અનુયાયીઓ

બુધવાર, 24 જૂન, 2015

જેતપુર પંથકમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ વાડાસડા - ચારણીયા - અમરનગર બેટમાં ફેરવાયા તાલુકાના તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ

જેતપુર પંથકમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ 
વાડાસડા - ચારણીયા - અમરનગર બેટમાં ફેરવાયા 
તાલુકાના તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ 
વાડાસડામાં કાચાપોચા 25 મકાનો વરસાદી પાણીમાં ગરક..એક બાળકી તણાઈ ગઈ, 4 કાલાકે પણ ભાળ મળી નથી. બેટમાં ફેરવાયેલા ગામો સુધી પહોચવામાં જેતપુરના નેતાઓ અને સત્તાધીસો  વામણા પુરવાર, જેતપુરના દાતા જગદીશ પામ્ભરની દીલેરીથી અસરગ્રસ્તોને ભારે રાહત, 
-----------------------------------------------------------------------------------
જેતપુર 24
.જેતપુર શહેર અને પંથકના તમામ ગામોમોમાં આખીરાત વરસેલા વરસાદી  પાણીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ઠેક ઠેકાણે ભારે નુકશાન સર્જી વિસ્તારો, ખેતરો, મકાનોમાં ઘુસી ગયાની પ્રજાની બુમરાણો જેતપુરના ભીરુ સત્તાધીશો અને નપાણીયા નેતાઓના કાન સુધી નાં પહોચ્યાની પ્રજાએ થોકબંધ ફરિયાદો કરી હતી.

ખાસ કરીને તાલુકાના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં વરસાદી પાણીએ તારાજી સર્જી દેતા  ત્રણેય ગામોમના 5 હજાર લોકોને મજબૂરીવશ ભયાવહ પરિસ્થિતિમાં અન્યત્ર સ્થળાંતર થવું પડ્યું હતું.
જેતપુરના આ ત્રણેય ગામોની પ્રજા વરસાદી પાણીથી બચવું કેમ ? તેનો ઉપાય શોધતી હતી ત્યારે કહેવાય છે કે જેતપુરના લાગતા વળગતા સત્તાધીશો વાડાસડા, ચારણીયા અને અમરનગર ક્યાંથી જવાય ? જેવી વાતોના વડા વચ્ચે રસ્તાઓ શોધતા હોવાની વાતો ઉપરોક્ત ગામોના અસરગ્રસ્તોમાં ટીકારૂપ બની હતી. તો  માત્ર અખબારોના પાને યેનકેન પ્રકારે ચમકી પ્રજા કામોનો દેખાડો કરતા જેતપુરના એક પણ આગેવાન આજે પૂરગ્રસ્ત પ્રજાની વહારે આવ્યો ના હોવાની ફરિયાદો મળી હતી.

બીજીબાજુ જેતપુરમાં રહી સેવાનેજ ધર્મ બનાવી ચુકેલા જાણીતા ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પામ્ભર પોતાની સાથે જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હંસાબેનના પતિદેવ વિપુલભાઈ વૈષ્ણવ, વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય કિશોર પાદરીયા અને  ભાજપના સૌથી જુના આગેવાન વજુભાઈ કોઠારી વિગેરેને લઈને વાડાસડા ગામે પહોચી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાવી પોતાની રાબેતા મુજબની અન્ન સેવાની ધૂણી ધખાવી અસરગ્રસ્તોની ભૂખથી કળકળતી હોજરીને  ઠંડી કરી હતી. અહી એટલેકે વાડાસડા ગામે જગદીશભાઈ અને ગામના સ્થાનિક માજી  ઉપસરપંચ અશોકસિંહ ચૌહાણ સહિતના આગેવાનોના જણાવ્યા પ્રમાણે વાડાસડામાં વરસાદી પાણીથી 25 જેટલા મકાનો તણાઈ ગયા છે. 30-15 ઘેટા બકરા અને 10-15 ગાયો ભેંસો તણાઈ જવાથી મોતને ભેટેલી અને પુરના પાણીમાં તણાતી હોવાની  વિગતો આપી હતી. આ સિવાય ગામની એક કિશોરી પુરના પાણીમાં તણાઈ ગયી છે જે બાબતે જેતપુરના સરકારી તંત્રો આ બાબતે કોઈ જાણ કે માહિતી નાં હોવાનું જણાવે છે. જયારે ગામલોકો  કહે છે કે પટેલ પરિવારની એક કિશોરી પાણીમાં લાપત્તા બની છે પણ વાલીઓને કહી શકાતું નથી.

આ લખાય છે ત્યારે સાંજના સવા છ વાગ્યાની આસપાસ અમરનગર ખાતેથી જગદીશભાઈ પામ્ભર અને વિપુલ વૈષ્ણવે વિગતો આપતા જણાવેલ કે અહી 300 માણસોને પુરના પાણીમાંથી સમાલત રીતે બહાર કાઢી ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. જ્યાં શાળાના આચાર્યની પણ પ્રશંશનીય સેવા વચ્ચે જગદીશભાઈએ અસરગ્રસ્તોને શ્રીખંડ અને ગાઠીયા ખવડાવી સવારની ભૂખ હળવી કરી હતી. અમરનગરમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી અનેક કાચા પોચા મકાનો ધ્વસ્ત કરી દીધા છે. ગામના પ્લોટ વિસ્તારમાં ઘુસેલા પાણીથી પ્રજા ભયભીત ભણી હતી.

તાલુકાના ખીરસરા ગામે પણ ઉપરવાસના વાડિયા અને બાવળ બરવાળામાં પડેલા વ્યાપક વરસાદના પાણી છેક જેતપુરના દેરડી-ખીરસરા રોડ ઉપર પહોચી જતા અને રોડ ઉપર 5-5 ફૂટ પાણીના ઘસમસતા પ્રવાહને ધ્યાને લઈને સરકારી તંત્રોએ આ રોડનો વાહન વ્યવહાર બ્લોક કરી દીધો છે. વરસાદી પાણી જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં પણ ઘુસી જતા ત્યાના મજુરોને માંડ માંડ બચાવાયા હોવાનું સુધારાઈ સભ્ય અરવિંદ વણઝારાએ જણાવ્યું હતું, આ ઉપરાંત વરસાદી પાણીથી ખીરસરા રોડ પર દરિયા જેવું વાતાવરણ ખડું થતા પાણી વચ્ચે આવી ગયેલા 2 થી 4 લોકો બચવા વીજપોલ ઉપર ચડી ગયા હોય તેઓને બચાવવા જેતપુરના નાયબ  મહેતા સહિતના પાણી જાણકારોએ ભારે મહેનત કરી હતી પણ કહેવાય છે કે આ બધા ઘસમસતા પાણીમાં ભયજનક હાલતમાં મુકવા માંડતા નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત સૌ પાણી બહાર નીકળી ગયા હતા. આ તકે નીખીલ મહેતા કહેલ કે વિકરાળ પાણીની આવક સામે બિનતરવૈયા લોકોનું ગજું નાં હોય ગોંડલ ખાતેથી રેસ્ક્યુ ટીમ સાથેના તરવૈયાઓને બોલાવાયા છે. જેઓ વીજપોલ ઉપર જીવ બચાવી બેઠેલા લોકોને બચાવશે..

