અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2020

રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ

 

રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર એસ.આર.પી. જુથ- ૧૩માં આવેલ બફેલ રેન્‍જ ખાતે તા. ૨૧-૧૧-૨૦૨૦ થી ૫-૧૨-૨૦૨૦ સુધી રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે તાલીમ લઈ રહેલ ૧૬૬ તાલીમાર્થીઓ મળી કુલ ૨૫૨ તાલીમાર્થીઓ માટે ઓટોમેટીક હથિયારોનું ફાયરીંગ પ્રેકટીસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુના વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તા. ૫-૧૨-૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પ્રિયંકા  

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ ૦૦૦૦૦૦ પ્રવેશ ફોર્મ આગામી તા.૧૭ નવેમ્બર પહેલાં રજીસ્ટર કરવાના રહેશે

 


૦૦૦૦૦૦


ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જેતપુર ( વીરપુર )ની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, આઈ.ટી.આઈ. જેતપુર સંસ્થા ખાતે કોપા, ફિટર, સુઇંગ ટેકનોલોજી, વાયરમેન અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૭ નવેમ્બર સુધીમાં સવારે ૯:૩૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

શુભમ                 

સમાજને નિર્મળ વાતાવરણ પુરૂં પાડવા નિરાલો નિર્ણય લેતાં આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા

 

૦૦૦૦૦૦૦૦૦૦

૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને સાઈકલીંગ દ્વારા શાળાએ જઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણારૂપ ઉદાહરણ

૦૦૦૦૦૦૦૦૦૦

સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે, પરંતુ સ્વની સાથે અન્યને લાંબુ આયુષ્ય અને સ્વચ્છ વાતાવરણ આપવા આજનો થોડો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે

- નિમેશભાઈ

          મનુષ્યની જીવનકૃતિને સુંદર અને સુખમય બનાવવા અનેક રંગો અને અમુલ્ય ખજાનાઓથી ભરપૂર પ્રકૃતિ આગવી ભુમિકા ભજવે છે. પરંતુ આજે સ્વના ચિંતનમાં આપણે એટલાં મગ્ન થઈ ગયાં છીએ કે આપણી પાસે પ્રકૃતિનું ચિંતન કરવાનો સમય જ નથી. જગતજીત બનવા માટે પ્રકૃતિજીત બનવું આવશ્યક છે. અને એ ત્યારે જ થશે જ્યારે પર્યાવરણની બાબતમાં આપણા રોજીંદા વ્યવહાર અને વિચારોમાં આમુલ પરિવર્તન લાવીએ. પોતાના જીવનમાં નાના પરંતુ મહત્વના નિર્ણય થકી આવું જ પર્યાવરણલક્ષી પરિવર્તન લાવ્યા છે સન ફલાવર સ્કુલના આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા.


 

          શિક્ષકો જ્ઞાનમંદિરરૂપી શાળામાં વિદ્યાર્થીઓને સારી-નરસી બાબતોની સમજણ આપી તેનું ઘડતર કરતા હોય છે. ત્યારે આચાર્યશ્રી નિમેશભાઈએ વર્તમાન અને ભવિષ્યની પેઢી સુંદર અને નિર્મળ હવા લઈ શકે તે માટે દષ્ટાંતરૂપ ઉદાહરણ બન્યા છે. કે જેઓએ માત્ર ભણાવી કે બોલીને નહીં પરંતુ શાળાએ જવા-આવવા માટે સાઈકલીંગને પરિવહનનું માધ્યમ બનાવીને વિદ્યાર્થી અને સમાજને શુદ્ધ હવાનું મહત્વ પ્રેકટીકલમાં સમજાવ્યું છે.

          ૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને શાળાએ જતાં આચાર્યશ્રી નિમેશભાઈએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"અખબારમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ કે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. આ બધું શેના કારણે થઈ રહ્યું છે તે જાણતા હોવા છતાં આપણે કશું કરતાં નથી. એક શિક્ષક તરીકે પર્યાવરણની આ બાબતમાં હું શું યોગદાન આપી શકું ? આ બાબત પર વિચાર કરતા ૧ વર્ષ પહેલા મેં નિર્ણય લીધો કે હવેથી હું શાળાએ જવા માટે સાઈકલનો ઉપયોગ કરીશ."


