જીવદયાની વાતો કરનારા જિનશાસનનો માંહ્યલો હજુ સુધી કેમ જાગ્યો નથી?
અમદાવાદ, આજે જ્યારે ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિ અને જળપ્રલયને કારણે મહાઆફત આવી છે અને સર્જાયેલી તારાજી અને તબાહી બાદ કચરોપૂંજો વીણવાવાળાં ગરીબ બાળકોથી લઈને અનેક સંસ્થાઓ તરફથી દાનની સરવાણી ચાલુ થઈ છે ત્યારે વિશ્વનાં સૌથી ધનાઢ્ય મંદિરોમાં જેની ગણના થાય છે અને જેમની પાસે લાખો-કરોડો નહીં, પણ અબજો રૃપિયા છે એવા ભારતનાં મહામાલેતુજાર મંદિરો ઉત્તરાખંડની વહારે કેમ આગળ આવતાં નથી? જે માલેતુજાર મંદિરોના સંચાલકો અને પંડા-પૂજારીઓ અને સંતો-મહંતો અબજો રૃપિયામાં આળોટી રહ્યા છે એવા આ અતિ સમૃદ્ધ મંદિરો જો ઉત્તરાખંડ જેવા મહાસંકટ ટાણે મદદ કરવા આગળ નહીં આવે તો શું તેમની અબજો રૃપિયાની સંપત્તિ ધોઈ પીવાની? એક પણ મંદિર માનવતા કાજે પણ આગળ આવ્યું નથી. પછી તે તિરુમાલા તિરુપતિ મંદિર હોય કે સોમનાથ મંદિર હોય કે પછી વૈષ્ણોદેવી મંદિર હોય. માલેતુજાર મંદિરોના સંચાલકો મૂક પ્રેક્ષક બનીને ઉત્તરાખંડની કરુણાંતિકા સામે આંખ આડા કાન કરીને કેમ બેસી રહ્યા છે? આવા અનેક પ્રશ્નો હર કોઈના દિલોદિમાગમાં ઉદ્ભવી રહ્યા છે.
જ્યારે કચરોપૂંજો વીણવાવાળા અતિ દરીદ્ર બાળકોનાં દિલ જો ઉત્તરાખંડની તારાજી જોઈને હચમચી જતાં હોય તો આ માલેતુજાર મંદિરોના સંચાલકો અને મહંતોનું હૃદય કેમ દ્રવી ઊઠતું નથી? તેઓ તેમનાં માલેતુજાર મંદિરોના દરીદ્ર ભગવાનની મૂર્તિની જેમ પથ્થરદિલ બની કેમ બેઠા છે? તેમની અબજો રૃપિયાની સંપત્તિ ક્યારે કામ આવશે?
મંદિરોએ તો સામે ચાલીને સહાયની સરવાણી નહીં, પણ ધોધ વહેવડાવવા સૌથી પહેલાં પહેલ કરીને આગળ વધવું જોઈતું હતું. અત્રે એ કહેવાની જરૃર નથી કે મંદિરોમાં બિરાજમાન ભગવાન કદાચ દરીદ્ર હશે, મંદિરોના ભક્તજનો કદાચ નિર્ધન હશે, પરંતુ મંદિરો માલેતુજાર છે. આ મંદિરો હદ બહારના ધનાઢ્ય હોવાથી વિશ્વનાં સૌથી સમૃદ્ધ અને સંપત્તિવાન મંદિરોમાં તેમની ગણના થાય છે. વિશ્વનાં શિરમોર સર્વોચ્ચ ટોપ ટેન ધનાઢ્ય મંદિરોમાં (૧) પદ્મનાભસ્વામી મંદિર, (૨) વૈષ્ણોદેવી મંદિર, (૩) સોમનાથ મંદિર, (૪) તિરુમાલા તિરુપતિ બાલાજી, (૫) ગુરુવયુરપમ મંદિર - વેંકટેશ્વર મંદિર, (૭) કાશી વિશ્વનાથ મંદિર, (૮) શિરડી સાંઈબાબા મંદિર, (૯) પુરી જગન્નાથ મંદિર અને (૧૦) સિદ્ધિ વિનાયક મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોની અઢળક દોલત અને સંપત્તિ પર એક નજર કરશો તો આંખો ફાટી જશે.
----------------------------------------------------------------------
ભગવાન જગન્નાથના મોસાળાનો લખલૂટ ખર્ચ ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોને કેમ નહીં?
અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નીકળવાની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આગામી ૧૦ જુલાઈએ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને સરસપુર ખાતે ભગવાનનું મોસાળું હોઈ ત્યાં ભગવાનના મોસાળાનો લખલૂટ ખર્ચ કરાશે. જોકે આ લખલૂટ ખર્ચ ખરેખર તો આ વર્ષે મુલતવી રાખીને એટલી રકમ ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોનાં આંસુ લૂછવા માટે આપવી જોઈએ. જે ગુજરાતી યાત્રાળુઓએ ચાર ધામની યાત્રામાં યાતના ભોગવી છે તેમના દર્દને દૂર કરવા માટે મોસાળાની લખલૂટ રકમનો ઉપયોગ કરવાનું કેમ સૂઝતું નથી?
કર્મયોગ છોડી માત્ર ભક્તિયોગમાં રાચતા મંદિરના સંચાલકો સામે ભક્તોનો ફિટકાર
આપણા હિન્દુઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અતિ પવિત્ર ગ્રંથ ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં ઈશ્વર પ્રાપ્તિના ત્રણ યોગનો સુમેળ બતાવ્યો છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. એકલી ભક્તિથી કંઈ મળતું નથી. તરસ્યાને પાણી પીવડાવવું જોઈએ તે જ્ઞાનયોગ છે અને તરસ્યા સુધી પાણી પહોંચાડવું એ કર્મયોગ છે. હાલના મંદિરના સંચાલકો પાસે ભક્તિનો દેખાડો જ છે, પરંતુ જ્ઞાનયોગ અને કર્મયોગ છે નહીં. ભક્તોમાં કર્મયોગ છોડીને ભક્તિયોગના ભપકામાં રાચતા મંદિરના સંચાલકો સામે ભક્તોમાં તીવ્ર ફિટકારની લાગણી ફેલાઈ છે. ખરા સમયે જો ભગવાન દુઃખીઓના વહારે નહીં ચડે તો ભક્તિનો પણ શો અર્થ રહે છે? ભગવાનને બાનમાં લેનારા મંદિરના સંચાલકો ક્યારે સમજશે?
સોમનાથ મંદિરઃ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલંુ સોમનાથ મંદિર પણ ટોપ ટેન ધનાઢય મંદિરોમાં સ્થાન ધરાવે છે. દરરોજ હજારો ભક્તો સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવે છે. સોમનાથ મંદિરની વાર્ષિક આવક આશરે ૧૫ કરોડ હોવાનું મનાય છે.
અંબાજી મંદિરની આવક રૃ. ૫૦ કરોડથી વધુ
જીવદયાની મોટી મોટી વાતો કરનારા જિન શાસનની સંસ્થાઓ દ્વારા ઉત્તરાખંડની કુદરતી આપત્તિમાં ફસાયેલા લોકોની રાહત બચાવની કામગીરી માટે હજુ સુધી મદદનો હાથ લંબાવાયો નથી. આ ઉપરાંત ગુજરાતનાં મહત્ત્વનાં મંદિરોની વાર્ષિક આવક કરોડોની હોવા છતાં મદદ માટે હજુ સુધી પહેલ થઇ નથી. ગુજરાતના અંબાજી ખાતે આવેલ ૫૧ શક્તિપીઠો પૈકીના એક એવા આરાસુરી અંબાજી શક્તિપીઠના મંદિરની વાર્ષિક આવક અંદાજે રૃ. ૫૦ કરોડથી વધુ છે, જ્યારે સોમનાથ મંદિરની આવક રૃ. દશ કરોડથી વધુ થવા જાય છે.
ગુરુવયુરપ્પમ મંદિરઃ ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર ગુરાવપુર, (કેરળ)માં આવેલંુ છે, જે પણ તેની અઢળક સંપત્તિને કારણે ટોપટેન ધનાઢય મંદિરોમાં સ્થાન પામ્યું છે.
ગુરુવયુર મંદિર વાર્ષિક આવક રૃ.ર.પ કરોડ
કેરળના ત્રિસુર જિલ્લા સ્થિત ગુરુવયુર શ્રી કૃષ્ણ મંદિરની વાર્ષિક આવક રૃ.ર.પ કરોડ છે. આ મંદિર પાસે રૃ.૧રપ કરોડની ફિકસ્ડ ડિપોઝિટ છે. હાલ મંદિર પાસે ર૩૦ એકર જેટલી જમીન છે. દરરોજ રૃ.રપ,૦૦૦થી વધુ ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર પાસે કુલ રૃ.૪૦૦ કરોડનું ભંડોળ છે. તાજેતરના એક અહેવાલ અનુસાર મંદિરને હૂંડી દ્વારા એક જ મહિનામાં રૃ.ર.પ કરોડની વિક્રમી આવક થઈ હતી.