સરકારી ચોપડે તો ગઈ રાત્રીથી આજ બપોર સુધીમાં જેતપુર શહેરમાં પાંચેક ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાલુકાના વીરપુર, જેતલસર, વિગેરે તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળે છે.
જેતપુરના સેવાભાવી જગદીશભાઈનો આક્રોશ, જેતપુરની રાહત સમિતિ ક્યાં ગઈ ?
જેતપુર: જેતપુરના અમરનગર, વાડાસડા, ખીરસરા વિગેરે  જઈને બનતી મહેનત અને સેવા કરવાનો મોકો ઝડપી લીનાર જેતપુરના અગ્રણી દાતા જગદીશ પામ્ભર એ એક એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જેતપુરમાં કાર્યરત રાહત સમિતિ પાસે લાખો રૂપિયાનું ફંડ પડ્યું છે. જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામો બેટમાં ફેરવાયા અને આશરે પાંચેક હજાર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં કેમ કોઈ રાહત સમિતિનો માઈ કે લાલ ના દેખાયો ? સસ્તી પ્રીસીધ્ધી માટે અખબારોના પાને હાકલા પડકાર કરતા જેતપુરના કેમ કોઈ આગેવાનો આજે વાડાસડા, અમરનગર કે ખીરસરા અને ચારણીયામાં ના ડોકાયા ? 

જેતપુરના નવાગઢમાં-નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી 
જેતપુર : ગઈ રાત્રીથી આજના બપોર સુધી વરસેલા પાંચેક ઇંચ વરસાદથી શહેરના નવાગઢ, ગોંડલ દરવાજા,સારણના પુલ, અમરનગર રોડ, વડલી  ચોક, વોંકળી કાંઠા વિસ્તારના મકાનો, ધોરાજી રોડ, વિગેરે જગ્યાએ વરસાદી પાણી ઘુસી ગયા હતા. નવાગઢ માં તો અમુક વિસ્તારોમાં ગોઠણદુબ પાણી ભરાયા હતા.
કશ્યપ જોશી જેતપુર ફોટો અને સમાચાર : 9974262812

મંગળવાર, 23 જૂન, 2015

કોરાકટ્ટ જેતલસર પંથકમાં 1 થી 1.5 ઇંચ વાવણી જોગ વરસાદથી જગતાત ખુશ

કોરાકટ્ટ જેતલસર પંથકમાં 1 થી 1.5 ઇંચ વાવણી જોગ વરસાદથી જગતાત ખુશ 
જેતપુર તા.23
ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગયા પછી પણ માત્ર વરસાદી ઝાંપટાથી ચિંતિત જેતલસર સહીત પંથંકના મોટાભાગના ગામોમાં વાવણીજોગ વરસાદથી જગતાત આલમ ખુશીથી ઝૂમી ઉઠી છે.
બપોરના સખત બફારા બાદ પલટાયેલા  વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી થયા પછી છેક સાંજના પાંચ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતા જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી વિગેરે ગામોમાં અડધોથી દોઢ ઇંચ વાવણીજોગ વરસાદ પડી જતા ખેડૂતો ખુશ થયા છે. જયારે પંથકના નવી જૂની સાંકળી ગામે પણ આજે એકથી દોઢ ઇંચ વરસાદ પડી જતા કાલથી ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરનાર હોવાનું ખેડૂત યુવાન મુકેશ લશ્કરી જણાવે છે.
 જયારે જેતપુરમાં આજે બપોરથી સાંજ સુધી ઓછા વધતા ઝાંપટા સ્વરૂપે 26 મીમી, ભાદર ડેમ વિસ્તારમાં 4 મીમી, સાંકરોલા ડેમ વિસ્તારમાં 18મીમી વરસાદ પડ્યાનું જેતપુર સ્થિત ભાદર ઇરીગેશનના મકવાણાભાઈએ જણાવેલ.

 કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 22 જૂન, 2015

અવસાન નોંધ જેતપુર

કશ્યપ જોશી જેતપુર 

જેતપુરમાં સ્લેબ ભરતી સમયે બીજા માળેથી ગબડેલા આધેડનું મોત

જેતપુરમાં સ્લેબ ભરતી સમયે 
બીજા માળેથી ગબડેલા આધેડનું મોત 
જેતપુર તા.22
ગઈકાલે અહી મકાન બાંધકામ દરમિયાન એક  આધેડ બીજા માળેથી ગબડી પડતા તેમનું મોત થયાનું શહેર પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ અહીના કણકિયા પ્લોટમાં એક જગ્યાએ ચાલતા મકાનના બાંધકામ દરમિયાન ગોડલ દરવાજા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ લીંબાભાઈ સિંગલ (ઉ.વ.45) અકસ્માતે બીજા માળેથી ગબડી પડતા, માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. પીએમ માટે ચંદુભાઈની ડેડબોડી સરકારી હોસ્પીટલે લઇ જવાતા, પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં મજુર મહિલાને ઠેસ વાગતા ગંભીર ઈજા 
જેતપુર તા.22
ગઈકાલે મજુરીકામ કરી પરત  ફરી રહેલી કનુબેન સવજીભાઈ માથુકીયા નામની 45 વર્ષીય મહિલાને ભાદર કેનાલ નજીક ઠેસ વાગતા, અકસ્માતે પડી જતા તેમને બેભાન અવસ્થામાં સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલે લવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ કનુંબેનને પ્રાથમિક સારવાર આપી માથાની ગંભીર ઈજાઓની સારવાર માટે રાજકોટ રીફર કરી હોવાનું પોલીસમાં નોંધાતા પોલીસે કાયદેસરની વિધિ હાથ ધરી છે.

