LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 19 જૂન, 2015
ગુરુવાર, 18 જૂન, 2015
જેતપુરમાં કાઠી ક્ષત્રીય યુવાને ઢોરમાર મારનાર બે પોલીસમેનોની બદલી કરવા જેતપુરના મામલતદારને મહિલા સુધરાઈ સદસ્યાનું આવેદન
જેતપુરમાં કાઠી ક્ષત્રીય યુવાને ઢોરમાર મારનાર બે પોલીસમેનોની બદલી કરવા
જેતપુરના મામલતદારને મહિલા સુધરાઈ સદસ્યાનું આવેદન
જેતપુર તા.18
જેતપુરના એક કથી ક્ષત્રીય યુવાને વિના વાંકે પકડી ઢોર માર મારનાર શહેર પોલીસના બે પોલીસમેનોની તાકીદે બદલી ના કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી જેતપુર નગર પાલિકાના સદસ્યા શારદાબેન વેગડાએ કાઠી સમાજના આગેવાનોને સાથે રાખીને જીલ્લા પોલીસ વડા સુધી આ વાત પહોચાડવાની માંગ કરતુ એક આવેદનપત્ર સ્થાનિક મામલતદાર ભોરણીયાને સુપ્રત કર્યું હતું.
મળતી વિગતો મુજબ જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા અજીતભાઈ બીશુભાઈ વાળા નામના દરબાર યુવાનને કોઈ પણ વાંક-ગુના વગર પોલીસ થાણે લઇ જઈ શહેર પોલીસના બે પોલીસ જવાનોએ બેરહેમીથી ઢોર માર મારતા આ વાતના કાઠી ક્ષત્રીય સમાજમાં આજે ઘેરા પડઘા પડ્યા હોય તેમ આજે આ સમાજના મોટા સમુદાયની આગેવાની લઈને જેતપુર નગર પાલિકાના સદસ્યા શારદાબેન(કારીબેન)વેગડાએ તીનબત્તીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી પોલીસમેનો વિરૃદ્ધ સુત્રોચ્ચાર કરી, તાકીદે બદલી કરવાની માંગ કરી, મામલતદારને આવેદન આપ્યું હતું.
આવેદન પત્રોમાં મહિલા સદસ્યએ ખુલ્લા આક્ષેપો કરી જણાવ્યું હતું કે જેતપુરમાં અનેક જગ્યાએ શહેર પોલીસની અમી દ્રષ્ટિ તળે દારુ જુગારના હાટડા ધમધમી રહ્યા છે. આવી જગ્યાએ દરોડા પાડવાને બદલે શહેર પોલીસના છાપેલા કાટલાં સમાન અમુક પોલીસમેનો હપ્તારાજ ચલાવી રહ્યા છે. જયારે નિર્દોષ લોકોને ખોટેખોટા પોલીસ મથકે ઉપાડી જઈ, બાતમી કઢાવવાના બહાને ઢોરમાર મારી સત્તાનું પ્રદર્શન કરી રહ્યા હોય, આ અન્યાયી વાત સહન કરવી યોગ્ય છે.
તેઓની આ ફરિયાદ રાજકોટ જીલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર સુધી પહોચાડવાની વાત દોહરાવી શારદાબેન વેગડા, કંચન ચાવડા, મારનો ભોગ બનેલા યુવાનના કાકા ભીખુભાઈ વાળા, કાથી ક્ષત્રીય સમાજના ખમતીધર આગેવાન વલકુભાઈ ગોવાળિયા, વિગેરેએ એકી અવાજે મામલતદાર સમક્ષ એ વાત ઉચ્ચારી હતી કે અજીતભાઈ દરબાર નામના યુવાનને વગર વાંકે ઢોરમાર મારનાર પોલીસમેનો મનીષભાઈ અને ધીરુભાઈની તાકીદે બદલી નહિ કરાય તો તેઓ ઉપવાસ આંદોલન છેડાશે..
જેતપુરના પોલીસમેન શું કહે છે ?
જેતપુર : જેતપુર પાલિકાના મહિલા સદસ્યા સહિતના કાઠી ક્ષત્રીય સમાજના આગેવાનોએ અજીતભાઈ વાળાને ઢોરમાર મારનાર જે પોલીસમેન સામે આક્ષેપ કર્યા છે તે પોલીસમેન મનીષભાઈ વરુએ એક ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ ગઈકાલે વિલાયતી શરાબની 32 બોટલ સાથે જડ્પાયેલ અજય વાઘેલા અને બાવાજી કપિલ નિમાવતનો અજીત જોડીદાર છે. તપાસમાં અજીત વાળનું નામ ખુલતા અને તેની પાસેથી વિલાયતી શરાબની 3 બોટલ ઝડપાતા પોલીસે પોલીસની કામગીરી કરી હોવાનું મનીષભાઈએ જણાવેલ..