પદ્મનામભ સ્વામી મંદિરઃ અનંત પદ્મનાભ સ્વામી મંદિર તિરુવનંતપુરમ્ કેરળમાં આવેલું છે. તાજેતરમાં આ મંદિરમાંથી એક લાખ કરોડનો ખજાનો જપ્ત કરાયો હતો. વિશ્વનાં ટોપ ટેન માલેતુજાર મંદિરમાં આ મંદિર ટોચના શિખર પર બિરાજે છે. તિરુવંતપુરમ્ (કેરળ) સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિર રૃ. ૧ લાખ કરોડનો જંગી ખજાનો ધરાવે છે. જેમાં સોનાના દાગીના, હીરા, કીમતી રત્નો, સોનાનો તાજ, સોનાનાં વાસણો અને અન્ય ઝવેરાતનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની સમયગાળાના ૧૭ કિ.ગ્રા. સોનાના સિક્કા, ૧ ટન સોનાનાં ઘરેણાં, ૧૮ ફૂટ લાંબો ૨.૫ કિ.ગ્રા.નો સોનાનો નેકલેસ, સોનાના તાર, હીરા ભરેલો કોથળો, હીરા-નિલમજડિત કલાત્મક ઝવેરાત અને સોનાનાં વાસણો સહિતનો કીમતી ખજાનો આ મંદિરમાંથી હાથ લાગ્યો હતો.
મીનાક્ષી મંદિરઃ આ મંદિર તેનાં બેનમૂન સ્થાપત્ય અને બાંધણી માટે જગવિખ્યાત છે. તે મદુરાઈમાં આવેલું છે અને ભારતના સૌથી માલેતુજાર મંદિરોમાં ગણના થાય છે.
આ ઉપરાંત ભારતમાં એવાં અસંખ્ય મંદિરો છે, જેમની સંપત્તિ લાખો કરોડોમાં છે, પરંતુ આજે જ્યારે ઉત્તરાખંડ જેવી મહાહોનારતમાં અઢળક નાણાં અને સહાયની જરૃર છે ત્યારે આ મંદિરો અને તેમના કર્તાહર્તાઓ કોઈપણ જાતની સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કર્યા વગર બેસી રહ્યા છે ત્યારે લાનત છે તેમની અઢળક સંપત્તિને.
આજે જ્યારે ઉત્તરાખંડ મદદ માટે પોકાર કરી રહ્યું છે ત્યારે મંદિરો અને તેના સંચાલકો બહેરા કાન કરીને બેસી ગયા છે એ ખરેખર શરમજનક છે.
તિરુમાલા તિરુપતિ બાલાજી વેંકટેશ્વર મંદિર ઃ પદ્મનામ સ્વામી પછી રૃ. ૫૦,૦૦૦ કરોડની સંપત્તિ સાથે તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિર ધનાઢ્ય મંદિરોની યાદીમાં બીજા ક્રમે છે. અહીં દરરોજ ૫૦,૦૦૦ ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે. તિરુપતિમાં ભગવાન ૧,૦૦૦ કિલો સોનાથી મઢેલા છે. તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર ભગવાનનું મંદિર વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિરોમાં અવ્વલ નંબરનું સ્થાન ધરાવે છે. રોજ પ૦,૦૦૦થી વધુ ભક્તો ભગવાન વેંકટેશ્વર સામે શીશ નમાવે છે. ભગવાન વેંકટેશ્વર પણ ૧,૦૦૦ કિલોના સોનાથી મઢેલા છે.
વૈષ્ણોદેવી મંદિરઃ જમ્મુ અને કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરને પણ અઢળક આવક છે અને દેશભરમાંથી લાખોની સંખ્યામાં તેના ભક્તો અને અનુયાયીઓ છે. ટોપ ટેન ધનાઢ્ય મંદિરોની યાદીમાં વૈષ્ણોદેવી મંદિર સાતમા ક્રમે છે.
વૈષ્ણોદેવી મંદિર વાર્ષિક આવક રૃ.પ૦૦ કરોડ: જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરની દૈનિક આવક રૃ.૪૦ કરોડ છે. જ્યારે વાર્ષિક આવક રૃ.પ૦૦ કરોડ છે. જ્યાં સૌથી વધુ સંખ્યામાં દરરોજ દર્શનાર્થીઓનો ધસારો રહે છે એવું આ ભારતનું બીજા નંબરનું મંદિર છે.
૭પ૦ કિલો સોનાથી મઢેલો સુવર્ણ મંદિરનો ઘુમ્મટ ઃ અમૃતસર સ્થિત શીખોના ધાર્મિક સ્થળ સુવર્ણમંદિર તેના નામ અનુસાર સોનાથી મઢેલું છે. મંદિરનો ઘુમ્મટ ૭પ૦ કિલો સોનાથી મઢેલો છે. દરરોજ ૩,પ૦,૦૦૦થી ૪,૦૦,૦૦૦ લોકો સુવર્ણ મંદિરની મુલાકાત લે છે. જ્યારે અમાસ, સંક્રાંતિ, દિવાળી, વૈશાખી, ગુરુપર્વ જેવા તહેવારોમાં ૧૦થી ૧પ લાખ લોકો સુવર્ણ મંદિરની મુલાકાત લે છે. દરરોજ ૮૦,૦૦૦થી વધુ લોકો પ્રસાદરૃપે ભોજન લે છે.
