અનુયાયીઓ

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધિશ શ્રી એમ બી શાહના અધ્યક્ષપદે તપાસ પંચની નિમણુંકની જાહેરાત

દેશના સાર્વજનિક જીવનમાં શાસનની પારદર્શિતા માટે ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ

કોંગ્રેસે વર્તમાન રાજ્ય સરકાર સામે કરેલા આક્ષેપોના બધા ૧૭ મૂદાઓ સૂચિત તપાસ પંચના કાર્યક્ષેત્રમાં આવરી લીધા

દેશના અન્ય રાજ્યોની સરકારો અને ગુજરાતમાં ભૂતકાળની સરકારોએ ૧૯૮૦ કે તે પછી ઉઘોગોને કેવા

લાભો આપ્યા તેની તુલના અને તટસ્થ મૂલ્યાંકન તપાસપંચ કરશે

લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સામે થયેલા કથિત આક્ષેપોમાં સાચું સત્ય જાહેરજનતા જાણી શકે અને રાજ્ય સરકારની નીતિ અને નિયત સાફ અને પારદર્શી છે તેવી પ્રતીતિ કરાવવાનો ઉમદા ઉદેશ

વિપક્ષ કોંગ્રેસે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાત સરકાર સામે કરેલા કથિત આક્ષેપોના આવેદનપત્રની બાબતમાં સંપૂર્ણ ન્યાયીક તપાસ સામે ચાલીને કરાવવાનો ગુજરાત સરકારનો પથદર્શક નિર્ણય

ગુજરાત સરકારે વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકાર સામે ૧૭ મૂદાના આક્ષેપો કરતું જે આવેદનપત્ર રાષ્ટ્રપતિશ્રીને સુપરત કર્યું હતું તે અંગે સાચું સત્ય જનતા સમક્ષ રજૂ થાય અને જાહેર જનતા આવા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્વયંસ્પષ્ટ રીતે જાણે તેવા વ્યાપક જાહેરહિતમાં, સામે ચાલીને, કમિશન ઓફ ઇન્કવાયરી એકટ-૧૯પર હેઠળ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત પૂર્વ ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષસ્થાને તપાસ પંચની નિમણુંક કરી છે.

ગુજરાત સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે દેશના જાહેરજીવનમાં શાસનની પારદર્શિતાની પ્રેરક અને ઐતિહાસિક પહેલરૂપ રાજ્ય સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરતા, ન્યાયમૂર્તિ શ્રી એમ. બી. શાહના તપાસ પંચની રચના અંગે સર્વગ્રાહી પાસાઓ સાથેની ભૂમિકા આપી હતી.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રપતિ સમક્ષ રાજ્ય સરકારની કામગીરી અને કહેવાતી ગેરરીતિઓ સંદર્ભમાં, જે ૧૭ મૂદાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપ્યું હતું તે અંગે સરકાર સંપૂર્ણ પારદર્શી ધોરણે તટસ્થ ન્યાયિક તપાસ કરાવવા, સ્વેચ્છાએ સામે ચાલીને પ્રતિબધ્ધ બની છે.