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812
જેતપુર શહેર પંથકના વિવિધ વર્તમાન કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812
જેતપુરના 2 યુવાનો વિદેશી શરાબની 32 બોટલ સાથે ઝડપાયા
જેતપુર તા.18
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં બેરોકટોક વિલાયતી શરાબ વેચાતો હોવાની શહેર પોલીસના ફોજદાર સંઘાણીને બાતમી મળતા ગઈકાલે તેઓએ આ વિસ્તારમાં સ્ટાફને સાથે રાખી દારુ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અજય લખું વાઘેલા(વડલી ચોક) તથા કપિલ દયારામ નિમાવત(લક્ષ્મીનગર સોસાઈટી) એમ બંને યુવાનો વિલાયતી શરાબની રૂ.9600 ની 32 બોટલ, શરાબ વેંચાણ વકરાના રોકડ 3850/-, રૂ.45 હજારનું એક બાઈક મળી કુલ રૂ.58450/- ના મુદામાલ સાથે ઝડપાઈ જતા બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટનો સિંધી યુવાન જેતપુરમાંથી 2 છરી સાથે પકડાયો
જેતપુર તા.18
જેતપુરના પેઢલા નજીકથી નીકળેલી એક છકડો રિક્ષાને અટકાવી એલસીબી રાજકોટના સ્ટાફે ચેકિંગ કરતા ચાલક મહેશ સિંધી રહે. રાજકોટના નેફામાંથી 2 છરીઓ મળી આવી હતી. પોલીસે ગેરકાયદેશર રીતે છરીઓ સાથે નીકળેલા મહેશ સામે ગુનો નોંધી, છરીઓ કબજે લઇ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાળાડુંગરા ગામે મંદિરમાંથી છત્તર ચોરનાર પકડાયો
જેતપુર તા.18
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આજથી ત્રણેક દિવસ પહેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી સોનાના છત્તરની ચોરી થઇ હતી. દરમિયાન વીરપુર પોલીસે આ ફરિયાદને આધારે તપાસ ચાલુ કરી તે જ ગામના રવિ ઊર્ફે રવિયો જીવરાજ ખાંટ નામના યુવાનને પોલીસથાણે બોલાવી કડક પૂછપરછ કરતા રવિ પોપટ બની જઈને છત્તર ચોર્યાની કબુલાત આપતા પોલીસે તેમની સામે ગુનો નોંધી ધોરણસરની વિધિ હાથ ધરી છે.
જેતલસરથી બાવાપીપળીયા સુધીના 11 કિમી રોડ માટે
રૂ.7 કરોડ ગ્રાન્ટ મંજુર કરાવતા પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા
જેતપુર તા.18
જેતલસર થી બાવાપીપળીયા સુધીનો 11 કિલોમીટર રોડ ભારે વાહનો ચાલવાથી જર્જરિત બન્યો હતો. આ બારાની જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા વિગેરે ગામોના લોકોએ અવારનવાર જેતપુરના ધારાસભ્ય અને પ્રવાસન મંત્રી જયેશ રાદડીયાને રજુઆતો કરી હતી કે રોડ બનાવતી ખાનગી કંપનીના ભારેખમ લોડર તેમજ બાવાપીપળિયા થી થોડે દુર જેતપુર સાડી ઉદ્યોગના વાહનો સતત ચાલતા હોય રોડ નબળો પડી ગયો છે.
પ્રજાની આ ફરિયાદ અને રજુઆતોને ધ્યાને લઇ જયેશ રાદડીયાએ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમાંથી આ રોડના રીપેરીંગ માટે રૂપિયા 7 કરોડની ગ્રાન્ટ મંજુર કરાવતા, આગામી સમયમાં આ રોડ રીપેર થઇ જવાની વાતથી લોકોમાં આનંદ છવાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812
બુધવાર, 17 જૂન, 2015
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે જેતપુર શહેરમાં રૂ.8 કરોડના સીસી રોડના કામો થશે
સમૂહ જ્ઞાન સ્પર્ધા :
જેતપુરની ઓજસ ઇન્ટરનેશનલ સ્કુલમાં ધો. 1 થી 5 ના વિદ્યાર્થી બાળકો માટે સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પાંચ ગ્રુપના બાળકોએ લીધેલા ભાગ દરમિયાન ધોરણ 5 નું ગ્રુપ મેદાન મારી, જતા આ ગ્રુપના આર્ચી, કૃપા, તીર્થ, કેવિન, નિરત, નીશીત, શિવમ અને નમ્રને શાળા સંચાલકો ભદ્રેશભાઈ, જતીનભાઈ, નીતિનભાઈ વિગેરે દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી તમામની પીઠ થાબડી હતી.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
-----------------------------------------------------------------------------------------------------------
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે
જેતપુર શહેરમાં રૂ.8 કરોડના સીસી રોડના કામો થશે
જેતપુર તા.17
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી-56 વર્ષ 2013-14 ની બચત રકમ રૂ.36.46 લાખ તથા યુડીપી-78 વર્ષ 2014-15 ની બચત રકમ રૂ.154.53 લાખ તથા યુડીપી-78 હર્ષ 2014-15 ની બચત રકમ રૂપિયા 625 લાખ મળી કુલ 815 લાખ બચત ગ્રાન્ટ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાને સાંકળતા રસ્તાઓ ઉપર સીસી રોડ કામો તાકીદે હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવ્યું છે.