અક્ષરધામ મંદિરઃ ૧૦૦ એકરમાં પથરાયેલું સંકુલઃ દિલ્હીમાં રૃ.ર૦૦ કરોડના ખર્ચે અક્ષરધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી વિશાળ સર્વગ્રાહી હિંદુ મંદિર તરીકે તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું છે. આ મંદિર સંકુલ ૧૦૦ એકર જમીનમાં પથરાયેલું છે. દર સપ્તાહે ૭૦થી ૮૦ હજાર દર્શનાર્થીઓ તેની મુલાકાત લે છે.
પુરી જગન્નાથ મંદિરઃ ઓરિસ્સામાં પુરી સ્થિત આ મંદિરમાં ભક્તો રોકડ અને કીમતી ચીજવસ્તુ સ્વરૃપે અઢળક દાન આપે છે.
શિરડી સાંઈબાબા મંદિર ઃ મહારાષ્ટ્ર સ્થિત શિરડી સાંઈબાબા મંદિર વિશ્વનાં ટોચનાં માલેતુજાર મંદિરોની યાદીમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ ભવ્ય મંદિરની સંપત્તિ પણ કરોડોમાં બોલે છે.
સિદ્ધિ વિનાયક મંદિર ઃ મુંબઈમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર પણ ટોપ ટેન ધનાઢ્ય મંદિરોની યાદીમાં સ્થાન ધરાવે છે અને સેંકડો કરોડો રૃપિયાની તેની સંપત્તિ છે.
સિદ્ધિ વિનાયક મંદિર રૃ.૧રપ કરોડની એફડીઃ મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરની વાર્ષિક આવક રૃ.૪૬ કરોડ છે. જ્યારે રૃ.૧રપ કરોડની ફિકસ્ડ ડિપોઝિટ પણ ધરાવે છે. મંદિરના ગર્ભગૃહનું અંદરનું છત્ર સોનાથી મઢેલું છે.
----------------------------------------------------------------------
રાજ્યનાં ધનિક મંદિરો રાહત સહાય આપવા ઊણાં ઊતર્યાં
ગાંધીનગરઃ ઉત્તરાખંડમાં આવેલી જલ પ્રલય જેવી કુદરતી આપદામાં અનેકનાં મૃત્યુ થયાં છે. હજારો લાપત્તા બન્યા છે અને એટલી જ સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. આ સંજોગોમાં વિવિધ રાજ્યોમાંથી રાહત બચાવની કામગીરી માટે આર્થિક સહાય તેમજ રાહત કિટો મોકલવામાં આવી રહી છે, જેના ભાગરૃપે ગુજરાત સરકાર દ્વારા રૃ. પાંચ કરોડ જેવી રકમની સહાય પૂરી પાડવામાં આવી છે એટલું જ નહીં, ગુજરાતની વિવિધ કોર્પોરેટ કંપનીઓ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના ધનિક ગણાતાં મંદિરો હજુ સુધી આ કુદરતી આપદામાં રાહત સહાય માટે આગળ આવ્યાં નથી. જેના લીધે વર્ષે દહાડે કરોડોની આવક ધરાવતાં મંદિરો દ્વારા રાહત સહાય માટે એક રૃપિયાની રાહત સહાય જાહેર કરવામાં ન આવતાં ઉદારતા માટે લોકપ્રિય એવા ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી રહી છે.
ગુજરાતના પ્રતિષ્ઠિત અને સુપ્રસિદ્ધ મંદિરો અને દેવાલયો દર વર્ષે કરોડો રૃપિયાની આવક ધરાવે છે જેમાં સૌપ્રથમ ક્રમે દેશના ૧ર જ્યોર્તિલિંગ પૈકીનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર છે. સોમનાથ મંદિર આવકની દૃષ્ટિએ ગુજરાતનું કે દેશનું જ નહીં, પરંતુ વિશ્વના સૌથી ધનિક ૧૦ મંદિરો પૈકીનું એક છે.
ત્યાર બાદ દેશમાં આવેલી પર (બાવન) શક્તિપીઠ પૈકીનું એક અંબાજી ખાતે આવેલું આદ્યશક્તિ આરાસુરી અંબાજી માતાના મંદિરનો ક્રમ આવે છે. આ મંદિર પણ ગુજરાતનાં ધનિક મંદિરો પૈકીનું એક છે.
