ડથી ગાયત્રીનગર સુધી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કઢાઈ હતી. ગણપતિની પંડાલમાં સ્થાપના બાદ ગ્રુપના સર્વે મિત્રો દ્વારા ગણેસોતસ્વના પ્રથમ દિવસે જ બટુક ભોજનનું પણ આયોજન કર્યું હતું જે પ્રસ્તુત તસવીરોમાં દેખાય છે.
આ સિવાય જેતલસરના રામજી મંદિર ચોક ખાતે પણ જય અંબે ગરબી મંડળ ચોકમાં પણ સમસ્ત ગામ લોકોના સહયોગ વચ્ચે ગણપતિજીની સ્થાપના કરી 10 દિવસ ગણેસોત્સવ ઉજવવાનું આયોજન થયું છે.                                   ફોટો કશ્યપ જ.જોશી જેતલસર જેતપુર
 

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં બિરાજેલા ગણનાયક ગજાનન

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં 
બિરાજેલા ગણનાયક ગજાનન 
જેતપુર તા.17
'' મૈને આપ કે સાથ એક દો દિન નહિ પુરા મહિના (સાવન) બિતાયા, અબ મેં  જા રહા હું, મેરે બચ્ચે કા ખયાલ રખના, દેવો કા દેવ-મહાદેવ'' સોશિયલ સાઈટમાં ફરતી આવી પોસ્ટની પૂર્ણતયા ઉજવણી અને સફળ ગણેસોત્સવ માટે આજે જેતપુરમાં સ્થપાયેલા અનેક પંડાલોમાં આજે વાજતે ગાજતે શિવ પુત્ર ગજાનનની અનેકવિધ પ્રતિમાઓના ધામધૂમથી સ્થાપનો થયા હતા.
જાણકારોના માટે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષ મુખ્ય મોટા વિસ્તારો અને ચોક જેવી જગ્યાઓ અને રહેણાંક મકાનો સહીત 300 થી 400 જગ્યાએ ગણેશોત્સવ ઉજવાય છે.
ખાસ કરીને શહેરના દેસાઈવાડી વિસ્તારમાં વોંકળીના પુલ ઉપર સંકલ્પ ગ્રુપ દ્વારા, તે જ વિસ્તાર શાક માર્કેટ રોડ  પર યમુના ગ્રુપ, શાંતિનગર શેરી નંબર - 1, કણકિયા પ્લોટમાં બગીચામાં, પંચશીલ સોસાઈટી, ધોરાજી રોડ, શુભાષ ચોક, જૂની પોલીસ લાઇન, ફૂલવાડી રામજી મંદિર રોડ, મોટા રાજ મહેલમાં, નવાગઢ, જનતા નગર, તાકુડીપરા, બાવાવાળાપરા, કોટડીયાવાડી, ચાંદની ચોક વિગેરે જગ્યાએ હજારો ભાવિકો દ્વારા ગણપતિની મોટી મોટી પ્રતિમાના સ્થાપનો કરી 10 દિવસ સુધી ગણેસોત્સવ ભાવપૂર્વક ઉજવાશે. દેસાઈવાડી વોંકળી પુલ ઉપર સ્થપાયેલ ગણપતિ વંદનાના આયોજક એવા સંકલ્પ ગ્રુપના કાર્યકરો શૈલેશ વઘાસીયા, કલ્પેશ જોશી, ચિરાગ ડોબરિયા, ભાવેશ માથુકીયા, હિતેશ સાવલિયા, રવિ વઘાસીયા, અંકિત અજુડિયા, પંકજ શેખડા, અંકિત ધાનાણી, ગૌત્તમ ગીણોયા, રાજુભાઈ કલાલ, અમિત વઘાસીયા, અતુલ મિસ્ત્રી, પરેશ રાવરાણી, વિપુલ પટેલ, હરેશ સખીયા, દીપક નારિયા, કપિલ વડાલીયા વિગેરે ગણેસોતસવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી

અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી 
રાજકીય આગેવાનોને પ્રવેશવા પ્રતિબંધ 
ફરમાવતા બેનર્સ લગાવ્યા !!
જેતલસર તા.17
ગઈકાલે રાત્રીના જેતલસર ગામમાં પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડી, આખા ગામમાં રેલી યોજી કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપવા ગામમાં કોઈ રાજકીય આગેવાનોએ પ્રવેશવું નહિ તેવી ચેતવણી દર્શાવતા બેનર્સ લગાડવાનો કાર્યક્રમ રજુ કરતા અજાણ્યા ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ બુધવારની રાત્રીએ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તુષાર ખાચરીયા સહિતના જેતપુરના આગેવાનોએ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગામની મોટાભાગની પાટીદાર મહિલાઓસું પ્રથમ અહીના પાદર ખાતે આવેલ ગૌશાળાની જગ્યા પાસે ભેગી થઈને ગજબની થાળીઓ વગાડી વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ પહેલા ગામના 25-30 ટાબરીયાઓએ થાળીઓ લઈને વગાડતા વગાડતા દોડા દોડી કરી આખા ગામને ભેગા કરવાનો નવતર પ્રયોગ કરતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થઇ ગયા હતા.
ગૌશાળાએથી છેક બસસ્ટેન્ડ સુધી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતી મહિલાઓ થાળી વગાડતા વગાડતા એવી ચીમકીઓ દોહરાવી હતી કે ભાજપ કોંગ્રેસના કોઈ પણ આગેવાનોએ મત માંગવા કે અન્ય કોઈ અપીલ માટે ગામમાં પ્રવેશવું નહિ, અને કોઈ આવશે તો પછી ગામની કોઈ જવાબદારી રહેશે નહિ...એટલુજ નહિ આવી ચીમકી દોહરાવતા બેનર્સ ઠેર ઠેર લગાડી આક્રમક મુડના દર્શન કરાવ્યા હતા. પ્રસ્તુત તસવીરોમાં રાજકીય આગેવાનોને ગામમા પ્રવેશવું નહિ તેવી ચેતવણી ધર્શાવતા બેનાર્ષ સાથે ગામની મહિલાઓ અને પુરુષો દેખાય છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 



ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન

તા.24-9 થી 28-9 દરમિયાન જેતપુરના કોટડીયા વાડીમાં આવેલા
ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન 
કથા સ્થળે રોજ સવારના 9 થી સાંજના 8-30 સુધી ચિકિત્સા કેમ્પ પણ યોજાશે    
જેતપુર તા.17
જેતપુર શહેરના કોટડીયાવાડીમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિ પીઠ-ગાયત્રી મંદિર ખાતે આગામી તા.24 થી 28-9 એમ પાંચ દિવસ સુધી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે માહિતી આપતા ગાયત્રી શક્તિ પીઠના અનન્ય પરિજન કાન્તીભાઈ કરસાળાએ જણાવેલ કે યુગ ઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યજીના મતાનુસાર આજની સમસ્ત સમસ્યાઓનું એકમાત્ર કારણ મનુષ્યના વિચાર-ચિંતનનું દૂષિત  થઈ જવું છે. દરેક સમસ્યાની જડ દુર્બુદ્ધિ જ છે. જો મૂળ કારણને સુધારવામાં ન આવે તો સુધારના બધા જ પ્રયત્નો જડ સુકાતા વૃક્ષના પાનને પાણી પાવા જેવી મૂર્ખામી સિદ્ધ થશે. આ પ્રવર્તમાન ૫રિસ્થિતિને સતયુગ જેવા વાતાવરણમાં બદલવા માટે એક માત્ર ઉપાય આજ છે કે ખરાબ વિચાર (દુર્બુદ્ધિ) ના સ્થાને શ્રેષ્ઠ વિચાર (સદ બુદ્ધિ) ની સ્થા૫ના કરવામાં આવે. આજે આ જ્ઞાન ગંગાના અવતરણ માટે ભાગીરથી પ્રયત્નો કરવાના હેતુથી અવતારી સત્તાએ જનમાનસમાં ગ્રસિત આસુરી વિચારોનો નાશ કરી શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવા માટે પ્રવર્તમાન વિકટ સમસ્યાઓના સમાધાન હેતુની એક આગવી વિચારધારા રૂપે સચોટ માર્ગદર્શન કરતા ૧૯ માં પુરાણની એવી શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું જેતપુરના ગાયત્રી મંદિર ખાતે આયોજન થયું છે. 
કથાના વક્તા તરીકે પ્રજ્ઞા પુત્રી પાયલબેન ૫ટેલ (ભાયલીવાળા-વડોદરા) બિરાજી પાંચ દિવસ સુધી બપોરે 2-30 થી 6-30 સુધી પોતાની આગવી શૈલીથી કથાનું રસપાન કરાવશે. જયારે તમામ પ્રકારના જુના હઠીલા રાગોની સારવાર કરાવવા નિઃશુલ્ક એકયુપ્રેસર ચિકિત્સા કૅમ્પના  આયોજનમાં  એકયુપ્રેસર  શ્રી રમેશભાઈ ત્રિવેદી (જામનગરવાળા) પોતાની સેવા આપશે. આ સિવાય અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, પુસ્તક પ્રેમીઓ  ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ ગુરુસત્તાના સ્વયં હસ્તાક્ષર ધરાવતી આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ કથાના સંગીતમય રસપાન સહિતના  ત્રિવિધ કાર્યક્રમનો લાભ લેવા માટે ગાયત્રી પરિવારના ગાંડુભાઈ સાવલિયા, બી.બી.ભીમજીયાણી , પ્રવીણભાઈ રાવરાણી વિગેરે એ ધર્મ પ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા

જેતપુર પાલિકા તંત્ર  જયારે કિન્નાખોરીની હદ વટાવે છે !??
ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની 
રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા
અગાઉના પાલિકા પ્રમુખ દલિત હતા, હવે તેઓ નથી એટલે વર્તમાન પ્રમુખે આવું કર્યું, બોલો લ્યો !?!? 
જેતપુર તા. 17
'' હું દલિત સમાજની દીકરી છું, હું પહેલા જેતપુર નગર પાલિકાની પ્રમુખ હતી, હવે સદસ્યા છું, વર્તમાન પાલિકા પ્રમુખ મારી સામે રાજકીય દાવપેચ રમે ઈ સમજ્યા, પણ કિન્નાખોરીની પણ હદ હોવી જોઈએ ને ભાઈ !!'' આ શબ્દો જેતપુર નવાગઢ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ એટલા માટે ઉચ્ચાર્યા કે જેતપુર પાલિકા તંત્રે દલિતોના મસીહા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની ઝગમગતી રોશની છેલ્લા 7 દિવસ થયા બંધ કરી દીધી છે !
આ અંગે વિગતો આપતા રમાબેને જણાવેલ કે શહેરના મહાત્મા ગાંધી રોડ પરના બગીચાના ખૂણે ઉભા કરાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ઉપર તેઓ જ્યારે પાલિકા પ્રમુખ હતા ત્યારે સુંદર રોશની(લાઈટો) ગોઠવી આ મહાન આત્માને સન્માન આપ્યું હતું. પણ તેઓનો સત્તાકાળ પૂરો થતા હવે પાલિકા પ્રમુખનું સુકાન અન્ય અનામત મહિલા સદસ્યાએ સંભાળ્યું છે.
જેતપુર પાલિકાના આ નવા પ્રમુખ તેઓના વિસ્તારના વિકાસના કામો બાબતે તો રાગદ્વેષ રાખી રહ્યા છે, કીન્ન્ખોરી બતાવી રહ્યા છે પણ એક દલિત હોવાના નાતે એક રાષ્ટ્રીય નેતા ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ પરની અને આજુબાજુની રોશની છેલ્લાં 7 દિવસ થયા બંધ કરી દઈને જે કિન્નાખોરીની હદ વટાવી એ દલિત સમાજ સહન કરી  શકે તેમ નથી..આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટતું કરાવી રાત્રીના અંધકારમાં ગરક થઇ જતી ડૉ. આંબેડકરની પ્રતિમા/સ્ટેચ્યુ પરની રોશની પુનઃ ઝળહળતી કરે તેવી રમાબેન મકવાણાએ માંગ કરી છે. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન

જેતપુરના ગોંદરા વિસ્તારમાં પાલિકા સંચાલિત શાળા નં.3 દરવાજા પાસે જ 
ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ 
થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન
વાલીઓ કહે છે ગટરકામ જલ્દી પતાવો અન્યથા માખીથી મોટા મચ્છરો ફોલી ખાશે ! ને બાળકો રોગનો ભોગ બનશે એ લટકાનું !!