આ બાબતે માહિતી આપતા તેઓએ જણાવેલ કે શહેરમાં કોઈ રોડ રસ્તા કાચા ના રહે તેવા હેતુસર સરકારની ઉપરોક્ત ગ્રાન્ટમાંથી ગોવર્ધનનગર બગીચાથી રેલ્વે લાઈન સુધી અને બાપા સીતારામની મઢુલી સુધી, મઢુલીથી દિપાલી કારખાના સુધી, ગોવર્ધનનગર થી બસસ્ટેન્ડ ચોક સુધી, દીપક પાનથી અંબર સિનેમા સુધી, દીપ થી દશામાતાના મંદિર સુધી, આ મંદિરથી અમરનગર રોડ, તીનબત્તી ચોકથી બગીચા અને બગીચાથી સ્ટેન્ડ ચોક, સ્ટેન્ડ ચોકથી વર્ધમાન બૂક સ્ટોર, આ બુક સ્ટોરથી કૈલાસ ડ્રેસીસ, ત્યાંથી વડલી ચોક, ત્યાંથી ચંદ્ર મોલેશ્વર મહાદેવ, ગૌત્તમ કારખાનાથી ખાખામઢી મંદિર, નવાગઢ રોડથી વર્ધમાન કારખાનું અને ત્યાંથી નેશનલ હાઈવે, જુનાગઢ રોડથી શુભ કિરાણા, ડો.ભૂવાના દવાખાનાથી વલકુભાઈના મકાન સુધી, ત્યાંથી મસ્જીદ, ખોડપરા મેઈન રોડ, બસસ્ટેન્ડથી પાલિકા શોપિંગ સેન્ટર, ત્યાંથી સ્ટેટ બેંક, અફલાતુન ખાણીપીણીની દુકાનથી ચશ્માની દુકાન સુધી, અમરનગર રોડ પર મધુરમ એપાર્ટમેન્ટથી ભીખુભાઈ અને મનુભાઈ વ્યાસના મકાન સુધી, તે જ રોડ પર સૂર્યદીપ મકાનથી શ્રીજી શાળા વાળો રોડ વિગેરે સીસી રોડથી પાકા બનાવાશે.
જ્યારે ગુજરાતી વાડી પુલ અને વોંકળાથી ગૌશાળા, ધોરાજી રોડ પર સ્પોર્ટ્સ કલબથી પરેશ માત્રવાડીયાના મકાન, સાગર મકાનથી પંચમીયા દવાખાનું, કિશાન ચોકથી દેવીકૃપા કિરાણા, સાકરિયા શેરી, ટાંકુંડીપરા મેઈન રોડ પર કેશુભાઈના ઘરથી સાકરીયા મકાન, તેજા કાળા પ્લોટથી ભીખુભાઈના મકાન અને ત્યાંથી કોટડીયા વાડી સુધી, નવાગઢ ચોકડીથી ખોડિયાર ધાર પુલ, કોટેશ્વર મંદિરથી રામજી મંદિર(રામજી મંદિર રોડ), બસસ્ટેન્ડ રોડ એચ એચ ટ્રાન્સપોર્ટથી ડો. વાધવાણી રોડ, મહાદેવ દવાની દુકાનથી સંજીવની દવાખાના રોડ, યુનિયન બેન્કથી હાડકાની હોસ્પિટલ સુધી, બોસમીયા કોલેજની ડાબી બાજુનો કેનાલ રોડ, ખાખા પાવ નામની દુકાનથી અમરનગર રોડ, અક્ષર નિશાળથી અમરનગર રોડ, ધોરાજી રોડ થી કડવા પાટીદાર સમાજ, નવા ફાયર સ્ટેશનથી કેનાલ સુધી, નેશનલ હાઈવેથી સ્ટેટ બેંક નવાગઢ રોડ, જુના રૂપાવટી રોડ પર રીવાઈન્ડીગની દુકાનથી અમરનગર રોડ, ગુજરાતી વાડી વોંકળીથી ગૌશાળા, રાજકોટ રોડ પર દેવમુરારીના મકાનથી નવી લોહાણા વાડી તથા નવાગઢ રામજી મંદિરથી અવેડા સુધીના રોડ રસ્તા સીસીથી મઢાશે.