દ્વારકા ખાતે આવેલ ભગવાન દ્વારિકાધીશના જગત મંદિરની પણ રાજ્યના ધનિક મંદિરોમાં ગણના થાય છે. તે ઉપરાંત ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનું મંદિર, અમદાવાદના ભદ્ર ખાતેનું ભદ્રકાળી માતાનું મંદિર, ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ મંદિર, અમદાવાદના શાહીબાગ ખાતે આવેલું અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર (બરવાળા-બોટાદ નજીક)નું સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર અને સ્વામિનારાયણ મંદિર, રાજકોટ નજીક આવેલા વીરપુર ખાતેનું જલારામ મંદિર, મહુડી ખાતે આવેલું ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર, ગોંડલ સ્થિત ભુવનેશ્વરી શક્તિપીઠનું ભુવનેશ્વરી માતાજીનું મંદિરની પણ ગણના રાજ્યનાં ધનિક મંદિરોમાં થાય છે.
આ ઉપરાંત પાલિતાણા ખાતે શત્રુંજ્ય ગિરિરાજ પર આવેલાં જૈનમંદિર, જૂનાગઢનાં ગિરનાર પર્વત આવેલ જૈન મંદિર તેમજ શંખેશ્વર કુંભારિયા અને તારંગા સ્થિત જૈન મંદિરો, ગઢડા અને ગોંડલ સ્થિત પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર પણ રાજ્યનાં ધનિક મંદિરો પૈકીનાં છે. અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનનું મંદિર પણ ધનિક મંદિરો પૈકીનું એક છે. પરંતુ હજુ સુધી આ મંદિરો પૈકીનાં એક મંદિર દ્વારા ઉત્તરાખંડની કુદરતી આપદા કે જે દેશની સૌથી વિનાશક ઘટનાઓ પૈકીની એક છે તેમાં રાહત બચાવની કામગીરી પેટે કોઈ પણ જાતની મદદની જાહેરાત કરવામાં આવી નથી.
----------------------------------------------------------------------
યુકો બેન્કની બિલ્ડિંગ નકશામાંથી ગુમ થશે
મા ભદ્રકાળી મંદિરથી છેક ત્રણ દરવાજાને અમદાવાદીઓ નિહાળી શકશે
અમદાવાદઃ ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા તંત્રના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટને ઝડપભેર સાકાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ પ્રોજેક્ટમાં નડતરરૃપ યુકો બેન્કની બિલ્ડિંગ હવે નકશામાંથી ગુમ થઈ જવાની છે.
પ્રથમ તબક્કાના ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે રૃ. ૩ર.૮ર કરોડનું કામ મંજૂર કરાયું છે, જેમાં કોન્ટ્રાક્ટર એમ.એસ. ખુરાના ધીમી ગતિથી પ્રોજેક્ટને આગળ ધપાવી રહ્યા હોઇ આ બાબત ભારે ટીકાપાત્ર બની છે. હાલમાં ભદ્રકાળી મંદિરથી યુકો બેન્કનો વિસ્તાર કોર્ડન કરી કામગીરી કરાવવામાં આવે છે, જેનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે છે.
જોકે ત્યાં ગ્રાઉન્ડ પેનિફેટિંગ રડાર (જીપીઆર) સિસ્ટમથી સર્વે કરાવ્યો ન હોવાથી અંડરગ્રાઉન્ડ સર્વિસના નડતરને દૂર કરવા તંત્રે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં જીપીઆર સિસ્ટમથી યુકો બેન્કથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારમાં સર્વે હાથ ધરવા રૃ. પ.૭૩ લાખના ટેન્ડરને મંજૂર કર્યું હતું.
હવે આવતી કાલે સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં તંત્ર દ્વારા યુકો બેન્કના બિલ્ડિંગના ઓન પ્રોજેક્ટ નડતરને દૂર કરવાની દરખાસ્ત મુકાઈ છે. ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટના પ્રોજેક્ટને આગળ ધપાવવા બેન્કના બિલ્ડિંગને જમીનદોસ્ત કરી તે જગ્યાને રોડ લેવલે સમથળ કરવાની જરૃર છે.
મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર આનંદ પટેલ 'મેટ્રો' સાથેની વાતચીતમાં કહે છે, "આગામી ત્રણ-ચાર દિવસમાં યુકો બેન્કના બિલ્ડિંગનું પઝેશન કોર્પોરેશનને મળી જશે. સ્ટેન્ડિંગમાં યુકો બેન્ક બિલ્ડિંગનાં બારી-બારણાં, લોખંડ, ઇંટો, ફલોરિંગ તથા ડેબ્રિઝ વગેરે લઇ જઇને તે જગ્યાએ રોડ લેવલ સમથળ કરાશે. આ કામ પેટે કોન્ટ્રાક્ટર તંત્રને રૃ. ૬ લાખ ચૂકવશે અને વર્કઓર્ડર મળ્યા બાદ ર૧ દિવસમાં કામને પૂર્ણ કરશે.