કારણ કે સરકાર માને છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારની કામગીરી સંપૂર્ણ શંકારહિત અને પ્રમાણિક હોવી જોઇએ અને ગુજરાતની જનતાને હકિકતની પ્રતીતિ થવી જોઇએ, એવા ઉમદા ઉદેશથી ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના તપાસ પંચની રાજ્ય સરકારે સ્વયંપ્રેરણાથી રચના કરી છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે હાલ આખા દેશમાં, જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર સામે જનતાનો તીવ્ર જનમત ઉભો થયો છે અને ગુજરાત સરકાર પણ પ્રમાણિકપણે તેની સામેના કહેવાતા એકેએક આક્ષેપોમાં સાચું સત્ય બહાર આવે તેને જનતા સમક્ષ મૂકવા માટે પ્રતિબધ્ધ છે. ઉદેશથી તપાસ પંચની રચના કરીને તેના કાર્યક્ષેત્રની ટર્મ્સ ઓફ રેફરન્સ સુનિતિ કરી છે.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા છ-છ વર્ષથી ગુજરાતમાં ""લોકાયુકત''ની નિમણુંક કરવા માટે રાજ્ય સરકારે વિપક્ષ કોંગ્રેસનો સહયોગ મેળવવા સાતત્યપૂર્વક પ્રયાસો કર્યા છે. ગુજરાત લોકાયુકત અધિનિયમની જોગવાઇ મુજબ લોકાયુકતની રાજ્યમાં નિમણુંક માટે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાશ્રીનો પૂર્વ પરામર્શ જરૂરી હોવાથી અંગે તેમની સાથે પરામર્શ બેઠકો યોજવાના સતત પ્રયાસો કર્યા હતા. પરંતુ જ્યાં સુધી પોતાની ઇચ્છા પ્રમાણેની વ્યકિતનું નામ પસંદ થાય નહીં ત્યાં સુધી લોકાયુકતની નિમણુંક માટેની પ્રક્રિયામાં અનેક વિધ્નો સર્જીને, તદ્‍ન અનુચિત મૂદા ઉભા કરીને, વિપક્ષ કોંગ્રેસે નકારાત્મક વલણ દાખવ્યું છે એટલું નહીં, પરોક્ષ રીતે મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ પણ વિપરીત રજૂઆતો કરીને, લોકાયુકતની જગા ભરાય નહીં તેવી રીતરસમો અને દુરાગ્રહ રાખીને કોંગ્રેસે ""ચોર કોટવાલને દંડે'' એવું તદ્‍ન લોકહિત વિરૂધ્ધનું બેવડું ધોરણ અપનાવ્યું છે. આમ, લોકાયુકતની નિમણુંકની પ્રક્રિયામાં રૂકાવટો ઉભી કરનારા કોંગ્રેસ પક્ષે, જે કાંઇ આક્ષેપો સરકાર સામે કર્યા છે તે તમામે તમામ ૧૭ આક્ષેપોની તલસ્પર્શી તપાસ, સામે ચાલીને સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષપણા હેઠળ ઉચ્ચ તપાસ પંચ નીમીને કરવાની પારદર્શીતાનું ઉત્તમ ઉદાહરણ દેશ સમક્ષ રાજ્ય સરકારે પુરૂં પાડયું છે.

સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષપણે રચાયેલું તપાસ પંચ જે મૂદાઓની સર્વગ્રાહી તપાસ કરશે તે પ્રમાણે છે.

કોંગ્રેસે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાત સરકાર સામે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને કેટલાક પસંદગીના ઔઘોગિક ગૃહોની તરફદારી કરવા અંગેના આક્ષેપોની, તપાસ પંચ તપાસ કરશે.

આવી બાબતોના સંદર્ભમાં ગુજરાત સરકારે કોઇ નિષ્કાળજી કે બેદરકારી દાખવી છે કે કેમ?

એવી અન્ય કોઇ બાબતો જે અંગે કોઇ આક્ષેપ થયો છે એવું તપાસપંચના અભિપ્રાય અનુસાર તપાસને યોગ્ય હોય.