 

            સકારાત્મક વાતને રજુ કરવા માટે ઘણીવાર નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે મેં મારા નિર્ણય પર અમલ કર્યો ત્યારે ઘણાં લોકો મને રોકવાવાળા હતા અને ઘણાં તો મારા આ વિચારને હાસ્યમાં પણ ખપાવતા, શિક્ષકોને પણ અજીબ લાગતું. પરંતુ મેં આ બધી બાબતોને બેધ્યાન કરીને સાઈકલ ઉપર સ્કુલે જવાનું ચાલુ રાખ્યું. લોકડાઉન પહેલાંના સમયમાં મારી સ્કુલના ઘણાં વિદ્યાર્થીઓ મારામાંથી પ્રેરણા લઇને સ્કુલે સાઈકલ લઈને આવતા થયા હતા. જો કે આચાર્ય હોવાથી મારે તો હાલ પણ શાળાએ જવાનું થાય તો હું સાઈકલ લઈને જ જાઉં છું તેમ નિમેશભાઈએ જણાવ્યું હતું.

       જેમનું કાર્ય સ્થળ નજીક હોય તેમને સાઈકલ લઈને જવા માટે પ્રોત્સાહન આપતાં આચાર્ય વિસાવડીયાએ કહ્યું હતું કે, સમય બચશે એવું બહાનું લઈને વાહનનો વપરાશ કરતાં હોઈએ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે પરંતુ સ્વની સાથે અન્યોને લાંબુ આયુષ્ય અને સ્વસ્છ વાતાવરણ આપવા આજનો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે. કારણે કે આપણે જેવું આપશું તેવું પામશું. તો ચાલો આજથી જ આપણે પર્યાવરણને કેવી રીતે પ્રદૂષિત થતું અટકાવીને તેનો સદ્ઉપયોગ કરી શકીએ તેનો વિચાર-અમલ કરીને કુદરતનું ઋણ ચુકવીએ."

પ્રિયંકા પરમાર                          ૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કોરોનાથી બચવા સાવધાની અને સાવચેતી રાખવી આવશ્યક : આશિષ ભૂત

 



૦૦૦૦૦

રાજકોટ સિવિલમાં મળેલ સઘન સારવારથી કોરોનામુક્ત બનતા કોરોનાગ્રસ્ત દર્દીઓ

૦૦૦૦૦

 

સમગ્ર રાજ્યમાં કોરોનાને નાથવા હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો સંક્રમણ મુકત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે. 

આવા જ એક વ્યક્તિ 30 વર્ષીય આશિષ ભૂત એ સિવિલ હોસ્પિટલેથી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફરતા કોરોનાથી બચવા સાવધાની અને સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "કોરોનાના અનુભવે મને એટલું શીખવ્યું છે કે, પ્રીકોશન્સ આર બેટર ધેન ક્યોર એટલે કે, તમે જેટલાં સ્વયં પ્રત્યે સાવધાન અને સતર્ક રહેશો, તેટલા જ તમે કોરોના સામે સુરક્ષિત રહેશો. મારુ લોકોને માત્ર એટલું જ કહેવું છે કે, તમે કોરોનાના સકંજામાં આવો એ પૂર્વે જાગૃત બનો અને સરકારની સૂચનાઓનું પાલન કરો. કારણકે, કોરોના કરતાં તેનો ડર વધુ હાનિકારક છે.કોરોનાના આ સમયમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં મારૂં શું થશે ? મારા પરિવારનું શું થશે ? હું કેમ બચીશ ? હવે શું થશે ? આ ડર ફેલાયેલો છે, તેને દરેક લોકોએ મનમાંથી દૂર કરીને થોડી સાવધાની રાખવી પડશે. કોરોનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થયા હોય, કે પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેની તુરત જ સારવાર લઈએ. અને થોડો સમય હોમ ક્વોરન્ટાઈન થઈએ જેથી આપણે આ રોગથી ઝડપથી મુક્ત થઈ શકીએ."