પાકા રોડ રસ્તા થવાથી જેતપુરવાસીઓને ચોમાસા દરમિયાન કાદવ કીચડની ફરિયાદો નહિ રહે. વાહન ચાલકો પણ રાહત અનુભવશે તેવું પાલિકા પ્રમુખ રમાબેન જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
-----------------------------------------------------------------------
મંગળવાર, 16 જૂન, 2015
લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા
અનેક રાજકીય ભલામણોને ઠુકરાવી વિરપુરના ફોજદાર જોશીએ
લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા
ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા
જેતપુર તા.16
જેતપુર ના વીરપુર પોલીસના ફોજદાર જોશીએ ગઈકાલે એક કડક અમલદારની ફરજ નિભાવી, રાજકીય ભલામણોને ઠેબે ચડાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સહીત પાંચને લુણાગરાં ગામે જુગાર દરોડો પાડી ઝડપી લીધાની વાત ટોક ઓફ ધી તાલુકા એરિયા બની છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે પ્રવીણ રવજી ધંધુકિયા નામનો શખ્શ પોતાના ઘરે આવક માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની વીરપુર પોલીસને બાતમી મળતા, વિરપુરના ફોજદાર જોશીએ કોઈ પણ વિલંબ કર્યા વગર વીરપુરમાં પ્રવીણના મકાન ઉપર જુગાર દરોડો પાડતા, ત્યાં જુગાર રમતા બાબુ પોલા પરમાર, અશોક ટપુ વાઘાણી, ચંદુ રામજી પટેલ, પ્રવીણ રવજી તથા જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ બાંભરોલીયા તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 10300 સાથે પકડાઈ ગયા હતા..
જુગાર દરોડા દરમિયાન ઉપરોકત ભાજપના સનિષ્ઠ આગેવાને પોતાની લાગવગના ટેકાચોકા ભેગા કરવા કહેવાય છે કે અથાગ પ્રયત્નો કર્યા હતા. પણ ફોજદાર જોશીએ તમામ ભલામણોને પ્રાધાન્ય આપવાને બદલે ફરજને નૈતિકતા સમજી કાર્યવાહી કરતા છૂટવા મથતા ઉપરોક્ત આગેવાન સહીત પાંચેય સામે વીરપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
જેતપુરના પાંચપીપળા ગામે ખાંટ પરિવારોમાં મોડી રાત્રીએ ધમાલ
ફૈબાને પત્ની તરીકે રાખનારને ટપારવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો
જેતપુર તા.16
જેતપુર તાલુકના પાંચ પીપળા ગામે ગઈકાલે ફઈબાને પત્ની તરીકે રાખનાર શખ્શને સમજાવવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો કરાયાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા ફોજદાર કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પાંચપીપળા ગામે રેહેતા મેરામ બચું ખાંટ નામના શખ્શે સુરેશ ધીરુ સરવૈયા નામના યુવાનના ફૈબાને વગર લગ્ને પત્ની તરીખે રાખ્યા હોય, ભત્રીજા એવા સુરેશે મેરામને ટપાર્યો હતો કે આ શું ધંધા આચર્યા છે ? શરમ નથી આવતી ? આવી વાતથી ટપારવા ગયેલા સુરેશને મેરામે ખચાખચ બે છરીના ઘા મારી ઘાયલ કરી દીધાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
તો સામા પક્ષે મેરામ બચું ખાંટે પણ પોતાના ઉપર સુરેશ સરવૈયાએ લોખંડના પાઈપ વતી હુમલો કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદોના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
જેતપુરના વાળાડુંગરા ગામે ખોડીયાર માતાજીના
મંદિરમાંથી સોનાના છાત્તરની ચોરી
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી ગઈકાલે રાત્રીના કોઈ નિશાચરો રૂપિયા 23000 નું સોનાનું છત્તર ચોરી કરી લઇ ગયા હતા. આ બાબતે મંદિરનું રખોપું કરતા જગદીશ મનજી રાઠોડની ફરિયાદ પરથી વીરપુર પોલીસના પીએસાઈ જોશીએ વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
જેતપુર વાવડી વચ્ચેના રેલ પાટા ની પીન કાઢીને જેતલસર - ઢસા ટ્રેનને ઉથલાવવા નિષ્ફળ પ્રયાસ
જેતપુર વાવડી વચ્ચેના રેલ પાટા ની પીન કાઢીને
જેતલસર - ઢસા ટ્રેનને ઉથલાવવા નિષ્ફળ પ્રયાસ
ડ્રાઈવર પ્રદીપસિંહ પરમારની સમયસચુક્તાથી મોટો અકસ્માત અટક્યો ! ઉતારુઓના જીવ તાળવે !?
20 મિનીટ ટ્રેન થોભાવીને ડ્રાઇવર-આસી.ડ્રાઇવર અને ગાર્ડે સર્જાનાર અકસ્માતને રોકતા સરાહના !!
