રૂપિયા 4 હજાર ગજવામાં જોઈ જતા
જૂનાગઢમાં ચાર દિવસ પહેલા 6 શખ્શોએ એસીડ
પીવડાવી દિધેલા દેવીપુજક આધેડનું મોત !
મૃતક આધેડનું પીએમ અને અંતિમવિધિ જેતપુરમાં કરાઈ, જેતપુર પોલીસના જમાદાર ખરાડી કહે છે વધુ વિગતો જુનાગઢ પોલીસ પાસે હોય, અમોએ કાગળો ફોરવર્ડ કરી દીધા છે !! પોલીસ રસ દાખવે તો મારા ધણીની હત્યાની ઘટના બહાર આવે : પત્ની હંસા
જેતપુર તા.19
આજથી ચાર દિવસ પહેલા જૂનાગઢમાં 5-6 શખ્શોએ એક દેવીપુજક આધેડને એસીડ પીવડાવી તેમના ગજવામાં રહેલા રૂપિયા ચાર હજાર જેવી રકમ સેરવી નાસી ગયાની ઘટના ખૂનના બનાવમાં પરિણમેં તેવી સંભાવનાઓ જન્મી હોવાની સનસનાટી ભરેલી વિગતો મળી રહી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી અને ભંગાર વીણવાનો ધંધો કરતી હંસાબેન રાજુભાઈ વાડોદરિયા જાતે દેવીપૂજક (રહેવાસી રેલ્વે સ્ટેશન, ખોડિયાર મંદિરની બાજુમાં જુનાગઢ તથા ધોરાજી રોડ કેનાલ પાસે જેતપુર)નામની મહિલાએ આજે ચૌકાવનારી બતાવેલી વિગતો એવી છે કે તેમના પતિ રાજુ વશરામ દેવીપુજક પાસે ભંગાર વેચાણના રૂપિયા 4 હજારથી વધુ રકમ જોઈ જતા તેમના રહેણાંક કુબા એવા મકાનની આજુ બાજુ હરતા ફરતા સરદારજી અને એક ડાડો સહિતના 5-6 શખ્શોએ રાજુભાઈને એસીડ પીવડાવી દેતા રાજુભાઈને છેલ્લાં ચાર દિવસ થયા જુનાગઢ દવાખાને સારવાર અપાઈ રહી હતી.
જ્યાં આજે તબિયતમાં સારું થઇ જતા પતિ રાજુ ને હંસા જેતપુર એક રીક્ષામાં લઈને આવતી હતી. પણ જેતલસર પહોચેલી રીક્ષામાં પતિ રાજુ બેભાન થઇ જતા હંસાબેન બેભાન પતિને જેતપુરની સરકારી હોસ્પીટલમાં લાવી હતી. પણ ફરજ પરના તબીબોએ રાજુભાઈને મૃત જાહેર કરતા તેમનું પીએમ અહી કરાવી પોલીસે આ દેવીપૂજકની લાશને અંત્યેષ્ટિ માટે શહેરના સેવાભાવી એકતા સોશિયલ ગ્રુપના આગેવાનોને સોંપી હતી.
દરમિયાન અંત્યેષ્ટિ વખતે હંસાબેને સ્મશાનઘાટમાં આ ઘટના વર્ણવતા અને આ અંગે પોલીસમાં પણ વિગતો લખાવ્યાની કરુણાંતિકા વર્ણવતા ઉપસ્થિત સેવા મંડળના હારુન સફાઈ, મુકેશ સાંતલપરા સહિતના ડાઘુઓ સ્તબ્ધ થઇ ગયા હતા.
બીજી બાજુ આ ઘટનાના તપાસનીશ જેતપુર શહેર પોલીસના જમાદાર ખરાડીએ જણાવેલ કે કદાચ આવું બન્યું હશે પણ જૂનાગઢનો બનાવ હોય, અમોએ જુનાગઢ કાગળો મોકલી દીધા છે !!
ત્યારે પ્રશ્ન ઈ ઉભો થાય છે કે શું આ બનાવ હત્યામાં પલટાશે ? ભંગાર વીણીને ગુજરાન ચલાવતી હંસાએ તો ભરથાર ગુમાવ્યો, હવે કોઈ તેની વહારે આવશે ? પોલીસ તપાસ કરશે ? કે અત્યંત ગરીબ એવી હંસાની પતિ ગુમાવ્યાની વેદનાઓ રાબેતા મુજબની પોલીસની કાર્યવાહીમાં પોટલામાં બાંધી દેવાશે ? તે સમયજ બતાવશે !!!
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812
ફોટો વિગતો : જેતપુરની સેવાભાવી સંસ્થા એકતા સોસીયલ ગ્રુપના આગેવાનોએ પોલીસ અને હોસ્પિટલસુત્રો પાસેથી રાજુભાઈની લાશ અંત્યેષ્ટિ માટે સ્વીકારી તેના દાખલા, અર્થી અને મૃતક રાજુભાઈ દેખાય છે.


















