મહિલા પોલીસ સ્ટેશનને પણ દૂર કરવું જરૃરી છે
યુકો બેન્કની બિલ્ડિંગ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ પણ ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ માટે હટાવવી જરૃરી છે. આનંદ પટેલ કહે છે, "પોલીસતંત્રે મહિલા પોલીસ સ્ટેશનને કારંજ લઇ ખસેડી નાખ્યું છે. આ બિલ્ડિંગને ધરાશાયી કરવા પોલીસતંત્ર કોર્પો.ની મદદ માગશે તો કોર્પો. આપવા તૈયાર છે."
...પછી તો છેક ત્રણ દરવાજાના 'દીદાર' થઈ શકશે
અમદાવાદ નગરદેવી માતા ભદ્રકાળીનાં દર્શને આવનારા હજારો માઇભક્તોને માતાનાં દર્શનનો લાભ મોકળાશપણે તો થશે. આની સાથે સાથે મંદિરનાં પગથિયાં પરથી જ છેક ત્રણ દરવાજાના 'દીદાર' પણ થઈ શકશે. નવી પેઢીના અમદાવાદીઓ માટે આ અદ્ભુત દૃશ્ય બનશે.
----------------------------------------------------------------------
પોલીસમાં સંવેદનાઃ બનાસકાંઠાના ડીએસપીએ
૧૦૦ ગરીબ આદિવાસી બાળકીઓને દત્તક લીધી
ભણતરથી માંડીને લગ્ન સુધીનો ખર્ચ પોલીસ ઉઠાવશે
અમદાવાદઃ પોલીસનું નામ પડતાં જ પ્રજામાં એક અજ્ઞાત ભયની લાગણી પ્રસરી જાય છે, પરંતુ પોલીસના શરીરમાં પણ એક હૃદય ધબકતું હોય છે અને તેમાં સંવેદના પણ જાગતી હોય છે. આ પ્રકારની એક સંવેદના બનાસકાંઠા જિલ્લા પોલીસ વડામાં જાગતાં તેમણે જિલ્લાભરની પોલીસને વિશ્વાસમાં લઈ એક માનવીય પગલું ભર્યું છે અને આદિવાસી પટ્ટાની અત્યંત ગરીબી ભોગવતી ૧૦૦ જેટલી આદિવાસી બાળાઓને દત્તક લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ વીરમપુર અને અમીરગઢ તાલુકાના આદિવાસી પટ્ટામાં ઘણા લોકો ગરીબીની રેખા હેઠળ જીવે છે. જ્યાં એક ટંકનું ખાવાનું પણ મળતું ન હોય ત્યાં બાળકોને ભણાવવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી. બાળક આઠ વર્ષનું થાય ત્યારથી મજૂરી કામમાં લાગી જાય તેવી પરિસ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે. અભણ અને અજ્ઞાની આદિવાસી પ્રજા નાનપણમાં જ પોતાની છોકરીઓને ગમે તે જગ્યાએ પરણાવી દે છે અને આવી નિર્દોષ બાળકીઓનું જીવતર રુંધાઈ જાય છે. બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આદિવાસી પટ્ટાનો જાત અભ્યાસ કરી ગરીબી રેખા હેઠળ જીવતા આદિવાસીઓના જીવન અંગે માહિતી એકત્ર કરી હતી અને કારમી ગરીબી હેઠળ જીવતા આદિવાસીઓ નિર્દોષ બાળાઓના જીવન જોઈ આ પોલીસ અધિકારીઓ દ્રવી ઊઠયા હતા.
આમ સંપૂર્ણ અભ્યાસ બાદ પોલીસ અધિકારીઓની એક બેઠકમાં ગરીબ બાળકીઓના જીવનના ઉદ્ધાર માટે એક યોજના ઘડી હતી અને આ યોજના મુજબ ગરીબ આદિવાસી પરિવારની ૧૦૦ જેટલી નિર્દોષ બાળકીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસે દત્તક લીધી હતી અને બનાસકાંઠા પોલીસ આમ ૧૦૦ બાળકીઓના પિતા બની છે. પોલીસે આ બાળકીઓના નાનપણથી જ તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. જેમાં ભણતર, કપડાં, ખાવા-પીવાનો ખર્ચ અને બાળકી યુવાન બને ત્યારે તેને પરણાવવા સુધીની જવાબદારી પોલીસે ઉપાડી લીધી છે. પોલીસના આ માનવીય પગલાંથી આદિવાસી પટ્ટામાં આનંદની લાગણી પ્રસરી છે.