જેતલસર (જેતપુર) તા.16 કશ્યપ જોશી
ગઈકાલે રાત્રે જેતપુર વાવડી નજીકથી પસાર થતી જેતલસર ઢસા રૂટની ટ્રેનને ઉથલાવવા કોઈ હરામખોર તત્વોએ આચરેલા પ્રયાસને પારખી ગયેલા એન્જીન ડ્રાઈવરે સમયસચુક્તાના દર્શન કરાવી મોટી ટ્રેન દુર્ઘટના રોકી દેતા ટ્રેનમાંના ઉતારુઓના શ્વાસ હેઠા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના 8-42 વાગ્યે જેતલસર ઢસા રૂટની 52947 નંબરની મીટરગેજ ટ્રેન જેતપુર વાવડી વચ્ચે પહોચી ત્યારે રાબેતા મુજબના ટ્રેનના વ્હીલના પાટા ઉપરના અવાજમાં ફેરફાર જણાતા ડ્રાઇવર પ્રદીપસિંહ પરમારે ગાડી થોભાવી દીધી હતી. દરમિયાન પ્રદીપસિંહ, આસીસ્ટંટ ડ્રાઈવર પ્રકાશ મારું તેમજ ગાર્ડ રાજકિશોર એમ ત્રણેય ટ્રેન નીચે ઉતરી રેલ ટ્રેક (પાટા ) ચેક કરતા કિલોમીટર 119/7 થી 120 સુધીના પાટાની ચાર કી(પીન, ચાવી - બે પાટાની વચ્ચે લગાડેલી હોય ) કોઈ હરામખોર તત્વોએ કાઢી નાખી, રેલવેને નુકશાન પહોચાડવા, ઉપરોક્ત ગાડીને ઉથલાવવા હીન પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
બનાવની જાણ થતા જ આરપીએફના પીઆઈ, સ્ટાફના ફોજદાર જાખડ, , મદદનીશ ફોજદાર મુંડકર, આરપીએફ એલાઈબી વિક્રમભાઈ હુદડ, ભાવેશભાઈ વીરડા, સેક્શન એન્જીનીયર કમાંણી અને સોમાભાઈ વી કાફલો ઘટના સ્થળે દોડી જઈ બનાવનો સુરાગ મેળવવા તપાસ આદરી હતી.
વીશેક મિનીટ જેતપુર સુરવો વચ્ચે થોભેલી આ ટ્રેનમાં કૈક અજુગતું બન્યું હોવાની શંકા સાથે મુસાફરો ટ્રેન નીચે ઉતરી, હેં, શું થયું ? જેવા પ્રશ્નો સાથે જયારે જાણ્યા કે ટ્રેન ઉથલતા બચી ગઈ ત્યારે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. પણ આરપીએફ અને રેલવેના અધિકારીઓ તેમજ સ્ટાફની સમજાવટથી દુર્ઘટના બનતી અટકી હોવાનું ઉતારુઓને કહેવામાં આવતા તમામના શ્વાસ હેઠા બેઠા હતા !
બોક્સ: અજાણ્યા શખ્શ સામે નોંધાયો ગુનો..
જેતપુર : જેતલસર રેલવેના સેક્શન એન્જીનીયર અમૃતલાલ પાંચાણભાઈ કામાણીએ જેતપુર તાલુકા પોલીસમાં રેલ્વે એક્ટ 1989 ની કલમ 150(1)(એ) તેમજ પ્રી ઓફ પબ્લિક પ્રોપર્ટીની કલમ 184 વી કલમો મુજબ ગુનો નોંધાવતા જેતપુર તાલુકા ફોજદાર કરમટીયાની સુચનાથી જમાદાર બાબુભાઈ સોસાએ તપાસ હાથ ધરી છે.
જેતલસર (જેતપુર) કશ્યપ જોશી
સોમવાર, 15 જૂન, 2015
રોજ સવારના બે કલાક ચા-નાસ્તાની સેવાની સર્વત્ર સરાહના !
શ્રી હરિઓમ ભોજનાલય દ્વારા જેતપુરમાં
રોજ સવારના બે કલાક ચા-નાસ્તાની સેવાની સર્વત્ર સરાહના !
જેતપુર તા.15
જેતપુરના ખોડપરા વિસ્તારમાં માત્ર 10 રૂપરડીમાં ભુખ્યાઓની જઠરાગ્ની ઠારતા શ્રી હરીઓમ ભોજનાલય દ્વારા વધુ એક સેવા યજ્ઞ ચાલુ કરાયો છે. જે બાબતે એવી વિગતો મળી રહી છે કે આ સેવારત ભોજનાલય દ્વારા હવે દરરોજ સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન જેતપુરના સરકારી-બિનસરકારી દવાખાનાઓ, ફૂટપાથ તેમજ રસ્તે રજળતા, ગરીબો તેમજ ભિક્ષુકોને ચા અને ગાંઠિયાનો નાસ્તો કરાવાય રહ્યો છે.