જેતપુર તા. 17
જેતપુર નગર પાલિકા તંત્રએ શહેરના ગોંદરા વિસ્તારમાં એક શાળાની સામે શરુ કરેલ ગટરકામ અધૂરું છોડીને મુક્યા પછી પંદર પંદર દિવસ થયા પણ આ કામગીરી આગળ ધપી  ના હોય, શાળામાં ભણતા બાળકોના વાલીઓ અને આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ સાથે અસંતોષ ફેલાયો છે.
આ બાબતે લોકોને સાથે રાખી ફરિયાદ કરતા પાલિકા સદસ્ય રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવેલ કે શહેરના ગોંદરા વિસ્તારમાં નગર પાલિકા સંચાલિત શાળા નંબર 3 સામેજ ગટરકામ શરુ કરનાર સંબંધિતો આ કામ અધૂરું છોડીને ચાલ્યા  વાતને 15 દિવસના વહાણા વીતી ગયા પછી પણ પાછા ફરક્યા નાં હોય, શાળાએ જવા આવવામાં નાના ભૂલકાઓ ભયાવહ સ્થિતિમાં ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.
સૌથી વધુ દુઃખની અને જોખમની એ વાત જોવા મળી કે આ પહોળી ગટર ટપીને આવવું જવું ભૂલકાઓ માટે ભારે મુશ્કેલ થઇ રહ્યું છે. ગટરનું કામ જે વિસ્તારમાં ચાલી રહ્યું છે તે ગોંદરા વિસ્તારના અનેક લોકોએ જણાવેલ કે આ કામ પૂરું કરવા પાલિકા કચેરીને અનેક વખત ટેલીફોનીક અને રૂબરૂ જઈને કહેવાયું હોવા છતાં સંબંધિતો અગાઉના પાલિકા પ્રમુખ સામે જાણે વેરની વસુલાત જેવું વર્તન દાખવી રહ્યા હોવાના પ્રજામાં આક્ષેપો થતા સાંભળવા મળ્યા હતા. ત્યારે ઉપરોક વિસ્તારમાં ગંધાતા પાણી સાથે વહેતી અને અધૂરું કામ છોડી દેવાયેલ ગટરનું કામ તાકીદે પૂરું કરાવી પાલિકા તંત્ર લત્તાવાસીઓ ઉપરાંત શાળાના બાળકોના આરોગ્ય પર જોખમાતા રોગચાળાના ભયને દુર કરે તે જરૂરી છે.

બોક્સ: અમારા બાળકોને મચ્છરો ફોલી ખાય છે, બાપ !!
જેતપુર : ગોંદરા વિસ્તારની શાળા નંબર 3 માં ભણતા પોતાના કુમળી વયના બાળકો બાબતે ઘેરી ચિતા વ્યક્ત કરતા વાલીઓ મકવાણાભાઈ અને શાંતાબેન બગડાએ ઉગ્ર રોષભેર જણાવેલ કે 15-20 દિવસ થયા અધૂરા ગટરકામથી તેઓ તો કંટાળ્યા છે પણ તેઓના કુમળી વયના ફૂલ સમાન બાન બાળકોને શાળામાં માખી માખી જેવડા મચ્છરો ફોલી ખાતા હોય બાળકોના હાથે, પગે ઢીમચાં થઇ ગયા છે..એટલુજ નહિ જો આ ગટર કામ તાત્કાલિક નહિ આટોપાય તો ભયંકર મચ્છરો ડેન્ગ્યું જેવા રોગચાળાને જન્મ આપી બાળકોને અજગર ભરડો લઇ લેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

ફોટો અને સમાચાર :કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

જેતપુરમાં લોહાણા સમાજના પરિચય સમારોહનું આયોજન


જેતપુરમાં લોહાણા સમાજના 
પરિચય સમારોહનું આયોજન
જેતપુર તા.17
આગામી 25 મી ઓક્ટોબરના રોજ જેતપુર ખાતે લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવક-યુવતીના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોડવા ઈચ્છતા યુવક-યુવતીઓના વાલીઓએ 5 મી ઓક્ટોબર સુધીમાં પોત પોતાના ફોટા સાથે બાયોડેટા રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરીને લોહાણા સમાજની વાડી, નવાગઢ રોડ ખાતે મોક્લી દેવાના રહેશે. વધુ માહિતી માટે લોહાણા સમાજ જેતપુરના આગેવાનો મુકેશભાઈ ગણાત્રા(પ્રો.ચેરમેન-98258 52453), દીપકભાઈ ઉનડકટ(94291 56291), અનિલભાઈ કોટેચા, બી.બી.ભીમજીયાણી, જમનભાઈ પોપટ, નરેન્દ્રભાઈ તન્ના વિગેરેનો સંપર્ક કરવા શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ

જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં પટેલ સમાજની વાડીની પાછળ
વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત 
સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ 
જેતપુર તા.17    ( કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરના કોટડીયા વાડીમાં આવેલ ત્રિનેત્ર મહાદેવ મંદિર નજીકની એક વોંકળીમાં ખદબદતી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લત્તાવાસીઓએ પાલિકા તંત્ર ગટર સાફ કરવા કે વોંકળી સાફ કરવા મહિનો સુધી ફરકતા ના હોવાના આક્ષેપો કર્યા છે.
મળતી વિગતો મુજબ શહેરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડી પાછળની વોંકળી સાફ કરવા પાલિકા તંત્રનો એકેય સફાઈ કામદાર ફરકતો ના હોય, અહી જમા થયેલી ગંદકીથી લત્તાવાસીઓમાં ભયંકર રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
આજે એક મુલાકાત દરમિયાન અનિલભાઈ પંડયા, અશોકસિંહ વાળા, ચીનાભાઈ, લાલભાઈ ચૌધરી, હર્ષદભાઈ વિગેરે રહેણાંક મકાનોના આસામીઓએ દોડી આવી ઉગ્રવેશે જણાવ્યું હતું કે તેઓના વિસ્તારની આ વોંકળીની સમસ્યા દુર કરવા પાલિકાને અનેક વખત લેખિતમાં રજુઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું ના હોય અહી ગંદકીના સામ્રાજયથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. લત્તાવાસીઓએ પોતાની પારાવાર હાલાકી અને મુશ્કેલી બતાવતા એમ પણ જણાવેલ કે ચોમાસાના સારા વરસાદ સમયે આ ગંદકીવાળી વોંકળી છલકાઈને કોટડીયા વાડી વિસ્તાર, આગળ આવતી આસોપાલવ સોસાઈટી, લક્ષ્મીનગર સોસાઈટી વી. ના રહેણાંક મકાનોમાં ગંધાતા પાણી ઘુસી જાય છે. આ બાબતે તાત્કાલીલ સંબંધિત સત્તાધીશો ફરિયાદ વાળી જગ્યાએ પહોંચી જઇ, પ્રજાની ફરિયાદ હલ કરે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

બોક્સ: વોંકળી પર પુલ બનાવો 
જેતપુર : કોટડીયાવાડી, લક્ષ્મીનગરના લત્તાવાસીઓ અશોકસિંહ વાળા, અનિલભાઈ પંડયા વિગેરેએ જણાવેલ કે પ્રતિ ચોમાસા દરમિયાન આ વોંકળી આવી ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા પેદા કરતી હોય તેઓએ અવારનવાર અહી પુલ બનાવવા માંગણી દોહરાવાઈ છે. પણ તંત્ર ધ્યાન આપતું નથી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 
 

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ 
જેતલસર તા.15
જેતપુરથી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી બિલકુલ બિસ્માર બન્યો હોય તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.
આ અંગેની વિગતો મુજબ જેતપુર થી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી ખખડધજ બન્યો હોય, વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ વાત સરકારી તંત્ર જાણતું હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરતું ના હોય વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેતપુર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા જણાવે છે કે જેતપુર થી જેતલસર સુધીના જુનાગઢ રોડ પર કોલેજ, સ્વમીનાયારણ મંદિર, જલારામ મંદિર તેમજ શાળાઓ આવેલી હોય, ટ્રાફિક ખુબ રહેતો હોય જર્જરિત રોડથી સૌ કોઈ ત્રાસી ગયા છે. રોજ બરોજ અનેક અકસ્માતો બન્યા હો પણ બની ગયા છે. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતલસર થી જેતપુર કે જેતપુરથી જેતલસર સુધીના રોડ પર જો કોઈ સગર્ભા મહિલાને લઇ જવાય તો રસ્તામાંજ પ્રસુતિની ઘટનાં બની જાય તેટલી હદે આ રોડ ખરાબ થયો છે. લાગતું વળગતું સરકારી તંત્ર તાત્કાલિક આ રોડ રીપેર કરાવે તે જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812