બનાસકાંઠા ડીએસપી યાદવ શું કહે છે?
બનાસકાંઠા ડીએસપી અશોક યાદવનો મેટ્રોએ સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, "બનાસકાંઠા જિલ્લામાં બદલી થઈને આવ્યા બાદ આ વિસ્તારના આદિવાસીઓની પરિસ્થિતિ જોઈ ખૂબ દુઃખ થયું હતું અને ત્યારથી જ આદિવાસીઓ માટે કંઈક કરી છૂટવાની સંવેદના જાગી હતી. આ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને ૧૦૦ બાળકીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં જિલ્લાભરની પોલીસે સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી."
બાળકીઓ પર પોલીસ સતત નજર રાખશે
જ્યારે બાળકીઓને સ્કૂલથી માંડી કોલેજ સુધીનું ભણતર શરૃ થશે ત્યાં સુધી પોલીસ આ બાળકીઓ પર સતત નજર રાખશે અને સ્કૂલ અને કોલેજના સંચાલકો સાથે પણ પોલીસ સંપર્કમાં રહેશે. બાળકી યુવાન થઈ જ્યાં સુધી લગ્ન કરી સાસરે જાય ત્યાં સુધી પોલીસ બાળકીઓને નિયમિતપણે મળશે અને તેના મા-બાપને પણ મળી બાળકીઓના ભણતર તેમજ અન્ય ગતિવિધિથી વાકેફ કરશે.
----------------------------------------------------------------------
નરેન્દ્ર મોદીના ગ્રાન્ડ વેલકમની યોજના મુંબઈ ભાજપે પડતી મૂકી
ઉત્તરાખંડની હોનારતનો મલાજો જાળવવા મોદીએ જ સાદગીથી સ્વાગત કરવા જણાવતાં આયોજન પડતું મુકાયું
અમદાવાદ, ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બન્યા બાદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સૌપ્રથમ વખત મુંબઈ જઈ રહ્યા છે ત્યારે તેમને ગ્રાન્ડ વેલકમ આપવાની મુંબઈ ભાજપની ઈચ્છા અધૂરી રહી છે. ઉત્તરાખંડમાં થયેલી હોનારતના પગલે ખુદ નરેન્દ્ર મોદીએ જ આ હોનારતનો મલાજો જાળવવા અને મોટા પાયે સ્વાગત કાર્યક્રમ ન યોજવા ફોનથી જણાવતા મુંબઈ ભાજપે ગ્રાન્ડ વેલકમ માટે કરેલી તમામ તૈયારીઓ પડતી મૂકવી પડી છે.
ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બન્યા બાદ નરેન્દ્ર મોદી આવતી કાલે પ્રથમ વખત મુંબઈ જઈ રહ્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવા મુંબઈ ભાજપના કાર્યકર્તાઓએ તડામાર તૈયારીઓ કરેલી. મુંબઈમાં મોદીના સમર્થકોમાં ગુજરાતીઓ અને કચ્છીઓનો સમાવેશ થાય છે ત્યારે તેઓ મોદીને આવકારવા સવારે સાંતાક્રુઝ એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં હાજર રહે તેવી ગોઠવણ કરવામાં આવી હતી. આ માટે મુંબઈના સબર્બ્સમાંથી લકઝરી બસો દ્વારા તેમના સમર્થકો એરપોર્ટ પહોંચે તેવુ આયોજન કરાયુ હતુ. મુંબઈના એક અખબારમાં આ અંગે જાહેરખબર પણ આપવામાં આવી હતી, પરંતુ આ આયોજન અંગે નરેન્દ્ર મોદીને જાણ થતાં તેમણે ફોન કરીને આ પ્રકારનું આયોજન ન કરવા જણાવ્યુ હતુ. ઉત્તરાખંડમાં મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે ત્યારે તેનો મલાજો જાળવવાના ભાગરૃપે તમામ પ્રકારની સ્વાગત તૈયારીઓ પડતી મૂકવા મોદીએ કરેલા અનુરોધને માન આપી મુંબઈ ભાજપે મોદીના ભવ્ય સ્વાગતની તમામ તૈયરીઓ પડતી મૂકવી પડી છે.
નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈમાં બાંદરા ખાતે સવારે ૧૧-૩૦ વાગ્યે મળનારી કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. બાદમાં બપોરે બે વાગ્યે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં ઈન્ડસ્ટ્રિયાલિસ્ટોને હોટલ તાજમહલ ખાતે સંબોધશે. સાંજે ૫-૩૦ વાગ્યે રામભાઉ મ્હાળગી પ્રબોધિનીના વિનય સહસ્ત્રબુદ્ધેએ લખેલા 'બિયોન્ડ ધ બિલિયન બેલેટ્સ' પુસ્તકના વિમોચન માટે મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે જશે.