આ સેવાની મિશાલ પકડનાર કાળુભાઈ જોશી(લીંબુ મરચાવાળા) ઉર્ફે જોશીબાપા કહે છે કે ખાસ કરીને દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓ સાથેના સગાઓ આખી રાત દવાખાનામાં હેરાન પરેશાન થઇ વહેલી સવારે ચા નાસ્તો શોધવા નીકળતા હોય છે. આ વાત તેઓના ધ્યાનમાં આવતા એકપણ પૈસા વગર આવા લોકોને તેમજ રસ્તે મળતા જરૂરીયાતમંદોને, દવાખાનાઓ પર સવારના 6 થી 8 બે કલાક સુધી ચા-ગાંઠીયાનો નાસ્તો પીરસાઈ રહ્યો છે. રોજ તમે આવી સેવા કેમ કરી શકો ? તેવા સવાલના જવાબમાં જોશીબાપાએ જણાવેલ કે '' હું તો માત્ર નિમિત્ત છું '' પૂરું કરવાવાળો હજાર હાથવાળો બેઠો છે !!'' પ્રસ્તુત તસવીરોમાં પોતાનો ધંધો-રોજગાર છોડીને બસ એક માત્ર સેવાનો ભેખ ધારી પોતાની મારુતિવાન સાથે અને સેવા પીરસતા જોશીબાપા દેખાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
ગુરુવાર, 11 જૂન, 2015
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે દોઢ ઇંચ વરસાદથી ગામના નવા વણકરવાસમાં પાણી ઘુસ્યા
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે
દોઢ ઇંચ વરસાદથી ગામના નવા વણકરવાસમાં પાણી ઘુસ્યા
સરપંચે વરસતા વરસાદમાં પાણીનો નિકાલ કરાવતા દલિત પરિવારજનો ખુશખુશાલ
જેતપુર તા.11
આજે જેતપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાએ ધીમી-વધતી ધારે પાણીરૂપ હેત વરસાવતા પ્રજા ખુશીના માર્યા જુમી ઉઠી છે. બીજી બાજુ જેતપુરના થાણાગાલોલ ગામે આજે દોઢ ઇંચ વરસેલા વરસેલા વરસાદથી નવા વણકરવાસમાં પાણી ઘુસ્યાની ફરિયાદો મળી હતી.
આ બાબતે માહિતી આપતા થાણાગાલોલના દલિત આગેવાન પરશોત્તમભાઈ ચૌહાણે જણાવેલ કે, આજના ગામમાં પડેલા દોઢ ઇંચ વરસાદથી સ્ટેશન રોડ પર આવેલા નવા વણકર વાસમાં વરસાદી પાણી ઘુસી જતા લોકો ભયાવહ સ્થિતિમાં મુકાયા હતા. પણ આ વાતની જાગૃત સરપંચ પીન્ટુભાઈ ઉંધાડને જાણ કરતાજ તેઓ તાત્કાલિક નવા વણકરવાસ ખાતે દોડી જઈ, તાલુકા પોલીસના બીટ જમાદારો બાબુભાઈ સોસા, વિરમભાઇ વિગેરેની હાજરીમાં જેસીબી દ્વારા પાણીનો ગામ નજીકની નદીમાં નિકાલ કરાવતા વણકર પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરમાં ધડાકા સાથે સળગ્યું વીજ કંપનીનું સબસ્ટેશન
જેતપુરમાં ધડાકા સાથે સળગ્યું
વીજ કંપનીનું સબસ્ટેશન
જેતપુર તા.11
જેતપુરના કણકિયા પ્લોટમાં ડોક્ટર કોટડીયાના દવાખાના સામે આવેલ વીજ કંપનીના એક ટીસી (સબસ્ટેશન)માં ધડાકા સાથે આગ ફાટતા આસપાસના લોકો અને નાગરિક બેંક વાળા રોડ પર આવ-જા કરતા રાહદારીઓમાં ભય ફેલાયો હતો. જો કે પછી કોઈએ વીજ તંત્રને જાણ કરતા સંબંધિત સુત્રો મારતે ઘોડે બનાવ સ્થળે દોડી આવી, આગ બુજાવી મામલો થાળે પાડતા આજુબાજુના મેડીકલ, ચા પાણીની દુકાનદારો બેન્ક્સુત્રો વિગેરેમાં રાહતની લાગણી ફેલાઈ હતી. જાણકારોએ કહ્યું કે તંત્રએ આવવામાં વાર લગાડી હોત તો શોકસર્કીટ જેવો બનાવ સર્જાત અને આજુબાજુના તમામ વીજ કનેક્શનધારકોને પોત પોતાના વીજ ઉપકરણોમાં નુકશાની સહવી પડત.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
જેતપુરમાં ઝાંપટા, સાંકળીમાં સાંબેલાધાર, જેતલસરમાં જોરદાર,ડેડરવામાં દે..ધનાધન
જેતપુરમાં ઝાંપટા, સાંકળીમાં સાંબેલાધાર,
જેતલસરમાં જોરદાર,ડેડરવામાં દે..ધનાધન
જેતપુર તા.11
જેતપુર શહેરમાં આજે બપોરે સખત ઉકળાટ બાદ સાંજ સુધી હળવા ઝાંપટા સ્વરૂપે વરસેલા મેઘરાજાએ પ્રજાને રીતસરની લલચાવી હતી. તાલુકાના નવી-જૂની સાંકળી ગામે ખેડૂત આગેવાન મુકેશ લશ્કરીના કહેવા મુજબ આજે સાંકળીમાં સાંબેલાધાર વરસેલા વરસાદથી માત્ર અડધો કલાકમાં દોઢ ઈચ પાણી પડી ગયાનું અનુમાન લગાવાયું હતું. જેતલસરમાં ધીમી પગરવે આવેલા મેઘરાજાએ 2 કલાકમાં જોરદાર 1 ઇંચ પાણી વરસાવતા ખેડૂતોમાં થોડો રાજીપો જોવા મળ્યો હતો. ડેડરવામાં કિશન બોરીસાણીયા નામના યુવાનના કહેવા મુજબ દે ધનાધન વરસેલા વરસાદથી અડધો થી પોણો ઇંચ પાણી પડ્યું હોવાનું ગામમાં ચર્ચાતું હતું.
