અનુયાયીઓ

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015

જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની 
જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની 
ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ
જેતપુર તા.9
પાટીદાર અનામત માંગણી માટે ગુજરાત ભરમાં જેહાદ જગાવનાર યુવા આગેવાન હાર્દિક પટેલે આજે જેતપુરના વીરપુર, પીઠડીયા, અને ખોડલધામની ગુપચાપ લીધેલી મુલાકાતથી જાણકારોમાં અચરજ સાથે અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

વિગતો એવી  મળી હતી કે રાજકોટ થી નીકળીને જસદણ ગયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે જેતપુરના વીરપુર(જલારામ), પીઠડીયા, અને કાગવડ ગામે આવેલ માં ખોડલ ધામની ગુપચાપ મુલાકાત લઈને ધોરાજી તરફ રવાના થયા હતા.

આ નેતાના કાર્યક્રમોની વિગતો માટે આજે જેતપુરના અખબારનવેશો સહીત અનેક સેવાભાવી, સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો રીતસરના ધંધે લાગ્યા હતા. જેતપુરમાં અમુક ખોડલધામ સાથે સંકળાયેલ ખમતીધર આગેવાનોએ પોતાના મોબાઈલ કોલ રીસીવ ના કરીને હાર્દિક પટેલથી સૌને દુર રાખ્યા હતા.

એક એવી પણ ચર્ચા ચાલી હતી કે કોઈ ફિલ્મી અભિનેતા કોઈ પણ શહેરની મુલાકાત હમેંશા ગુપચાપજ લેતા હોય છે, કારણ આવા અભિનેતાઓના આગમનની જાણ પ્રજાને થાય તો માણસોની ભીડ અને લોકોના ટોળાઓને કાબુમાં રાખવા આકરું પડે. આવીજ વાતો આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે સાબિત કરી ચુપકીદી સેવી જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામોની મુલાકાત લઈને આંટાફેરા માર્યા હોવાની વાત ટોક ઓફ ધી જેતપુર તાલુકા વિસ્તાર બની છે.

આ લખાય છે ત્યારે એવી લોકચર્ચા પણ સંભાળવા મળી હતી કે હાર્દિક પટેલે જેતપુરના પીઠડીયા ગામે એક પાનની દુકાને સોડા પીધી , કોઈ કહેતું હતું કે નાસ્તો પણ કર્યો હતો, પણ સાચી વાત મળવી મુશ્કેલ બની હતી.

પત્રકારોમાં એક એવી પણ ચર્ચા ચાલી હતી કે  કોઈ અણગમતા પર્શ્નોનો જવાબ નાં આપવા પડે એટલે હાર્દિક પટેલે પોતાની જેતપુરના ઉપરોક્ત ગામોની કે ખોડલધામની મુલાકાત ભેદી રીતે ગુપ્ત રાખી હતી.

દરમિયાન આધારભૂત સુત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાન અને ધોરાજીના લલિત વસોયા અને હાર્દિક પટેલે સાથે ખોડલધામ ખાતે માથું ટેકવી, દર્શન કરી ખોડલ માં સામે આશીર્વાદ મેળવ્યા હતા કે લાજ રાખજે માં અમારી. પ્રસ્તુત તસ્વીરમાં લલિત વસોયા અને હાર્દિક પટેલ વીરપુરની બજારમાં ઉભેલા દેખાય છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

કોઠાસૂઝ, વેપારની !

કોઠાસૂઝ, વેપારની !
સામાન્યતઃ સ્કુટર જેવા વાહનમાં આગળ જગ્યા હોય કોઈ માલસામાન કે વસ્તુઓ મૂકી સ્કુટર ચાલક માલની હેરાફેરી કે રોજગાર ધંધો કરવા નીકળતા હોવાનું જોવા મળતું આવ્યું છે. બાઈક ચાલકને કોઈ વસ્તુ કે માલ સામાન લઇ જવાનું કહેવામાં આવે એટલે તરત નાકનું ટીંચકુ ચડી જાય..કારણ બાઈકમાં આવો માલ સામાન ક્યાં રાખવો ? બાંધવો ? ઈ પ્રશ્ન ચાલકને કોરી ખાતો હોય છે..અથવાતો આમ કરવામાં ચાલકને ભારે શરમ નડતી હોય છે. પરંતુ પ્રસ્તુત તસ્વીરમાં દેખાતા અને છેક મધ્યપ્રદેશથી જેતપુર પંથકના જેતલસર આવેલા ચાર બાઈક ચાલકોએ કોઈ પણ જાતની શરમ અનુભવ્યા વગર એક એક બાઈકમાં 30-30 પ્લાસ્ટીકની ખુરશી અને 10-10 પ્લાસ્ટીકના ટબ બાઈકમાં એવી સરસ રીતે ગોઠવી પોત પોતાની વેપાર, ધંધા પરત્વેની કોઠાસુઝના દર્શન કરાવ્યા ત્યારે આ બાઈક જોઇને સૌ કોઈ બોલી ઉઠ્યા હતા કે, ''ભાઈ, ભાઈ..ગોઠવણી કરી છે ને કાંઈ બાઈક ઉપર !??''
(ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર(જેતપુર) 9974262812