ઉપરોકત ત્રણેય મૂદાઓ અંગે, તપાસ પંચ નીચેના સંદર્ભે પણ, તટસ્થ મૂલ્યાંકન કરશે જેમાં (અ) દેશના અન્ય કોઇ પ્રમુખ રાજ્યએ, જમીન ફાળવણી, વેચાણવેરા / વાણીજ્ય વેરા, સ્ટેમ્પ ડયુટી કે તેવી અન્ય કોઇ બાબતમાં કોઇ ઉઘોગ ગૃહને વેરા મૂકિત, રાહત અથવા વિલંબીત ચૂકવણીના લાભો આપેલા છે કે કેમ તેની તુલના કરશે. (બ) ગુજરાત રાજ્યની અગાઉની કોઇ સરકારોએ સને ૧૯૮૦ અને તે પછી, ઉઘોગ ગૃહોને જમીન ફાળવણી, વેચાણવેરા / વાણીજ્ય વેરા, સ્ટેમ્પડયુટી કે અન્ય કોઇ બાબતે વેરામૂકિત, વેરામાં રાહત કે વિલંબીત ચૂકવણીના લાભો જેવી ખાસ છૂટછાટો આપેલી છે કે કેમ?

ન્યાયૂમર્તિશ્રી એમ. બી. શાહનું તપાસ પંચ તેની તપાસ સંપૂર્ણ પૂરી કરીને તા.૩૧મી માર્ચ ર૦૧ર સુધીમાં રાજ્ય સરકારને તેનો અહેવાલ સુપરત કરશે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ હકિકતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના તપાસ પંચને, રાષ્ટ્રપતિશ્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રનાં જે મૂદાઓ રજૂ કરવામાં આવ્યા છે તે તમામ મૂદાઓની સર્વગ્રાહી તપાસ, સુપરત કરવામાં આવી છે. તેમાં જે બે મુદાઓ અદાલતોમાં હાલ ""ન્યાયાધિન'' છે તે સિવાયના બધા ૧પ મૂદાઓ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં આવરી લીધા છે.

તપાસ પંચ સમક્ષ, કોંગ્રેસે કરેલા કહેવાતા આક્ષેપોના જે ૧પ મૂદાની તપાસ સુપરત કરવામાં આવી છે જે પ્રમાણે છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ઉઘોગોને નજીવા દરે જમીન ફાળવી દીધી તેવો આક્ષેપ.

ટાટા નેનો કાર પ્રોજેકટને રૂ. ૩૩,૦૦૦ કરોડના કંસેશનો આપ્યા તેવો આક્ષેપ.

અદાણી ઉઘોગ ગૃહને મૂન્દ્રા પોર્ટ અને મૂન્દ્રા SEZની જમીન ફાળવણીનો આક્ષેપ.

મે. છત્રાલા ગ્રુપ ઓફ હોટેલ્સને ફાઇવ સ્ટાર હોટેલ બનાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની મોકાની કિંમતી જમીન જાહેર હરાજી વગર ફાળવી દીધાનો આક્ષેપ.

એસ્સાર ગ્રુપને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફોરેસ્ટ લેન્ડની જમીનની ગેરકાયદે ફાળવણી અને બાંધકામ માટેની મંજૂરીનો આક્ષેપ.

ભાજપાના નેતાશ્રી વૈંકયા નાયડુ સંકળાયેલા હોવાનું કહેવાય છે તેવી કંપનીને પાકિસ્તાન સરહદ નજીક કચ્છમાં સોલ્ટ કેમિકલ્સ કંપની સ્થાપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર ભારત હોટેલ લી.ને જાહેર હરાજી વગર મોકાની જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

મોટા શહેરો નજીક વિવિધ ઉઘોગો / ઉઘોગપતિઓને ઔઘોગિક એકમો માટે જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

સુરતમાં હજીરામાં એલ એન્ડ ટી કંપનીને હરાજી વગર પાણીના ભાવે મોકાની જમીનની ફાળવણીનો આક્ષેપ.

કેટલ ફીડ કૌભાંડનો આક્ષેપ.

રાજ્યની આંગણવાડીના કેન્દ્રોમાં ન્યુટ્રીશનલ ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ ફૂડના કૌભાંડનો આક્ષેપ.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અંગેના આક્ષેપો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા, લાભાર્થી ઔઘોગિક કંપનીઓના ભોગે, લકઝરી જેટ એરક્રાફટ અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવાનો આક્ષેપ.