જેતલસરમાં કુલદીપ જોશીના કહેવા મુજબ બપોરે જોરદાર વરસેલા વરસાદથી 1 ઇંચ પાણી પડ્યાનું ગામલોકોએ જણાવેલ. જેતલસરમાં આજે સારા વરસાદી રેડાએ ગામના અંડરબ્રીજ પાસે મીની તળાવ જેવું વાતાવરણ ખડું કરી દેતા હવે અહીંથી પસાર થતા રાહદારીઓને તકલીફ વેંઠવી પડશે તેવી બુમરાણ સંભાળવા મળી હતી. ડેડરવા તેમજ સાંકળી ગામની ફૂલઝર નદીમાં નવા પાણીની આવક થતા ગામલોકો નદી કાંઠે દોડી ગયા હતા.
કશ્યપ જે.જોશી જેતપુર 9974262812
જેતપુર શહેરના વિવિધ વર્તમાન - કશ્યપ જોશી જેતપુર
જેતપુરમાં શ્રી પરશુરામ સેના દ્વારા
પાઠ્યપુસ્તક વિતરણ-છાત્ર સત્કાર સમારોહ યોજાશે
જેતપુર તા.11
શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા રવિવારને તા.14.6 ના રોજ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વસતા બ્રહ્મ પરિવારના તેજસ્વી છાત્રોને સત્કારવાના અને પાઠ્યપુસ્તક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે છાત્રોએ હિતેશભાઈ શાંતિલાલ જોશી દ્વારા શિલ્ડ એનાયત કરાશે.
સવારે 9 કલાકે નવાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર બંને કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખ હિતેશ જોશી અને મંત્રી અશોક ઠાકર સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી
રાજકોટના યુવાનને કાર સમેત વિલાયતી શરાબની
191 બોટલ્સ સાથે ઝડપી લેતી રૂરલ ક્રાઈમ બ્રાંચ
પોલીસે કાર સાથે કુલ રૂપિયા 5.58 લાખનો મુદ્દામાલ કબજે લઇ હાથ ધરી કાર્યવાહી
જેતપુર તા.11
આજે સવારે ચોક્કસ બાતમીના આધારે એલસીબી રાજકોટના સ્ટાફે જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી રાજકોટના એક સોની યુવાનને તેમની કારમાં વિલાયતી શરાબની 191 બોટલ્સ સાથે પકડી પાડી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રૂરલ એલસીબીના ફોજદાર ઉનડકટને બાતમી મળી હતી કે જીજે 11 એસ 5347 નંબરની કારમાં વિદેશી શરાબ રાજકોટ તરફ લઇ જવાઈ રહ્યો છે.
આવી બાતમી બાદ ફોજદારે સ્ટાફના જમાદારો કાળુભાઈ, ભુરાભાઈ, પોકો નરેન્દ્રસિંહ રાણા, અબ્બાસભાઈ ભારમલ તેમજ જયેન્દ્રસિંહ વાઘેલા વી.ને સાથે રાખી પીઠડીયા ટોલનાકા પાસે બાઝ નઝર ટેકવતા ઉક્ત કાર પુરઝડપે ત્યાંથી પસાર થવા નીકળતા, પોલીસ કાફલાએ રોકી તલાશી લેતા તેમાંથી રૂપિયા 57,300 ની કિમતની 191 બોટલ્સ વિલાયતી શરાબ મળી આવ્યો હતો.