યે...આરામ કા મામલા હૈ !

યે...આરામ કા મામલા હૈ !
માણસ જ ઊંઘણસી હોય તેવું નથી, જીવ માત્ર કુદરતની નિરંતર પ્રક્રિયા એવી ''નીંદર', ઊંઘમાં પડ્યા પછી તેને સજીવ કે નિર્જીવ અવસ્થાનું ભાન થતું નથી. ઘણી વખત માણસ ઊંધમાં બોલતો હોય, ચાલતો હોય પણ તેમને ખબર નથી હોતી ! તેવી જ રીતે એકવાર ઊંઘે ચડ્યા પછી માણસને પણ કઈ ખબર હોતી નથી કે તેને કોણે બોલાવ્યો ? કોણે જગાડ્યો ? તે સુતો હતો ત્યાજ છે કે કોઈએ બીજી જગ્યાએ ફેરવ્યો ? પણ અપવાદરૂપ આ વાતમાં બધા ઊંઘણસી નથી હોતા, પણ પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન એક સ્વાનરાજા એક ભેંસ પર દિનદહાડે મીઠી નીંદર માણી રહ્યાનું જ્યારે કેમેરામાં કેદ થયું ત્યારે સૌને અચરજ એટલે થયું કે બેઠેલી ભેંસ પર ચડીને આરામ ફરમાવનાર સ્વાનરાજા ભેંસ ઉભી થઇ ગઈ હોવા છતાં જાગ્યા ના હોય ''યે...આરામ કા મામલા હૈ ''  ડોન્ટ ડીસ્ટર્બ મી !! જેવી વાત સાબિત કરી ગયા હોઈ તેવું લાગે છે.
(ફોટો લાઈન / સ્ટોરી : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812

અવસાન નોંધ જેતલસર

અવસાન નોંધ  જેતલસર 9-9-2015
અમદાવાદ નિવાસી નેહાબેન(બાવલીબેન-ઉ.વ.51) કે.પંડયા તે સ્વ,અનંતરાય(મનુભાઈ) પુરોહિતના પુત્રી, વિક્રમભાઈ, દીપેનભાઈ,ગૌરાંગભાઈ(જેતલસર જંકશન), રાજેનભાઈ(ગોંડલ)ના બહેન, પી.ટી.પુરોહિત(ગોંડલ), ગીરીશભાઈ, બીપીનભાઈ તથા દિલીપભાઈના ભત્રીજી તા.8 ના રોજ અવસાન પામેલ છે. પિયર પક્ષનું બેસણું તા.11 ને શુક્રવારે, સાંજે 4 થી 6, ''પુરોહિત નિવાસ'', જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

કશ્યપ જે.જોશી -

​જેતલસર-જેતપુર-99742 62812

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક તંત્ર ! કશ્યપ જે. જોશી જેતપુર

પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત દિનેશ પટેલની જેતપુરના પીઠડીયા નજીકની 
શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક  તંત્ર !
રૂ.17, 14,19,228-69 જેવી વ્યાજ સહિતની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલા દિનેશ પટેલને પડેલી કાનૂની લપડાકથી પાટીદારોમાં ચકચાર 