જેતપુરના સ્ટેશનવાવડી ગામે યુવાનને મોઢા પ હથોડી ઝીંકાઈ !!
જેતપુર તા.22
નજીવી બાબતે જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે એક પટેલ યુવાને, વિપ્ર યુવાનને મોઢા પર હથોડી ઝીંકી દઈ લોહીલુહાણ કરી મુક્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર સ્ટેશન વાવડી ગામની સીમમાં વાડી ધરાવતા હરીલાલ જેન્તીલાલ તેરૈયાએ શેઢા પાડોશી બીપીન કનું ભૂવાને શેઢે બાંધેલ તાર કાઢી લેવાનું કહેતા, બીપીને ઉશ્કેરાઈ જઈને હરિભાઈને મોઢા ઉપર લોખંડની હથોડી મારી દેતા, વિપ્ર યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જેતપુર દવાખાને લઇ અવાયો હતો. તાલુકા પોલીસે પટેલ યુવાન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતલસરનો યુવાન  વિદેશી શરાબની 54 બોટલ્સ સાથે પકડાયો 
જેતપુર : રાજકોટની એલસીબી બ્રાંચે ગઈકાલે જેતલસર ખાતે બાતમીના આધારે દરોડો પાડી ઠુંમર ભાવિન જેઠા પટેલને વિલાયતી શરાબની 54 બોટલ્સ સાથે તેમની વાડીયેથી પકડી લીધો હતો. પોલીસ્સે એક મોબાઈલ મળી કુલ રૂ.16700/- નો મુદામાલ કબજે કરી ભાવિનની પૂછપરછ કરતા ભાવિને આ શરાબનો જથ્થો જુનાગઢના કાળા રબારીનો હોવાની કબુલાત આપતા આ રબારીની શોધખોળ આદરાઈ હોવાનું જમાદાર ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું..

જેતપુરમાં ધૂમ બાઈક ચાલકને બચાવવા કારની પલટી 
જેતપુર તા.22
આજે વહેલી સવારે જેતપુરના અમરનગર રોડ પર જનતાનગર ચોકડી પાસેથી ધૂમ સ્ટાઈલથી પુરપાટ ઝડપે નીકળેલા એક બાઈક સવારને બચાવવા જતા ડોબરિયા વાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મોણપરાની કાર રોડ નજીકના વોંકળામાં જઈ પડી હતી. પુલની દીવાલ તોડીને નીચે પડેલી કારના બનાવમાં કોઈને ઈજા નથી થઇ પણ સાંકડા રોડને કારણે આવા બનાવ અવાર નવાર બનતા હોય કાર ચાલકે રોડ પહોળો કરી આ રોડ પર આવેલી શાળાના બાળકોની સલામતી બાબતે સંબંધીતો વિચારે તેવી માંગ કરી છે.

બેફામ ફી વધારાના વિરોધમાં જેતપુરમાં વધુ એક વખત 
કાલે વાલી મંડળ મામલતદારને પાઠવશે આવેદનપત્ર...
જેતપુર તા.22
જેતપુર અને નવાગઢમાં સરકારી નિયમોની ઐસીતેસી કરી શાળા સંચાલકોએ બેફામ ફી વધારો કરી દીધો હોય જેતપુરનું વાલીમંડળ ક્રમશઃ આંદોલનકારી પગલા અપનાવી રહ્યું છે. અગાઉ શહેરની સ્પેસ સ્કુલ સામે વાલીમંડળે આક્રમક રીતે રજુઆતો કરતા કહેવાય છે કે આ શાળાના સંચાલકોએ માત્ર 10 ટકા ફી વધારો અમલી બનાવી બાકીનો ઘટાડી નાખ્યો છે. પણ અન્ય શાળા સંચાલકો હજુ પગ તળે રેલો આવવાની રાહ જોતા હોય, તેઓની સામે પણ રજુઆતો કરવા, ફી વધારો પાછો ખેંચવાની માંગ દોહરાવતું એક આવેદન આવતીકાલ તા.24.6.ના રોજ, સવારે 10:30 કલાકે મામલતદારને અપાશે. 
ત્યાર બાદ મામલતદાર કચેરીથી શાશ્નાધીકારીની કચેરી સુધી એક રેલી યોજી ત્યાં રજુઆતો કરવાનું તેમજ 11:00 5:00 વાગ્યા સુધી ત્યાં એક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જે વાલીઓને ફી વધારો ગેરકાયદેસર જણાતો હોય તેવા વાલીઓએ આ કાર્યક્રમમાં હાજર રહેવા વાલી મંડળના પ્રમુખ એડવોકેટ જીતુભાઈ લાડવાએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


જેતપુર શહેર તાલુકાના વિવિધ વર્તમાન

જેતલસર જં.ના બેંક કર્મચારીને 
વિદાયમાન અપાયું..
જેતપુર તા.22
યુનિયન બેન્કની જેતલસર જંકશન સ્થિત બ્રાન્ચના કર્મચારી શીલુભાઈ તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થતા બેંક મેનેજર ચાવડાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ જેઠવા, નાનજીભાઈ મકવાણા, અખેરાજભાઈ, જીતુભાઈ પાણેરી, બંશીભાઈ, રાજુભાઈ તિવારી તથા ડાયાભાઇ વિગેરે રેલવેના નિવૃત કર્મચારીઓની હાજરીમાં શીલુભાઈની સેવાને વાગોળી, સન્માન સાથે વિદાયમાન અપાયું હતું.

ભારત વિકાસ પરિષદ જેતપુરના નવા હોદેદારો 
જેતપુર : તાજેતરમાં જેતપુરની ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાના નવા હોદેદારોની વરણીના એક કાર્યક્રમનું સંગીતસંધ્યા વચ્ચે આયોજન થયું હતું. આ તકે સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરી વચ્ચે જેતપુર શાખાના વર્ષ-2015 ના વરાયેલા નવા હોદેદારોમાં પ્રકાશ અગ્રાવત(પ્રમુખ), હરિભાઈ પરમાર(ઉપપ્રમુખ), નરેન્દ્ર કોટડીયા(મંત્રી) તથા ખજાનચી તરીકે અશ્વિનભાઈ ચોટાઈની નિમણુક કરાઈ હોવાનું જણાવાયું છે.