આવા સમયે પોલીસની લાલ આંખ વચ્ચે કાર ચાલકે પોતે રાજકોટનો રહીશ મહાજન ભાસ્કર ઉર્ફે ભકો નરેશભાઈ સોની હોવાનું જણાવતા પોલીસે ભકાને શરાબ અને કાર (કુલ રૂપિયા 5.58 લાખના મુદ્દામાલ) સાથે અટકમાં લઇ, શરાબ ક્યાંથી લાવ્યો અને ક્યાં પહોચાડવાનો હતો વી વાતોનો સુરાગ મેળવવા, રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જેતપુરમાં વધુ એક અજાણી લાશની અંત્યેષ્ટિ કરતા
એકતા યુવા સોશિયલ ગ્રુપના સેવાભાવીઓ
જેતપુર તા.11
જેતપુરમાં કાર્યરત એકતા યુવા સોશિયલ ગ્રુપના સેવાભાવી યુવાનોએ આજે વધુ એક અજાણ્યા ભિક્ષુકની અંત્યેષ્ટિ કરી અવ્વલ મંઝીલે પહોચાડી હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે એક અજાણ્યા હિંદુ જનતા એક ભિક્ષુકની તબિયત બગડતા કોઈ સેવાભાવીઓ સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પીટલે લાવ્યા હતા. પણ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આ ભિક્ષુકનું મોત થયાની ફરજ પરના હોસ્પિટલસુત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હોસ્પીટલે દોડી જઈ જરૂરી પીએમ વિધિ કરાવી આ ભિક્ષુકના પરિવારજનોને શોધવા મહેનત કરી હતી. પણ કોઈ વાલીવારસ નહિ મળતા અંતે પોલીસે અજાણ્યા યાચકની લાશ અંતિમવિધિ માટે શહેરના જાણીતા સેવાભાવી મંડળ એકતા યુવા સોશિયલ ગ્રુપના આગેવાનોને જાણ કરતા હારુન રફાઈ, મુકેશ સાંતલપરા, જગદીશ ગેરિયા, વિગેરે સેવાભાવીઓએ હોસ્પીટલે દોડી જઈ, લાશનો કબજો મેળવી, આજે હિંદુ શાસ્ત્રોક વિધિથી અજાણ્યા ભિક્ષુકની અંતિમયાત્રા કાઢી, અંત્યેષ્ટિ હાથ ધરી અવ્વલ મંજિલે પહોચાડતા આ વાતના જાણકારોમાં ઉપરોક્ત સેવા મંડળની સરાહના થઇ રહી છે.
જેતપુર નવાગઢ નગર પાલિકામાં મળેલી સામાન્ય
સભામાં અનેક વિકાસના કામોને અપાયેલી બહાલી
જેતપુર તા.11
ગઈકાલે જેતપુર જેતપુર નવાગઢ નગરપાલીકાની મળેલી સામાન્ય સભાની બેઠક દરમિયાન અનેક વિકાસના કામોને બહાલી અપાઈ હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવ્યું છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર નગર પાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય બેઠક દરમિયાન ગઈ મીટીંગની મીનીટસનું વાંચન તેમજ પાલિકાની જુદી જુદી કમિટીઓના ઠરાવો વંચાણે લઇ, બહાલી અપાઈ હતી.
જેમાં હેડ ક્લાર્કના તા.15.10.14 ના રીપોર્ટ અન્વયે પાલિકા દ્વારા પેનલ વકીલ રોકવા, પવડીના રીપોર્ટ અન્વયે પાલિકાના નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે જીમ, ઇનડોર ગેમ, રીડીંગ રૂમ, લોકર રૂમ બનાવવાના રૂ.5 લાખનો ખર્ચ મંજુર કરવા, સેનિટેશનના રીપોર્ટ અન્વયે સંજય શામજી વાઘેલાને બ્લેક લીસ્ટમાં મુકવા, વોટરવર્કસ શાખાના રીપોર્ટ અન્વયે ઝોન વાઈજ પાણી વિતરણ માટે વાલ્વમેન રાખવા, પવડીના રીપોર્ટ અન્વયે નાગરિક બેંક સામેના બગીચામાં રૂ.7.61.198/- ના ખર્ચી પાથવે બનાવવા અંગે, વાહન શાખાના રીપોર્ટ અન્વયે ટ્રેક્ટરની ખરાબ થયેલી 2 બેટરીના ખર્ચ અંગે, વોટરવર્કસ શાખાના રીપોર્ટ અન્વયે લોકફાળાથી બનાવાયેલ બોર ઉપર 2 હેન્ડ પંપ મુકવાના ખર્ચ મંજુર કરવા, હેડ ક્લાર્કના રીપોર્ટ અન્વયે પાલિકાના નિવૃત કર્મચારીઓ એમ.ડી.મહેતા, યુ.જી.મકવાણા અને બી.એન.ઉસદડીયા દ્વારા પગાર ગ્રેડ સુધારવા બાબતે બનેલ કોર્ટ મેટરને સુલટાવી, કોર્ટના ચુકાદાને ફાઈનલ ગણી તાત્કાલિક નિવેડો લાવવા, તેમજ ઇલેક્ટ્રિક શાખાના રીપોર્ટ અન્વયે શહેરમાં એલઈડી લાઈટ ફીટીંગ માટે સરકારની બચત ગ્રાન્ટ અથવા સ્વભંડોળમાંથી રૂ.10 લાખનું ખર્ચ મંજુર કરવા વી. બાબતો બહાલી અર્થે રજુ થતા તમામ બાબતોને બહાલી આપવાની કાયદેસરની વિધિ હાથ ધરાઈ હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે.
તમામ તસ્વીરો અને સમાચારો : કશ્યપ જે.જોશી જેતપુર 9974262812
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















