જેતપુર તા.8  (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના  સર્વે નંબરના પ્લોટમાં આલિશાન જીનીગ મિલ ઉભી કરવા રાજકોટની દેના બેન્કમાંથી લોન લીધા બાદ, લોન ભરપાઈ કરવામાં રીતસરની સંતાકૂકડી રમનાર જસદણના દિનેશ ભગવાનજી બાંભણીયા( પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત) અને રાજેશ અમરશીભાઈ પટેલની માલિકીની જીનીંગ મિલને રાજકોટ સ્થિત દેનાબેંક સુત્રોએ જેતપુરના મામલતદારને આજે સાથે રાખી સીલ કરતા સમસ્ત પાટીદાર સમાજમાં ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના પીઠડીયા ગામના રેવન્યુ સર્વે નંબર 364 પૈકીની જીયારત પ્રકારની ખેડવાણ  જમીન હે.2-32-70 ચોમી (એ.5-30) કે જે ''  વસતડી વાળું'' નાં  ઓળખાય છે તે ખેતીની જમીન કે જે રજીસ્ટર વેંચાણ  દસ્તાવેજ  અનુ.નંબર 1041 તા.8-5-2009 થી મેસર્સ શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના  ડાઈરેકટર દિનેશ ભગવાનજી બાંભણીયા અને રાજેશ અમરશી પટેલે ખરીદીને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરાવી શ્રીનાથજી જીનીગ કોટન મિલ ઉભી કરી હતી.

આ પહેલા આ બંને ભાગીદારોએ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટની જાગનાથ પ્લોટ સ્થિત દેના બેન્કની બ્રાન્ચમાંથી રૂપિયા 15 કરોડની લોન લીધી હતી. પણ મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહિ જેવી કહાવત મુજબ સતત બે વર્ષ સુધી આ બંને ભાગીદારોએ લોન ભરભાઈ કરવામાં ગલ્લા તલ્લા કરતા રૂપિયા 15 કરોડમાંથી ચડત વ્યાજ સહીત કુલ રૂપિયા 17, 14,19,228-69 પૈસા જેટલી રકમ થઇ જતા બેંક તંત્રે નોટીસવોર ચાલુ કરી પૈસા ભરી જવા દિનેશ પટેલ અને રાજેશ પટેલને ખુબ ટપાર્યા / ચેતવ્યા હતા.

પણ આ બંને ભાગીદારોમાંના એક ભાગીદાર દિનેશ પટેલ વર્તમાન સમયમાજ પાટીદાર અનામત મુદ્દે હીરો બનેલા હાર્દિક પટેલના જમણા હાથ સમાન મહાલતો હોય બેન્કને કોઈ પણ જવાબ આપતો નહોતો, પણ અંતે કાયદો કાયદાનું કામ કરે તેવી કહેવત સાર્થક કરીને રાજકોટ ની દેના બેન્કના એજીએમ રણવીરસિંહ ચૌહાણે પોતાના ઉપરાંત જેતપુરના મામલતદાર ભોરણીયા, સર્કલ ઓફિસર નીખીલ મેહતા, જેતપુરના ડીવાયએસપી પાટીલ, વીરપુર પોલીસના ફોજદાર જોશી સહિતના કાફલાને લઈને આજે મારતે ઘોડે પીઠડીયા ટોલ પ્લાઝા નજીકની, ઉપરોક્ત બંને ભાગીદારોની શ્રીનાથજી કોટન જીનીંગ મિલને સીલ કરી દેતા સમગ્ર જેતપુર પંથકમાં ચકચાર જાગી હતી.

બોક્સ: ક્યાં ક્યાં પત્રો અન્વયે બેન્ક્સુત્રોએ જીનીંગ મિલને સીલ કરી ???
જેતપુર: રાજકોટ દેના બેંક સુત્રો અને જેતપુરના મામલતદાર કચેરી દ્વારા ઉપરોક્ત બંને ભાગીદારોને ગઈ તા.28-8-2015 ના રોજ પાઠવેલી નોટીસમાં જણાવાયેલી વિગતો મુજબ ધી સીક્યુંરાઈજેશન એન્ડ રિકન્ત્રકશન  ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એકટ 2002 તળે મિલકત (સિક્યોર્ડ એસેટ)નો કબજો લેવા જાહેર કરાયેલ નોટીસમાં જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ ના હુકમ નંબર જેએક્સ -સીક્યું-એકત કેશ નંબર 130/14 તા. 17-3-2015, શ્રી અધિકૃત અધિકારી દેનાબેન રાજકોટ નો અત્રેની કચેરીમાં રજુ થયેલ 25-3-15 ના પત્ર અન્વયે, મીનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ દિલ્હી, તા.8-2-2013 ના પત્ર નંબર 3/1/2011-ડીઆરટી/ રીકવરી વિગેરે સંદર્ભો ટાંકીને લખાયેલી નોટીસની આજે કોટન મિલ સીલ કરીને અમલવારી કરી હતી .