            તેઓ પોતાના કોવીડ સેન્ટરના અનુભવને વર્ણવતા જણાવે છે કે,"થોડાં દિવસો પૂર્વે મને અસ્વસ્થતા જણાતાં મેં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો જ્યાં મારો કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો, જયાં હું ૬ દિવસ કોરેન્ટાઇન રહ્યો. અહીં અમને સારવાર સાથે ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થઈ. સમરસ ખાતે પ્રતિદિન સવારે ઉકાળો, બપોરે સ્વાસ્થ્યપ્રદ આહાર અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવતું. હાલ હું સ્વસ્થ છું પરંતુ હવેથી હું મારી જાત પ્રત્યે વધુ સાવધ રહીશ, નિયમિત હાથમોજાનો ઉપયોગ કરીશ અને સમયાંતરે સાબુથી હાથ ધોતો રહીશ."

આશિષભાઈની જેમ દરેક નાગરિકે કોરોના અંગે સાવચેતી અને સલામતી રાખવી આવશ્યક છે જેથી કોરોનાનાં સંક્રમણથી બચી શકાય .

 

શુભમ અંબાણી                              ૦૦૦૦૦

જામકંડોરણા : બટુકભોજન કરાવાયું...


ગૌ સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા પછાત વિસ્તારમાં જઈ ને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળી ના તહેવાર નિમિત્તે ગરીબ બાળકો ને બટુક ભોજન કરાવીને દીવાળી ની ઉજવણી કરી હતી.ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા વાંઝા વાસ વિસ્તાર અને ઇન્દિરા નગર ના વિસ્તાર ના બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.જેમાં ગૌ સેવા સમિતિ ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી,ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ,શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણા ના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ,સુરેન્દ્રસિંહ વાળા,અશોકભાઈ બારોટ,ભુપતભાઇ, બીમલસિંહ ઝાલા, શક્તિસિંહ વાળા,અજય રાઠોડ,એલવીનભાઈ,ધીરુભાઈ મઢવી,સાગર મોરી અને ગૌ સેવા સમિતિ ના સભ્યો એ જેહમત ઉઠાવી હતી.

ક્રિપાલસિંહ જાડેજા..પીપરડી

જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટ ના દર્શન

 જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટ ના દર્શન

     શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ દિવાળી ના બીજા દિવસે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ ના દર્શન યોજાતા હોય છે. જે આ વર્ષે પણ આવતી કાલે તા. ૧૫ રવિવાર ના રોજ હવેલી તેમજ સ્વામી નારાયણ મંદિર માં ઠાકોરજી ને અન્નકૂટ ધરાશે. મોટી હવેલી ખાતે સાંજે ૫ થી ૭, સ્વામી નારાયણ મંદિરે તેના નિત્ય સમય મુજબ સવારે ૯ વાગ્યા થી, બાવાવાળાપરા મથુરેશજી હવેલી ખાતે મહામારી ને ધ્યાને લઈ ભીતર અન્નકૂટ ઠાકોરજી ને ધરાશે. જેના દર્શન નો લાભ લેવા ભાવિક ભકતો અનુરોધ કરાયો છે.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે.


 ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો *દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ* બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાતો રહ્યો છે.



👉🏻 હાલ, કોરોના મહામારીમાં, સમયની માંગ, પ્રશાસનના નિયમ અને નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે. 


👉🏻 લાઇવ પ્રસારણ માટેની લીંક *GTPL કથા ચેનલ 555* તથા *live.baps.org* 


👉🏻 તા.૧૫ નવેમ્બર, રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન *ઓનલાઈન* અન્નકૂટ દર્શન

👉🏻 તા.૧૬ નવેમ્બર, સોમવારે સવારે ૬ થી ૭:૩૦ દરમ્યાન *ઓનલાઈન* નૂતનવર્ષ મહાપૂજા 


👉🏻 રાજકોટ *બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર 🛕* ખાતે યોજાનાર અન્નકૂટના દર્શન ભક્તો-ભાવિકો સોશિયલ ડીસ્ટન્સ સાથે સવારે ૭:૪૫ થી ૧૨ અને સાંજે ૩:૪૫ થી ૭ વાગ્યા સુધી કરી શકશે. 