જળસંસાધન માટેની સુજલા સુફલા યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

કચ્છ જિલ્લામાં ૩૬.રપ એકર ખેતીની જમીનની મુંબઇસ્થિત મે. ઇન્ડીગોલ્ડ રિફાઇનરી દ્વારા ખરીદી અને વેચાણમાં, તમામ કાયદા નેવે મૂકીને, મા. મહેસૂલ મંત્રીશ્રી તથા મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દરમિયાનગીરીનો આક્ષેપ.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે સામે ચાલીને, તેની સામેના આક્ષેપોમાં જનતા સમક્ષ સાચું સત્ય બહાર આવે તેવો રાજકીય ઇચ્છાશકિતનો, દેશના સાર્વજનિક જીવનમાં પથદર્શક એવો હિંમતપૂર્વકનો નિર્ણય લઇને આજ ન્યાયમૂર્તિ શ્રી એમ. બી. શાહના તપાસ પંચની રચના કરી દીધી છે.

રાજ્ય સરકાર સંપૂર્ણપણે પારદર્શી શાસન માટે પ્રતિબધ્ધ છે અને રાજ્ય સરકારની નીતિઓ તથા નિયત કેટલી સાફ છે તેની સ્વયંસ્પષ્ટ પ્રતિતી, ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહનું તપાસપંચ રચીને, વિપક્ષ કોંગ્રેસના કહેવાતા તમામ આક્ષેપોની તટસ્થ ન્યાયિક તપાસ થાય અને સાચું સત્ય જનતા જાણી શકે માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.


ચોમાસું-ર૦૧૧


રાજ્યમાં મોસમનો કુલ વરસાદ પ૩૭ મી.મી. પ૯ ટકા જેટલો વરસાદ
ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૩ ઇંચ
કડી-ગાંધીનગર-આમોદ-માંડવી અને કપરાડામાં એક ઇંચ વરસાદ
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનો વિરામઃ

ગાંધીનગર,
ચાલુ ચોમાસાની મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ પ૩૭ મી.મી. થયો છે. જે પ૯ ટકા જેટલો થવા જાય છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે તા. ૧૮-૮-ર૦૧૧ના સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન રાજ્યમાં ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮પ મી.મી. એટલે કે, ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કડી-ર૭ મી.મી., ગાંધીનગર-૩૭ મી.મી., આમોદ ૩ર મી.મી., માંડવી ૩૬ મી.મી. અને કપરાડામાં ર૧ મી.મી. એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ધંધૂકા, વડોદરા, સંખેડા, ધોધંબા, દાહોદ, ધાનપુર, વાગરા, નાંદોદ, ઉચ્છલ, માંગરોળ, ઓલપાડ, નવસારી અને પારડીમાં અર્ધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.



રાજ્યના ૩૩ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે
નર્મદાની જળસપાટી ૧૨૨.૩૬ મીટર ડેમ ૧૦૦ ટકા ભરાયો
૫૯ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૬ માટે એલર્ટ અને ૧૨ માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૧૮-૮-ર૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૩ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૨૬, કચ્છ-૧, મધ્ય ગુજરાતના ર(બે) અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયનો સમાવેશ થાય છે.
સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૨.૩૨ મીટર રહી છે. અને ૫૨૬૫.૮૪ મીલીયન કયુબીક મીટર જળસંગ્રહ છે. જે ટકાવારીમાં જોઇએ તો ૧૦૦ ટકા જેટલો થવા જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧ર૧.૯ર મીટર છે.
રાજ્યના ૫૯ જેટલાં જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતાં હાઇએલર્ટ, ૧૬ જળાશયો ૮૦થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૨ જળાશયો ૭૦થી ૮૦ ટકા ભરાતાં સામાન્ય ચેતવણી રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલાં જળાશયોમાં આજે ૧૦૫૨૭.૭૬ મીલીયન કયુબીક મીટર જળસંગ્રહ થયો છે.