બોક્સ: અનેક બેંક કૌભાંડોમાં સંડોવાયે જતો દિનેશ પટેલ 
હાર્દિક પટેલના અંગત દોસ્ત ગણાતા દિનેશ પટેલને દેના બેંક દ્વારા ડીફોલ્ટર  જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ અગાઉ  પણ દિનેશ પટેલ પર જેતપુરના  વીરપુરમાં ૫૭ લાખની છેતરપિંડી અને અમરેલીમાં એક કરોડ ૨૦ લાખની છેતરપીંડીની અરજીરૂપ ફરિયાદો પણ થઇ છે..ત્યારે હવે દેના બેંકનું આ ત્રીજું પ્રકરણ સામે આવતા સૌરાષ્ટ્રભરમાં  ખળભળાટ મચી ગયો છે..ત્યારે આગામી સમયમાં આ તમામ મામલે શું કાર્યવાહી થશે ? તે સમયજ બતાવશે।.
કશ્યપ  જે.જોશી જેતપુર જેતલસર 99742 62812


સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ

જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ
જેતપુર તા.7
છેલ્લા ચાર દિવસ થયા જેતપુરના જીમખાના મેદાનમાં ચાલતા લાયન્સ કલબ જેતપુર આયોજિત મનોરંજક લોકમેળાનો આજે તા.8 છેલ્લો દિવસ છે. લોકમેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સહિતની સંસ્થાઓ દ્વારા રજુ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોથી મેળાપ્રિય જનતા મોડીરાત્રી સુધી મેળાના મેદાનમાંથી નીકળવાનું નામ લેતી નથી. જેતપુર શહેર ઉપરાંત તાલુકાના 52 ગામોની મનોરંજન પ્રિય જનતાનો માનવ મહેરામણ મેળામાં જોવા મળી રહ્યો છે. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત બતાવી પ્રજાની સલામતીની બખૂબી દેખરેખ રાખી છે. સ્ટોલ સંચાલકો પાસેથી અવનવા રમકડા માટે રંગીન જનતામાં પડાપડી થઇ રહી છે. અમુક જગ્યાએ ફજર અને ચકરડીઓના સંચાલકોએ બેફામ પૈસા વસુલ્યાની ફરિયાદો ઉભી થઇ હતી પણ અંતે પેટ માટે સૌ કમાવા અહી આવ્યા હોવાની લાગણીઓ પણ વ્યક્ત થતી સાંભળવા મળી છે. મેળાનું આયોજન કરનાર સંસ્થા લાયન્સ ક્લબ આ વર્ષના મેળાની આવકમાંથી પશુ દવાખાનામાં પશુઓની સોનોગ્રાફી માટેનું મશીન ખરીદનાર છે. ઉપરાંત વર્ષ દરમિયાન ગરીબોને ટ્રાઈસિકલ, સિલાઈ મશીનો, નાની મોટી ચીજ વસ્તુઓની સેવાઓ તેમજ અનેકવિધ રોગોના સારવાર  કેમ્પો, પશુ સારવાર અને ઓપરેશન કેમ્પોના સતત આયોજન કરતી હોવાનું લાયન પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું હતું. 