👉🏻 દર્શન તેમજ વાહન પાર્કિંગ માટે *ગેટ નંબર ૧* થી જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે પધારીએ ત્યારે ફરજિયાત માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  

*👉🏻 આપ સૌ મીડિયાના મિત્રો આવતીકાલે મંદિરે સમગ્ર દિવસ દરમ્યાન સવારે ૮:૪૫ થી ૧૨ વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનું કવરેજ લઇ શકશો.*

*👉🏻 આ વર્ષે કોરોના મહામારીને અનુલક્ષીને, દર વર્ષે યોજાતા મહાઅન્નકૂટને બદલે મર્યાદિત વ્યંજનો સાથે સાદગીપૂર્વક અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે.*

*👉🏻 આપ જ્યારે મંદિરે પધારો ત્યારે નીચે  જણાવેલ મીડિયા કો ઓર્ડીનેટરનો જ સંપર્ક કરવો.*

નિર્મલ ટાંક - *9033766561*

નયન કલોલા - *7096466717*

આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં મને જીવનમાં આગળ વધવાની આશા બંધાઈ છે - એડવોકેટ નીલમબેન લુંભાણી

 આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં મને જીવનમાં


આગળ વધવાની આશા બંધાઈ છે


- એડવોકેટ નીલમબેન લુંભાણી



000000000


સગર્ભા મહિલાનો દ્રઢ નીર્ધાર, આત્મનિર્ભર યોજનાએ ખરા અર્થમાં નાગરિકોને બનાવ્યા આત્મનિર્ભર


0000000000


સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના પગલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા-વ્યવસાય બંધ રહ્યા અને તેની વ્યાપક અસરો પડી. તેમાં વકીલાતનું ક્ષેત્ર પણ બાકાત ન રહ્યું. ઉપરાંત નાના વ્યવસાયકારો, કારીગરો, મજૂર-શ્રમિક વર્ગ ઉપર માઠી અસરો વર્તાઈ. રાજ્ય સરકારે આ પરિસ્થિતિનો તાગ મેળવી, તેને નિવારવા માટે તુરંત જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ તથા ૨ જાહેર કરી. જેના પરિણામે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના લોકડાઉન બાદ ફરી લોકોના ધંધા-રોજગાર શરૂ કરવામાં પ્રાણવાયુ સાબિત થઈ રહી છે.  ત્યારે આ યોજનાના લાભાર્થી રાજકોટના ક્રિમિનલ એડવોકેટ નીલમબેન લુંભાણી પોતાના વ્યવસાયને ગતિ આપવા માટેનો નવો ઉત્સાહ અને દ્રઢ નિર્ધાર વ્યક્ત કરે છે.


            આ અંગે વાત કરતા નીલમબેન જણાવે છે કે, "લોકડાઉનનો સમયગાળો ખુબ જ કપરો હતો, હું ચિંતામાં હતી કે હવે આગળ શું થશે ? આવા સમયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી, જે અમારા માટે પીઠબળ સમાન સાબિત થઇ,  આ યોજનાનાં લાભ લેવા માટેના ફોર્મ વિતરણની જાહેરાત થતા હું રાજકોટની જીવન કોમર્શિયલ બેન્કમાં ગઈ, જ્યાંથી મેં લોન વિશે માહિતી મેળવીને જરૂરી દસ્તાવેજો જોડીને લોન મેળવવા માટે અરજી કરી હતી. જે બાદ મારી અરજી સ્વીકારાતા મને આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂા. ૨.૫૦ લાખની લોન મળી છે. આ લોન થકી અત્યારે હું મારી ઓફિસનું રીનોવેશન કરાવી રહી છું, હવે હું ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને આધુનિક અપડેશન મુજબ કાર્ય કરીશ, હાલ મારી સગર્ભા અવસ્થાનો આઠમો મહિનો ચાલે છે, ત્યારે આ લોન થકી હું મારા આવનારા બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકીશ, ખરેખર ! આત્મનિર્ભર યોજના થકી જીવનમાં આગળ વધવાની અને ફરી વાર બેઠા થવાની આશા બંધાઈ છે, આ લોનને કારણે અમે ફરી એક વાર આત્મનિર્ભર બની રહ્યા છીએ અને આર્થિક રીતે ટેકો પણ મળ્યો છે."


            આમ, ગુજરાતની સંવેદનશીલ સરકારની આત્મનિર્ભર સહાય યોજનાએ સાચા અર્થમાં કેટલાય પરીવારોને લોન આપીને પુનઃ બેઠા કરીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે.  


00000000000


શુભમ અંબાણી, રાજકોટ