જેતપુરની સંસ્થાઓનું એકીસાથે ''યોગાસન''
જેતપુર: ગઈકાલે વિશ્વ યોગ દિન નિમિત્તે જેતપુરમાં નગર પાલિકા, તાલુકા પંચાયત, નામી અનામી સંસ્થાઓ, શાળાઓ, શાશ્નાધિકારી, ડાઈંગ એશોશીયેશન, વિગેરેના આગેવાનો, કાર્યકરો, સંચાલકોએ મોટી સંખ્યામાં અત્રેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગાસન યોજી વડાપ્રધાન મોદીના અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. તો આવીજ રીતે જેતપુર એસટી ડેપોમાં કર્મચારીઓએ ડેપોના મેદાનમાં યોગ દિવસની ઉજવણી કરી હતી.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )


જેતલસર હાઈસ્કુલમાં યોગાસન 
જેતપુર : જેતલસરની હાઈસ્કુલમાં વિધાર્થીઓ, શિક્ષકો સાથે ગામના કૌશલ્ય વર્ધક કેન્દ્રના સ્ટાફે પણ યોગાશન અભિયાનમાં જોડાયા હતા.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )



શુક્રવાર, 19 જૂન, 2015

જૂનાગઢમાં ચાર દિવસ પહેલા 6 શખ્શોએ એસીડ પીવડાવી દિધેલા દેવીપુજક આધેડનું મોત !

રૂપિયા 4 હજાર ગજવામાં જોઈ જતા 
જૂનાગઢમાં ચાર દિવસ પહેલા 6 શખ્શોએ એસીડ 
પીવડાવી દિધેલા દેવીપુજક આધેડનું મોત !
મૃતક આધેડનું પીએમ અને અંતિમવિધિ જેતપુરમાં કરાઈ, જેતપુર પોલીસના જમાદાર ખરાડી કહે છે વધુ વિગતો જુનાગઢ પોલીસ પાસે હોય, અમોએ કાગળો ફોરવર્ડ કરી દીધા છે !! પોલીસ રસ દાખવે તો મારા ધણીની હત્યાની ઘટના બહાર આવે : પત્ની હંસા 
જેતપુર તા.19
આજથી ચાર દિવસ પહેલા જૂનાગઢમાં 5-6 શખ્શોએ એક દેવીપુજક આધેડને એસીડ પીવડાવી તેમના ગજવામાં રહેલા રૂપિયા ચાર હજાર જેવી રકમ સેરવી નાસી ગયાની ઘટના ખૂનના બનાવમાં પરિણમેં તેવી સંભાવનાઓ જન્મી હોવાની સનસનાટી ભરેલી વિગતો મળી રહી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી અને ભંગાર વીણવાનો ધંધો કરતી હંસાબેન રાજુભાઈ વાડોદરિયા જાતે દેવીપૂજક (રહેવાસી રેલ્વે સ્ટેશન, ખોડિયાર મંદિરની બાજુમાં જુનાગઢ તથા ધોરાજી રોડ કેનાલ પાસે જેતપુર)નામની મહિલાએ આજે ચૌકાવનારી બતાવેલી વિગતો એવી છે કે તેમના પતિ રાજુ વશરામ દેવીપુજક પાસે ભંગાર વેચાણના રૂપિયા 4 હજારથી વધુ રકમ જોઈ જતા તેમના રહેણાંક કુબા એવા મકાનની આજુ બાજુ હરતા ફરતા સરદારજી અને એક ડાડો  સહિતના 5-6 શખ્શોએ રાજુભાઈને એસીડ પીવડાવી દેતા રાજુભાઈને છેલ્લાં ચાર દિવસ થયા જુનાગઢ દવાખાને સારવાર અપાઈ રહી હતી.
જ્યાં આજે તબિયતમાં સારું થઇ જતા પતિ રાજુ ને હંસા જેતપુર એક રીક્ષામાં લઈને આવતી હતી. પણ જેતલસર પહોચેલી રીક્ષામાં પતિ રાજુ બેભાન થઇ જતા હંસાબેન બેભાન પતિને જેતપુરની સરકારી હોસ્પીટલમાં લાવી હતી. પણ ફરજ પરના તબીબોએ રાજુભાઈને મૃત જાહેર કરતા તેમનું પીએમ અહી કરાવી પોલીસે આ દેવીપૂજકની લાશને અંત્યેષ્ટિ માટે શહેરના સેવાભાવી એકતા સોશિયલ ગ્રુપના આગેવાનોને સોંપી હતી.
દરમિયાન અંત્યેષ્ટિ વખતે હંસાબેને સ્મશાનઘાટમાં આ ઘટના વર્ણવતા અને આ અંગે પોલીસમાં પણ વિગતો લખાવ્યાની કરુણાંતિકા વર્ણવતા ઉપસ્થિત સેવા મંડળના હારુન સફાઈ, મુકેશ સાંતલપરા સહિતના ડાઘુઓ સ્તબ્ધ થઇ ગયા હતા.
બીજી બાજુ આ ઘટનાના તપાસનીશ જેતપુર શહેર પોલીસના જમાદાર ખરાડીએ જણાવેલ કે કદાચ આવું બન્યું હશે પણ જૂનાગઢનો બનાવ હોય, અમોએ જુનાગઢ કાગળો મોકલી દીધા છે !!
ત્યારે પ્રશ્ન ઈ ઉભો થાય છે કે શું આ બનાવ હત્યામાં પલટાશે ? ભંગાર વીણીને ગુજરાન ચલાવતી હંસાએ તો ભરથાર ગુમાવ્યો, હવે કોઈ તેની વહારે આવશે ? પોલીસ તપાસ કરશે ? કે અત્યંત ગરીબ એવી હંસાની પતિ ગુમાવ્યાની વેદનાઓ રાબેતા મુજબની પોલીસની કાર્યવાહીમાં પોટલામાં બાંધી દેવાશે ? તે સમયજ બતાવશે !!!

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

ફોટો વિગતો : જેતપુરની સેવાભાવી સંસ્થા એકતા સોસીયલ ગ્રુપના આગેવાનોએ પોલીસ અને હોસ્પિટલસુત્રો પાસેથી રાજુભાઈની લાશ અંત્યેષ્ટિ માટે સ્વીકારી તેના દાખલા, અર્થી અને મૃતક રાજુભાઈ દેખાય છે.


વારસાઈ જમીન હડપ કરનાર 3 શખ્શોએ પાર્શીયલ બ્લાઈન્ડ યુવતીને લમધારી !!

જેતપુર તાલુકાના, જેતલસર પંથકના નવી સાંકળી ગામે 
વારસાઈ જમીન હડપ કરનાર 3 શખ્શોએ 
પાર્શીયલ બ્લાઈન્ડ યુવતીને લમધારી !!
યુવતીના પિતા સ્વર્ગે સિધાવ્યા છે, એકનો એક ભાઈ 4 મહિના થયા અકસ્માતનો 
ભોગ બની સારવારમાં ખાટલામાં છે, મેર ટોળકીએ જમાવ્યો જમીન પર કબજો ??