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2015

ભૂચર મોરીમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પતા આનંદીબેન

ભૂચર મોરીમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પતા આનંદીબેન
>
> ધ્રોલ - જામનગર : રાજપૂતોના શૌર્ય, બલીદાન અને સંસ્‍કૃતિના ભવ્‍ય ભુતકાળની ઝાંખી કરાવતી વિર શહીદોની ભુમિ 'ભૂચર મોરીમાં' આજે મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્‍થિતિમાં શહિદ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂચર મોરી શહિદ સ્‍મારક ધ્રોલ ખાતે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. આવા શૌર્યભર્યા કાર્યક્રમમાં ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્‍થિતિમાં  અશ્વ દોડ, તલવાર બાજી,  રાજપૂત કન્‍યાઓ દ્વારા શૌર્ય રાસ,  ભૂચર મોરીના શહીદોની શૌર્ય ગાથાનું કથન,  ધો.૧૦ અને ૧ર માં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મેરીટમાં પ્રથમ ક્રમાંકે આવેલા રાજપૂત વિદ્યાર્થીઓનું સિલ્‍વર મેડલથી સન્‍માન,  વિશેષ સન્‍માન શ્રી એન.કે.જાડેજા રાજપૂત કન્‍યા છાત્રાલય તથા બાશ્રી હિરાબા રામસિંહજી જાડેજા કન્‍યા છાત્રાલય-જામનગર કન્‍યા છાત્રાલયના દિકરીબાઓનું સન્‍માન કરાયુ હતુ. આ તકે રાજવી પરિવારના ફોટોગ્રાફર ભરતભાઇ જોષીના ફોટોનું પ્રદર્શન યોજાયુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે મુખ્‍યમંત્રીશ્રી આનંદીબેન પટેલ, કેબીનેટ પ્રધાન ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ભાજપના પ્રદેશ પ્રવકતા અને સ્‍વર્ણિમ ગુજરાત અમલીકરણ સમીતીના ચેરમેન શ્રી આઇ.કે.જાડેજા,  ભરતસિંહ પરમાર, પ્રદીપસિંહ વાઘેલા, ચંદનસિંહ રાજપૂત, પ્રદ્યુમનસિંંહ જાડેજા (ધ્રોલ) અને નરેન્‍દ્રસિંહ જાડેજા (લૈયારા) સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા મેનેજીંગ ટ્રસ્‍ટી, શ્રી પી.ટી. જાડેજા -પ્રદેશ અધ્‍યક્ષ,  શ્રી હનુમંતસિંહ જાડેજા કન્‍વીનર વિશ્વ રાજપૂત સંઘ, શ્રી દિપકસિંહ ઝાલા પ્રદેશ કા. અધ્‍યક્ષ, રૂદ્રદત્તસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી, અર્જુન દેવસિંહ પ્રદેશમંત્રી, વિશુભા ઝાલા પ્રદેશ મહામંત્રી, ગોપાલસિંહ જાડેજા (ટ્રસ્‍ટી ભૂચર મોરી શહીદ સ્‍મારક), નિર્મળસિંહ જાડેજા (કન્‍વીનર), રમજુભા જાડેજા , રાજેન્‍દ્રસિંહ વાઘેલા, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા સહિતના ગુજરાત રાજપૂત યુવા સંઘના અસંખ્‍ય કાર્યકરો જહેમત ઉઠાવી હતી. તેમ બળદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવાયુ છે. (ફોટો : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ - ગુજરાત રાજ્ય )

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015

જેતપુરના સ્ટેશન વાવડી ગામે જુગાર દરોડો રોકડ 40 હજાર સાથે 8 શખ્શો પકડાયા

જેતપુરના સ્ટેશન વાવડી ગામે જુગાર દરોડો 
રોકડ 40 હજાર સાથે 8 શખ્શો પકડાયા 
જેતપુર તા.4
જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે ગત રાત્રીના તાલુકા ફોજદારો કરમટીયા અને ગોહિલે જુગાર દરોડો પાડી 8 તાસપ્રેમીઓને રોકડ રૂપિયા 40 હજાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ તાલુકાના સ્ટેશન વાવડી ગામે રાજેશ ડેરની વાડીમાં ચાલતા જુગાર ધામ પર તાલુકા પોલીસે દરોડો પાડતા જમણ ભૂરા કોરાટ, અરજણ ખોડા, અનીલ રાઘવજી રામોલીયા, રવિ ગોપાલ બાવાસી, દિલીપ જેન્તી ભુવા, રાજેશ ધીરુ ભટ્ટી, અરુણ ગોવિંદ સુવા તથા વાડી માલિક રાજેશની પોલીસે રૂપિયા 40 હજાર સાથે ધરપકડ કરી સાતમ બગડી નાખી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતલસર નજીકથી જેતપુરના શખ્શને 400 લીટર દેશી દારુ-રીક્ષા સાથે ઝડપી લેતી પોલીસ