----------------------------------------------------------------------
ભાજપના ૧૫૦ કોર્પોરેટર પીડિતોને મદદ કરશે
અમદાવાદઃ એવું કહેવાય છે કે 'દેર આયે દુરસ્ત આયે.' કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોને મદદ કરવાના ઉમદા હેતુસર એક મહિનાનું માનદ્ ભથ્થું આપવાની જાહેરાત કરાયાના પાંચ-છ દિવસ બાદ હવે ભાજપના કોર્પોરેટરો જાગ્યા છે. શહેરના ભાજપના ૧૫૦ કોર્પોરેટર ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોને મદદ કરશે. શહેરના કોર્પોરેટરોને એક મહિનાનું માનદ્ ભથ્થું આશરે રૃ. ૫,૦૦૦ ચૂકવાય છે. કોંગ્રેસના ૩૨ કોર્પોરેટરોએ તાજેતરમાં ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોને એક મહિનાનું માનદ્ ભથ્થું મદદ પેટે આપવાની જાહેરાત કરી હતી, જેના પગલે હવે ભાજપના કોર્પોરેટરો આપત્તિગ્રસ્તોને એક મહિનાનું માનદ્ ભથ્થું આપવાના છે એટલે કે કુલ સાડા સાત લાખ રૃપિયાની રકમ ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તોને અપાશે. મ્યુનિ. ભાજપના નેતા મયૂર દવે કહે છે કે આ અંગેની જાહેરાત થઇ ચૂકી હોઇ આજે પરિપત્ર બહાર પડશે અને સઘળી રકમ ઉત્તરાખંડ રાહતનિધિમાં અપાશે.
----------------------------------------------------------------------
પ્રેમાભાઈ હોલનો 'કાયાકલ્પ' કરાશે
કોર્પોરેશન કલ્ચરલ એક્ટિવિટી અને મ્યુઝિયમ તરીકે હોલનો ઉપયોગ કરશે
અમદાવાદઃ અમદાવાદમાં નાટકોના મ્યુઝિકલ કાર્યક્રમોના શોખીનો માટે એક સમયે દિવસ-રાત ધમધમતા પ્રેમાભાઇ હોલનો નવેસરથી 'કાયાકલ્પ' કરાશે. નાટકપ્રેમીઓ માટે આ આનંદના સમાચાર છે. ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રેમાભાઇ હોલને મ્યુનિ. તંત્ર દ્વારા જમીનદોસ્ત કરાશે તેવી આ હોલની ખરીદી માટેનાં ચક્રો ગતિમાન કરાયાં તે સમયથી ચર્ચા ઊઠી હતી. સત્તાવાળાઓએ બે વર્ષ પહેલાં જંત્રીના આધારે હોલને વેચાણથી લેવા જે તે પાર્ટી સાથે રૃ. દસ કરોડનો એમઓયુ કર્યાે હતો, જોકે હજુ સુધી હોલના માલિકોને એક રૃપિયો પણ ચૂકવાયો નથી. હાલમાં પ્રેમાભાઇ હોલનું પઝેશન તંત્રને મળે તે માટે સરકાર સમક્ષ દરખાસ્ત મોકલાઇ છે, પરંતુ સરકારમાંથી પઝેશન મળ્યું ન હોઇ સત્તાધીશોને હોલનો કબજો પણ મળ્યો નથી. આ અંગે મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર આનંદ પટેલ કહે છે, "પ્રેમાભાઇ હોલને તોડી નાખવાની વાત પાયાવિહોણી છે. તંત્ર એક વખત હોલના પઝેશનની મંજૂરી સરકારમાંથી આવી જશે, ત્યાર બાદ આ હોલનું રિનોવેશન કરીને તેને નવાં રંગ-રૃપ આપશે અને ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કલ્ચરલ એક્ટિવિટી અને મ્યુઝિયમ તરીકે હોલનો ઉપયોગ કરશે.
હોલની કિંમત વધી પણ શકે છે!
બે વર્ષ પહેલાં પ્રેમાભાઇ હોલ માટે રૃ. ૧૦ કરોડની કિંમત નક્કી કરીને તે મુજબના એમઓયુ જે તે પાર્ટી સાથે કરાયા હતા. જોકે હવે રૃપિયાની કિંમત ગગડી રહી હોઈ હોલની કિંમત વધી પણ શકે છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. સરકાર પાસેથી હોલના પઝેશન માટે હજુ ચાર-છ મહિના લાગે તેમ હોઇ આ ચર્ચાએ જોર પકડ્યું છે.
{ SAABHAR METRO SAMBHAV METRO }