જેતપુર તા.19
જેતપુરના નવી સાંકળી ગામની એક યુવતીને આજે મેર ટોળકીના 3 શખ્શોએ લાકડીવતી ઢોરમાર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કર્યાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સાંકળી ગામની વનિતા બચુભાઈ વાલાણી નામની 30 વર્ષની યુવતીને આજે સવારે કોઈ અજાણ્યા 3 શખ્શોએ બેરહમીથી લાકડીવતી માર મારી ડાબા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચાડતા એક રીક્ષા ચાલક વનિતાને લોહી નીગળતી હાલતમાં  તેમની માતા સવિતાબેન સાથે જેતપુર સરકારી દવાખાને લાવતા હતા.
પણ તે રીક્ષામાં પંક્ચર પડી જતા આ મામલો જેતલસર જંકશનના રીક્ષા ચાલક જગુભાઈ હરસુરભાઇ વાળાએ સંભાળી વનિતાને સરકારી દવાખાને પહોચાડેલ..જ્યાં ફરજ પરના ડોક્ટર ગજેરાએ તાત્કાલિક વનિતાને સારવાર આપી, ફ્રેકચર સબબ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરી હતી. બીજીબાજુ હોસ્પિટલ સુત્રોની જાણ પરથી દોડી આવેલી તાલુકા પોલીસને વનિતાએ ચૌકાવનારી વિગતો આપી હતી. જે વિગતો મુજબ વનિતાના પિતા બચુંભાઈ વાલાણી લાંબા સમય પહેલા અવસાન પામ્યા છે. તેમના પૂર્વજોની જે જમીન જુનાગઢ થી મંડલીકપૂર જવાના રસ્તે આવી છે તે જમીન કોઈ મેર ટોળકીના સભ્યોએ હડપ કરી લીધી હોય, આજે વનિતા સવારે પોતાના ખેતરે ગઈ ત્યારે ત્રણ અજાણ્યા શખ્શો તેના પર તૂટી પડતા હાથમાં ગંભીર ઈજાઓ પામેલી આ યુવતીને જેતપુર બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે વનીતાની ફરિયાદ પરથી 3 અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે.
બોક્સ: ભાઈ ઈજાગ્રસ્ત, એકલી યુવતીની હિંમત કાબીલેદાદ !!
જેતપુર : નવી સાંકળીના જાગૃત માણસોએ બે ત્રણ દુઃખદ વાત બતાવતા જણાવેલ કે વનિતા અને તેમની માતા પાર્શીયલ બ્લાઈંડ( પ્રજ્ઞાચક્ષુનો એક પ્રકાર, આંખે ઓછું દેખે તેવું)  છે. પિતા લાંબા સમય પહેલા સ્વર્ગે સિધાવ્યા છે. અને એકનો એક ભાઈ ચાર પાંચ મહિના પહેલા એક મારુતિવાન અકસ્માતમાં હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની પીડા ખાટલામા ભોગવી રહ્યો છે. બીજી બાજુ મેર ટોળકીએ તેમની કીમતી જમીન ઉપર કબજો જમાવી લીધો હોય, હવે કોઈ તેમની વહારે આવે તે જરૂરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812



ભાદર ડેમ-1 સ્થિત જેતપુર પાલિકાના પંપ હાઉસનો વીજ પુરવઠો ખોરવવાનું બંધ કરો તો સારું !! બાપ !

જેતપુરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પાડવાની સાઝીશ કે ફોલ્ટ સર્જાય છે ?
ભાદર ડેમ-1 સ્થિત જેતપુર પાલિકાના પંપ હાઉસનો 
વીજ પુરવઠો ખોરવવાનું બંધ કરો તો સારું !! બાપ !
છેલ્લા 2 મહિના થયા પંપ હાઉસનો અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય જેતપુરમાં 
પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે છે. જેતપુર પાલિકાની રાજ્ય મંત્રી રાદડીયાને રજૂઆત...
જેતપુર તા.19
ભાદર ડેમ-1 ઉપર જેતપુર પાલિકાના પંપ હાઉસના વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની તપાસ કરાવી, આ સમસ્યાનું પુનરાવર્તન ના થાય તેમ ઘટતું કરવા જેતપુર પાલિકાસુત્રોએ સ્થાનિક ધારાસભ્ય અને પ્રવાસન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરી છે.
રજુઆતમાં જેતપુર નવાગઢ નગર પાલિકા સુત્રો એ જણાવેલ છે કે ભાદર ડેમ-1 દ્વારા જેતપુર નવાગઢ શહેરમા પીવાના પાણીનું વિતરણ થઇ રહ્યું છે. આ માટે એટલેકે જરૂરી વીજળી માટે આ ડેમ ખાતે જેતપુર પાલિકાનો પંપ હાઉસ ઉભો કરાયો છે. જેનો વીજ પુરવઠો, વીજ તંત્રના લીલાખા ફીડરમાંથી સ્પેશિયલ અલગ લાઈનથી મેળવાઈ રહ્યો છે.
પરંતુ છેલ્લા 2 માસ થયા પંપ હાઉસનો વીજ પુરવઠો કોણ જાણે જાણી જોઇને ખોરવી નાખવામાં આવે છે કે કોઈ ફોલ્ટ સર્જાય છે ? તે વાતની તપાસ કરાવી ઘટતું કરાવવા રાજ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. પાલિકા સુત્રો કહે છે કે વીજ તંત્રની આ સમસ્યાથી ભાદર ડેમમાં પુરતો જળ જથ્થો હોવા છતાં જેતપુરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ભારે હાલાકી સર્જાતી હોય, પાણી વગર ટળવળતી પ્રજાને ના છૂટકે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા મજબુર થવું પડે છે.
જેતપુર પાલિકા સુત્રોએ વીજ તંત્રને અમુક એવી પણ વણમાંગી સલાહો આપી છે કે લીલાખા ફીડરમાંથી જેતપુરના પંપ હાઉસની જે વીજ લાઈન છે તેમાં સારી ગુણવત્તાવાળા વીજ તાર અથવા કેબલ બદલાવી નવા નાખવા જોઈએ, વારંવાર થતા વીજ ફોલ્ટની સમસ્યા કાયમી હલ કરવા વીજ પોલને અર્થિંગ તાર તેમજ તાણીયા મારવા જોઈએ..
બોક્સ: વીજ પુરવઠો બંધ રાખવાની જાણ કરો..
જેતપુર : જેતપુર પાલિકા સુત્રો કહે છે કે તેઓના ડેમ સ્થિત પંપ હાઉસમાં વીજ ફોલ્ટ સર્જાતા હોય તો તાકીદે કારણો શોધી તે હલ કરવા જાગવું જોઈએ. અને જો વીજ પુરવઠો બંધ કરવાની નોબત ઉભી થતી હોય ત્યારે જો વીજ તંત્ર અગાઉ જેતપુર પાલિકાને જાણ કરે તો પાલિકાસુત્રો પણ આ વાતથી જેતપુરના શહેરીજનોને વાકેફ કરી શકે. અને વિલંબિત પાણી વિતરણ બાબતે પ્રજાજનોનો સહકાર માંગી શકે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