જુનાગઢથી જેતપુર લઇ આવતો હતો 
જેતલસર નજીકથી જેતપુરના શખ્શને 400 લીટર 
દેશી દારુ-રીક્ષા સાથે ઝડપી લેતી પોલીસ 
જેતપુર તા.4
જુનાગઢથી દેશી દારુ લઈને જેતપુર આવતા જેતપુરના શખ્શને તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાંતે રીક્ષા સાથે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરમાં જૂની પોલીસ લાઈનમાં રહેતો રફીક નાસીર ભટ્ટી નામનો શખ્શ પોતાની જીજે 1 બી વાય 7814 નંબરની પિયાગો રીક્ષામાં રૂપિયા 8000 નો 400 લીટર દેશી દારુ ભરીને જેતપુર આવતો હતો ત્યારે જેતલસર નજીક ચોકી ધાર પર ઉભી કરાયેલી ચેક પોસ્ટ પર રહેલા જમાદાર મજનુંભાઈ મનાતે પકડી લઇ રૂપિયા 60 હજારની રીક્ષા પણ ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રસ્તુત તસ્વીરમાં દેશી દારૂના જથ્થા સાથે રફીક દેખાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરમાં 3 માળની બાંધકામની મંજુરી છતાં આ નિયમને તોડી ખડકાઈ રહેલા બાંધકામો !?

જેતપુર શહેરમાં સરકારી નિયમોની ઐસીતૈસી કરતી બિલ્ડર્સ લોબી 
જેતપુરમાં 3 માળની બાંધકામની મંજુરી છતાં 
આ નિયમને તોડી ખડકાઈ રહેલા બાંધકામો !?
પત્રકારો સાથેની બેઠકમાં નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈએ કહ્યું શહેરની ભૌગોલિક સ્થિતિને 
ધ્યાને લઈને અહી 3 માળ સુધીના બાંધકામો જ કાયદેસરના !! બાકી તમામને નોટીસો પાઠવી શકાય 

જેતપુર તા.4
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે યોજેલ પત્રકારો સાથેની બેઠકમાં પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ પત્રકારોના સવાલનો જવાબ આપતા જણાવેલ કે જેતપુરમાં 3 માળથી ઊંચું કોઈ બાંધકામ બાંધી નાં શકાય તેવો સરકારી નિયમ છે. ત્યારે અહી આકાર લઇ ચુકેલા અને આકાર લઇ રહેલા બાંધકામોના નિર્માતાઓ પાલિકાના સંબંધિત સત્તાધીસો સાથે સાંઠગાંઠ ધરાવે છે કે દાદાગીરી ? તે હવે જેતપુર બહારના ઉચ્ચ સતાધીસોએ તપાસવું રહ્યું !!

મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદની સત્તા હાંસલ કરનાર શાંતાબેન બારોટ અને ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ શહેરના પત્રકારો સાથે બેઠક યોજી, શહેરમાં ઉઠતા પ્રશ્નો, સમસ્યાઓની સમાધાનકારી ચર્ચા વિચારણા કરી હતી. આ તકે સ્થાનિક પત્રકારોએ રોડ, રસ્તા, સફાઈ, ગંદકી, ગટર ઉપરાંત ખાસ કરીને પાણીની સમસ્યા અંગેના પ્રશ્નો રજુ કરતા ઉપસ્થિત પાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખે પોતાનાથી બનતી અને થતી ઝડપી કાર્યવાહી બાબતે ખાતરી આપી હતી. આ સિવાય કમરીબાઇ હાઈસ્કુલ પાછળની મુતરડી / સૌચાલય દુર કરવા, પડીને પાદર બની રહેલા પાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરોની હાલત સુધારીને કાર્યરત કરવા વિગેરે અનેક પ્રશ્નોની ઉપસ્થિત પત્રકારોએ જડી વરસાવતા તમામ પ્રશ્નો સ્ટેપ બાઈ સ્ટેપ ઉકેલવા પાલિકા સુત્રોએ ખાતરી આપી હતી.

ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં જેતપુર શહેરમાં એકાંતરા પાણી કેમ વિતરણ ના થઇ શકે ? તેવા એક સવાલના જવાબમાં પ્રમુખ ઉપપ્રમુખે જણાવેલ કે ભાદર ડેમાંથી પાણીનો જથ્થો મેળવ્યા બાદ અહી પાણી સંગ્રહ શક્તિના સ્ત્રોત્સ ઓછા હોય( પાણીની ટાંકીઓ)  પાણી સંગ્રહ શક્તિના પ્રસાધનો વધારવા તંત્ર કટ્ટીબદ્ધ છે. પણ આમ કરવામાં હજુ બે ત્રણ માસ લાગી જવાની વાત સત્તાધીશોએ દોહરાવી હતી.

