મહિને માત્ર રૂપિયા ૧૦૦૦ માં કેન્સરની દવા
મુંબઈ, તા. ૩ :. એ સૌ કોઈ જાણે છે કે, કેન્સરની સારવારમાં મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. સમાજમાં કેન્સરના દર્દીઓ ખૂબ વધ્યા છે. દરેક કેન્સરના દર્દી સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ હોતા નથી ત્યારે મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોની ટીમે એવી થેરાપી વિકસાવી છે જેમાં કેન્સરની સારવારનો ખર્ચ મહિને માત્ર રૂા. ૧૦૦૦ આવે છે! ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોએ લો-ડોઝ-લો-કોસ્ટ થેરાપી વિકસાવી છે કે જેમાં દવાનો પ્રમાણમાં હળવો અને સસ્તો ડોઝ આપી સારવાર કરવામાં આવે છે. એક સાથે ભારેખમ ડોઝ આપવાના બદલે દરરોજ ઓછા ડોઝની દવાઓનું મિશ્રણ આપવામાં આવે છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલ, પરેલ, ના મેડીકલ ઓન્કોલોજી વિભાગના વડા ડો. શ્રીપદ બનવાલી કે જેઓ આ થેરાપી પર કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, કેન્સરના દર્દીઓએ હવે લાખો રૂપિયાના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. કેન્સરના સંશોધન પર કરાઈ રહેલા અબજો રૂપિયાના ખર્ચની ચિંતા પણ હવે કરવી નહીં પડે. અહીં જે નવી થેરાપી વિકસાવવામા આવી છે તેમા કેન્સરની સારવારનો ખર્ચ ઘણો ઘટી જશે. ડો. બનવાલીના સાથી ડો. સરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે, આ થેરાપીથી જે પરિણામ આવ્યા છે તે આヘર્યજનક છે. ભારતમાં દર વર્ષે અંદાજે કેન્સરના ૧૦ લાખથી વધુ કેસ જોવા મળે છે. આ સંશોધન કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી નિવડશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કેન્સરની સારવારમાં દર્દીઓને મોટી રાહત થશે. જો કે કેન્સરની આ સારવાર પર હજુ સંશોધન કાર્ય ચાલી રહ્યુ છે. હાલ કેન્સરની સારવારમાં દર્દીને અપાતી કિમો થેરાપીમાં વધુમાં વધુ ડોઝનો ઉપયોગ થાય છે. જ્યારે નવી સારવાર હેઠળ દર્દીને ખૂબજ ઓછો ડોઝ પરંતુ નિયમીત રીતે આપવામાં આવે છે. મેટ્રોનોમીક નામની આ થેરાપીની આડઅસરો પણ ખૂબ ઓછી છે. જેના દ્વારા દર્દી વધુ સારી રીતે જીવન જીવી શકે છે. દર્દીને સતત ૨૧ દિવસ કે તેથી વધુ દિવસ માટે ચોક્કસ દવાનો હળવો ડોઝ લેવાનું જણાવવામાં આવે છે ત્યારબાદ એક સપ્તાહનો વિરામ આપવામાં આવે છે. ત્યારબાદ ફરી કેટલાક મહિનાઓ સુધી આ સારવાર ચાલુ રાખવામાં આવે છે. ડો. બનવાલીનું આ ચમત્કારીક સંશોધન કાર્ય મેડીકલ જર્નલ લાનસેટ ઓન્કોલોજીના મે મહિનાના ઈસ્યુમાં પ્રકાશીત થયુ છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલમાં કેન્સરના હજારો દર્દીઓ આ નવી પદ્ધતિ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.