AVSAAN NONDH JETALSAR BY KASHYAP JOSHI



ગુરુવાર, 18 જૂન, 2015

SUVIDHANA BANGA FUNKATI JETPURNI SHALA SANCHALKONE ARPAN

FEE VADHARA MUDDE JETPUR NI SHALAMA VAALIONO HANGAMO

જેતપુરમાં કાઠી ક્ષત્રીય યુવાને ઢોરમાર મારનાર બે પોલીસમેનોની બદલી કરવા જેતપુરના મામલતદારને મહિલા સુધરાઈ સદસ્યાનું આવેદન

જેતપુરમાં કાઠી ક્ષત્રીય યુવાને ઢોરમાર મારનાર બે પોલીસમેનોની બદલી કરવા 
જેતપુરના મામલતદારને મહિલા સુધરાઈ સદસ્યાનું આવેદન 
જેતપુર તા.18
જેતપુરના એક કથી ક્ષત્રીય યુવાને વિના વાંકે પકડી ઢોર માર મારનાર શહેર પોલીસના બે પોલીસમેનોની તાકીદે બદલી ના કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી જેતપુર નગર પાલિકાના સદસ્યા શારદાબેન વેગડાએ કાઠી સમાજના આગેવાનોને સાથે રાખીને જીલ્લા પોલીસ વડા સુધી આ વાત પહોચાડવાની માંગ કરતુ એક આવેદનપત્ર સ્થાનિક મામલતદાર ભોરણીયાને સુપ્રત કર્યું હતું.
મળતી વિગતો મુજબ જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા અજીતભાઈ બીશુભાઈ વાળા નામના દરબાર યુવાનને કોઈ પણ વાંક-ગુના વગર પોલીસ થાણે લઇ જઈ શહેર પોલીસના બે પોલીસ જવાનોએ બેરહેમીથી ઢોર માર મારતા આ વાતના કાઠી ક્ષત્રીય સમાજમાં આજે ઘેરા પડઘા પડ્યા હોય તેમ આજે આ સમાજના મોટા સમુદાયની આગેવાની લઈને જેતપુર નગર પાલિકાના સદસ્યા શારદાબેન(કારીબેન)વેગડાએ તીનબત્તીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી પોલીસમેનો વિરૃદ્ધ સુત્રોચ્ચાર કરી, તાકીદે બદલી કરવાની માંગ કરી, મામલતદારને આવેદન આપ્યું હતું.
આવેદન પત્રોમાં મહિલા સદસ્યએ ખુલ્લા આક્ષેપો કરી જણાવ્યું હતું કે જેતપુરમાં અનેક જગ્યાએ શહેર પોલીસની અમી દ્રષ્ટિ તળે દારુ જુગારના હાટડા ધમધમી રહ્યા છે. આવી જગ્યાએ દરોડા પાડવાને બદલે શહેર પોલીસના છાપેલા કાટલાં સમાન અમુક પોલીસમેનો હપ્તારાજ ચલાવી રહ્યા છે.  જયારે નિર્દોષ લોકોને ખોટેખોટા પોલીસ મથકે ઉપાડી જઈ, બાતમી કઢાવવાના બહાને ઢોરમાર મારી સત્તાનું પ્રદર્શન કરી રહ્યા હોય, આ અન્યાયી વાત સહન કરવી યોગ્ય છે.
તેઓની આ ફરિયાદ રાજકોટ જીલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર સુધી પહોચાડવાની વાત દોહરાવી શારદાબેન વેગડા, કંચન ચાવડા, મારનો ભોગ બનેલા યુવાનના કાકા ભીખુભાઈ વાળા, કાથી ક્ષત્રીય સમાજના ખમતીધર આગેવાન વલકુભાઈ ગોવાળિયા, વિગેરેએ એકી અવાજે મામલતદાર સમક્ષ એ વાત ઉચ્ચારી હતી કે અજીતભાઈ દરબાર નામના યુવાનને વગર વાંકે ઢોરમાર મારનાર પોલીસમેનો મનીષભાઈ અને ધીરુભાઈની તાકીદે બદલી નહિ કરાય તો તેઓ ઉપવાસ આંદોલન છેડાશે..
જેતપુરના પોલીસમેન શું કહે છે ?
જેતપુર : જેતપુર પાલિકાના મહિલા સદસ્યા સહિતના કાઠી  ક્ષત્રીય સમાજના આગેવાનોએ અજીતભાઈ વાળાને ઢોરમાર મારનાર જે પોલીસમેન સામે આક્ષેપ કર્યા છે તે પોલીસમેન મનીષભાઈ વરુએ એક ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ ગઈકાલે વિલાયતી શરાબની 32 બોટલ સાથે જડ્પાયેલ અજય વાઘેલા અને બાવાજી કપિલ નિમાવતનો અજીત જોડીદાર છે. તપાસમાં અજીત વાળનું નામ ખુલતા અને તેની પાસેથી વિલાયતી શરાબની 3 બોટલ ઝડપાતા પોલીસે પોલીસની કામગીરી કરી હોવાનું મનીષભાઈએ જણાવેલ..

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

જેતપુર શહેર પંથકના વિવિધ વર્તમાન કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરના 2 યુવાનો વિદેશી શરાબની 32 બોટલ સાથે ઝડપાયા 
જેતપુર તા.18
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં બેરોકટોક વિલાયતી શરાબ વેચાતો હોવાની શહેર પોલીસના ફોજદાર સંઘાણીને બાતમી મળતા ગઈકાલે તેઓએ આ વિસ્તારમાં સ્ટાફને સાથે રાખી દારુ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અજય લખું વાઘેલા(વડલી ચોક) તથા કપિલ દયારામ નિમાવત(લક્ષ્મીનગર સોસાઈટી) એમ બંને યુવાનો વિલાયતી શરાબની રૂ.9600 ની 32 બોટલ, શરાબ વેંચાણ વકરાના રોકડ 3850/-, રૂ.45 હજારનું એક બાઈક મળી કુલ રૂ.58450/- ના મુદામાલ સાથે ઝડપાઈ જતા બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

રાજકોટનો સિંધી યુવાન જેતપુરમાંથી 2 છરી સાથે પકડાયો 
જેતપુર તા.18
જેતપુરના પેઢલા નજીકથી નીકળેલી એક છકડો રિક્ષાને અટકાવી એલસીબી રાજકોટના સ્ટાફે ચેકિંગ કરતા ચાલક મહેશ સિંધી રહે. રાજકોટના નેફામાંથી 2 છરીઓ મળી આવી હતી. પોલીસે ગેરકાયદેશર રીતે છરીઓ સાથે નીકળેલા મહેશ સામે ગુનો નોંધી, છરીઓ કબજે લઇ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાળાડુંગરા ગામે મંદિરમાંથી છત્તર ચોરનાર પકડાયો 
જેતપુર તા.18
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આજથી ત્રણેક દિવસ પહેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી સોનાના છત્તરની ચોરી થઇ હતી. દરમિયાન વીરપુર પોલીસે આ ફરિયાદને આધારે તપાસ ચાલુ કરી તે જ ગામના રવિ ઊર્ફે રવિયો જીવરાજ ખાંટ નામના યુવાનને પોલીસથાણે બોલાવી કડક પૂછપરછ કરતા રવિ પોપટ બની જઈને છત્તર ચોર્યાની કબુલાત આપતા પોલીસે તેમની સામે ગુનો નોંધી ધોરણસરની વિધિ હાથ ધરી છે.

જેતલસરથી બાવાપીપળીયા સુધીના 11 કિમી રોડ માટે 
રૂ.7 કરોડ ગ્રાન્ટ મંજુર કરાવતા પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા
જેતપુર તા.18
જેતલસર થી બાવાપીપળીયા સુધીનો 11 કિલોમીટર રોડ ભારે વાહનો ચાલવાથી જર્જરિત બન્યો હતો. આ બારાની જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા વિગેરે ગામોના લોકોએ અવારનવાર જેતપુરના ધારાસભ્ય અને પ્રવાસન મંત્રી જયેશ રાદડીયાને રજુઆતો કરી હતી કે રોડ બનાવતી ખાનગી કંપનીના ભારેખમ લોડર તેમજ બાવાપીપળિયા થી થોડે દુર જેતપુર સાડી ઉદ્યોગના વાહનો સતત ચાલતા હોય રોડ નબળો પડી ગયો છે.
પ્રજાની આ ફરિયાદ અને રજુઆતોને ધ્યાને લઇ જયેશ રાદડીયાએ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમાંથી આ રોડના રીપેરીંગ માટે રૂપિયા 7 કરોડની ગ્રાન્ટ મંજુર કરાવતા, આગામી સમયમાં આ રોડ રીપેર થઇ જવાની વાતથી લોકોમાં આનંદ છવાયો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

બુધવાર, 17 જૂન, 2015

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે જેતપુર શહેરમાં રૂ.8 કરોડના સીસી રોડના કામો થશે

સમૂહ જ્ઞાન સ્પર્ધા :
જેતપુરની ઓજસ ઇન્ટરનેશનલ સ્કુલમાં ધો. 1 થી 5 ના વિદ્યાર્થી બાળકો માટે સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પાંચ ગ્રુપના બાળકોએ લીધેલા ભાગ દરમિયાન ધોરણ 5 નું ગ્રુપ મેદાન મારી, જતા આ ગ્રુપના આર્ચી, કૃપા, તીર્થ, કેવિન, નિરત, નીશીત, શિવમ અને નમ્રને શાળા સંચાલકો ભદ્રેશભાઈ, જતીનભાઈ, નીતિનભાઈ વિગેરે દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી તમામની પીઠ થાબડી હતી.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
-----------------------------------------------------------------------------------------------------------
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે 
જેતપુર શહેરમાં રૂ.8 કરોડના સીસી રોડના કામો થશે 
જેતપુર તા.17
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી-56 વર્ષ 2013-14 ની બચત રકમ રૂ.36.46 લાખ તથા યુડીપી-78 વર્ષ 2014-15 ની બચત રકમ રૂ.154.53 લાખ તથા યુડીપી-78 હર્ષ 2014-15 ની બચત રકમ રૂપિયા 625 લાખ મળી કુલ 815 લાખ બચત ગ્રાન્ટ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાને સાંકળતા રસ્તાઓ ઉપર સીસી રોડ કામો તાકીદે હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવ્યું છે. 
આ બાબતે માહિતી આપતા તેઓએ જણાવેલ કે શહેરમાં કોઈ રોડ રસ્તા કાચા ના રહે તેવા હેતુસર સરકારની ઉપરોક્ત ગ્રાન્ટમાંથી ગોવર્ધનનગર બગીચાથી રેલ્વે લાઈન સુધી અને બાપા સીતારામની મઢુલી સુધી, મઢુલીથી દિપાલી કારખાના સુધી, ગોવર્ધનનગર થી બસસ્ટેન્ડ ચોક સુધી, દીપક પાનથી અંબર સિનેમા સુધી, દીપ થી દશામાતાના મંદિર સુધી, આ મંદિરથી અમરનગર રોડ, તીનબત્તી ચોકથી બગીચા અને બગીચાથી સ્ટેન્ડ ચોક, સ્ટેન્ડ ચોકથી વર્ધમાન બૂક સ્ટોર, આ બુક સ્ટોરથી કૈલાસ ડ્રેસીસ, ત્યાંથી વડલી ચોક, ત્યાંથી ચંદ્ર મોલેશ્વર મહાદેવ, ગૌત્તમ કારખાનાથી ખાખામઢી મંદિર, નવાગઢ રોડથી વર્ધમાન કારખાનું અને ત્યાંથી નેશનલ હાઈવે, જુનાગઢ રોડથી શુભ કિરાણા, ડો.ભૂવાના દવાખાનાથી વલકુભાઈના મકાન સુધી, ત્યાંથી મસ્જીદ, ખોડપરા મેઈન રોડ, બસસ્ટેન્ડથી પાલિકા શોપિંગ સેન્ટર, ત્યાંથી સ્ટેટ બેંક, અફલાતુન ખાણીપીણીની દુકાનથી ચશ્માની દુકાન સુધી, અમરનગર રોડ પર મધુરમ એપાર્ટમેન્ટથી ભીખુભાઈ અને મનુભાઈ વ્યાસના મકાન સુધી, તે જ રોડ પર સૂર્યદીપ મકાનથી શ્રીજી શાળા વાળો રોડ વિગેરે સીસી રોડથી પાકા બનાવાશે.
જ્યારે ગુજરાતી વાડી પુલ અને વોંકળાથી ગૌશાળા, ધોરાજી રોડ પર સ્પોર્ટ્સ કલબથી પરેશ માત્રવાડીયાના મકાન, સાગર મકાનથી પંચમીયા દવાખાનું, કિશાન ચોકથી દેવીકૃપા કિરાણા, સાકરિયા શેરી, ટાંકુંડીપરા મેઈન રોડ પર કેશુભાઈના ઘરથી સાકરીયા મકાન, તેજા કાળા પ્લોટથી ભીખુભાઈના મકાન અને ત્યાંથી કોટડીયા વાડી સુધી, નવાગઢ ચોકડીથી ખોડિયાર ધાર પુલ, કોટેશ્વર મંદિરથી રામજી મંદિર(રામજી મંદિર રોડ), બસસ્ટેન્ડ રોડ એચ એચ ટ્રાન્સપોર્ટથી ડો. વાધવાણી રોડ, મહાદેવ દવાની દુકાનથી સંજીવની દવાખાના રોડ, યુનિયન બેન્કથી હાડકાની હોસ્પિટલ સુધી, બોસમીયા કોલેજની ડાબી બાજુનો કેનાલ રોડ, ખાખા પાવ નામની દુકાનથી અમરનગર રોડ, અક્ષર નિશાળથી અમરનગર રોડ, ધોરાજી રોડ થી કડવા પાટીદાર સમાજ, નવા ફાયર સ્ટેશનથી કેનાલ સુધી, નેશનલ હાઈવેથી સ્ટેટ બેંક નવાગઢ રોડ, જુના રૂપાવટી રોડ પર રીવાઈન્ડીગની દુકાનથી અમરનગર રોડ, ગુજરાતી વાડી વોંકળીથી ગૌશાળા, રાજકોટ રોડ પર દેવમુરારીના મકાનથી નવી લોહાણા વાડી તથા નવાગઢ રામજી મંદિરથી અવેડા સુધીના રોડ રસ્તા સીસીથી મઢાશે.
પાકા રોડ રસ્તા થવાથી જેતપુરવાસીઓને ચોમાસા દરમિયાન કાદવ કીચડની ફરિયાદો નહિ રહે. વાહન ચાલકો પણ રાહત અનુભવશે તેવું પાલિકા પ્રમુખ રમાબેન જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
-----------------------------------------------------------------------

મંગળવાર, 16 જૂન, 2015

લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા


અનેક રાજકીય ભલામણોને ઠુકરાવી વિરપુરના ફોજદાર જોશીએ
લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા 
ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા 
જેતપુર તા.16
જેતપુર ના વીરપુર પોલીસના ફોજદાર જોશીએ ગઈકાલે એક કડક અમલદારની ફરજ નિભાવી, રાજકીય ભલામણોને ઠેબે ચડાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સહીત પાંચને લુણાગરાં ગામે જુગાર દરોડો પાડી ઝડપી લીધાની વાત ટોક ઓફ ધી તાલુકા એરિયા બની છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે પ્રવીણ રવજી ધંધુકિયા નામનો શખ્શ પોતાના ઘરે આવક માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની વીરપુર પોલીસને બાતમી મળતા, વિરપુરના ફોજદાર જોશીએ કોઈ પણ વિલંબ કર્યા વગર વીરપુરમાં પ્રવીણના મકાન ઉપર જુગાર દરોડો પાડતા, ત્યાં જુગાર રમતા બાબુ પોલા પરમાર, અશોક ટપુ વાઘાણી, ચંદુ રામજી પટેલ, પ્રવીણ રવજી તથા જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ  બાંભરોલીયા તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 10300 સાથે પકડાઈ ગયા હતા..
જુગાર દરોડા દરમિયાન ઉપરોકત ભાજપના સનિષ્ઠ આગેવાને પોતાની લાગવગના ટેકાચોકા ભેગા કરવા કહેવાય છે કે અથાગ પ્રયત્નો કર્યા હતા. પણ ફોજદાર જોશીએ તમામ ભલામણોને પ્રાધાન્ય આપવાને બદલે ફરજને નૈતિકતા સમજી કાર્યવાહી કરતા છૂટવા મથતા ઉપરોક્ત આગેવાન સહીત પાંચેય સામે વીરપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

જેતપુરના પાંચપીપળા ગામે ખાંટ પરિવારોમાં મોડી રાત્રીએ ધમાલ 
ફૈબાને પત્ની તરીકે રાખનારને ટપારવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો 
જેતપુર તા.16
જેતપુર તાલુકના પાંચ પીપળા ગામે ગઈકાલે ફઈબાને પત્ની તરીકે રાખનાર શખ્શને સમજાવવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો કરાયાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા ફોજદાર કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પાંચપીપળા ગામે રેહેતા મેરામ બચું ખાંટ નામના શખ્શે સુરેશ ધીરુ સરવૈયા નામના યુવાનના ફૈબાને વગર લગ્ને પત્ની તરીખે રાખ્યા હોય, ભત્રીજા એવા સુરેશે મેરામને ટપાર્યો હતો કે આ શું ધંધા આચર્યા છે ? શરમ નથી આવતી ? આવી વાતથી ટપારવા ગયેલા સુરેશને મેરામે ખચાખચ બે છરીના ઘા મારી ઘાયલ કરી દીધાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
તો સામા પક્ષે મેરામ બચું ખાંટે પણ પોતાના ઉપર સુરેશ સરવૈયાએ લોખંડના પાઈપ વતી હુમલો કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદોના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

જેતપુરના વાળાડુંગરા ગામે ખોડીયાર માતાજીના 
મંદિરમાંથી સોનાના છાત્તરની ચોરી 
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી ગઈકાલે રાત્રીના કોઈ નિશાચરો રૂપિયા 23000 નું સોનાનું છત્તર ચોરી કરી લઇ ગયા હતા. આ બાબતે મંદિરનું રખોપું કરતા જગદીશ મનજી રાઠોડની ફરિયાદ પરથી વીરપુર પોલીસના પીએસાઈ જોશીએ વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812