તેવીજ રીતે શહેરના એક માત્ર અને મહાત્મા ગાંધી રોડ પર આવેલ બગીચામાં બાળકોને રોવડાવતા, કજીયો કરાવતા હીંચકાઓ તાકીદે રીપેર કરાવવા, નવી ટેકનોલોજીના લપસણીયા સહિતના સાધનો તાકીદે ઉપલબ્ધ કરાવવાની રજૂઆત બાબતે ઉપસ્થિત પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખે યોગ્ય કરાવવાની ખાતરી આપી હતી.
બોક્સ: ગેરકાયદેસર બાંધકામો પરત્વે તંત્રનું મને-કમને સમર્થન !?
જેતપુર : જેતપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને જેતપુરમાં કેટલા માળના / મજલાના બાંધકામની મંજુરી પાલિકા તંત્ર આપી શકે ? તેવા એક સવાલનો જવાબ વાળતા જેતપુર નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે માત્ર 3 માળના બાંધકામો જ જેતપુરમાં બાંધી શકાય અને તેટલી ઉંચાઈની જ સરકારની મંજુરી છે !! તો જેતપુરમાં તો અનેક બાંધકામો ત્રણ માળથી વધુ ઉંચાઈના બન્યા છે કે બની રહ્યા છે ! ત્યારે પાલિકા શું કરી શકે ? તે પ્રશ્નનો પણ જવાબ આપતા ત્રાડાએ જણાવેલ કે પાલિકા આવા ગેરકાયદેસર બાંધકામો કરનારા આસામીઓને નોટીસ પાઠવી શકે અને કોર્ટમાં કેશ થઇ શકે બીજું શું થાય ?! ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુરમાં બિલ્ડરલોબી પાલિકા સુત્રો સાથે મિલીભગત રચીને પોતાના બાંધકામો ઉભા કરી રહે છે કે બાંધકામ કરનારા આસામીઓની દાદાગીરી છે ? તે વાત હવે રાજકોટ જીલ્લા કલેકટરે કે નગર પાલિકાના નિયામકે તપાસવી  જોઈએ ! કારણ અહીના જુનાગઢ રોડ, ધોરાજી રોડ, અમરનગર રોડ, કણકિયા પ્લોટ, લાદી રોડ, નવાગઢ રોડ વિગેરે જગ્યાએ અનેક બાંધકામો 3 માળથી ઉપરના એટલે કે ચાર થી છ માળના બાંધકામો ઉભા છે કે બની રહ્યા છે. ઉચ્ચ સતાધીશો ધારે તો અહી બાંધકામના કાયદાનું કસુરવારોને ભાન થાય તેમ છે તેમાં શંકાને સ્થાન નથી તેવું જાગૃત લોકોનું કહેવું છે.

બોક્સ: ગણતરીના દિવસો થયા શાશન પર આવ્યા તેને, ખમ્મા બાપા ખમ્મા !
જેતપુર: જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ ઉપ પ્રમુખ તાજેતરમાંજ સત્તારૂઢ થયેલ શાંતાબેન અને પ્રમોદભાઈએ પત્રકારોને જણાવેલ કે, તેઓ સત્તા પર આવ્યા તેને ગણતરીના દિવસો જ થયા છે, થોડો સમય થશે એટલે સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે બેમત્ત જહેમત ઉઠાવાશે, પણ ખમ્મા બાપા ખમ્મા જેવી લાગણી વ્યક્ત કરી શહેરીજનો અને પત્રકારો સહકાર આપે તેવી વાત દોહરાવાઈ હતી.

બોક્સ: કરોડો ગેલન પાણીના ભરાતા ટેન્કરો બંધ કરાયા !!
જેતપુર: જેતપુરના પત્રકારો સાથે બેઠક યોજનારા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંનેએ એક એવી વાત પણ દોહરાવી હતી કે, પાલિકા કચેરીના પટાંગણમાં ઉભેલા પાણીના ટાંકામાંથી રોજ બરોજ કરોડો ગેલન પાણી ટેન્કરો મારફત ભરી જવાતું, એકબાજુ શહેરીજનો પાણી વગર તરફડતા હોય અને બીજી બાજુ આમ પાણી લઇ જવાતું હોય તે કેમ ચલાવી લેવાય ?  પરિણામે તેઓ સત્તા પર આવ્યા પછી આ સગેવગે કરતા પાણીની વાત સદંતર બંધ કરાઈ  છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર